જૂનાળા માં જાવું કે દામુકુંડ નાવું.. હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવું... આ ગીત કાને પડતા જ જૂનાગઢી દ્રશ્યો માનસપટ પર તાજા થાય. આજનો આ દિવસ જૂનાગઢ અને તેની જનતા માટે ખૂબ જ મહત્વનો છે કારણ કે, આજના દિવસે જૂનાગઢ આઝાદ થયું હતું.
જૂનાગઢના આઝાદી દિનની ઉજવણી
બહાઉદ્દીન કોલેજ ખાતે વિજયસ્તંભનું પૂજન
જાણો જૂનાગઢ આઝાદ થયાં સાથે જોડાયેલ કહાની
ઉલ્લેખનીય છે કે, 15મી ઓગષ્ટ 1947ના રોજ ભારત દેશે અંગ્રેજોના શાસનમાંથી મુકત થઇ આઝાદીની પ્રથમ હવા માણી હતી. પરંતુ આ આઝાદી માત્ર જૂનાગઢવાસીઓ માટે ન હતી. કારણ કે, જૂનાગઢ સ્ટેટે ભારતમાં ભળવાનો નનૈયો ભણ્યો હતો. ભારતમાં કુલ 3 સ્ટેટ હૈદરાબાદ, કાશ્મીર અને જૂનાગઢ એવા હતા જેમણે પાકિસ્તાનમાં પોતાનો સમાવેશ કરવાનો પક્ષ રાખ્યો હતો જો કે, ભારત આઝાદ થયાનાં 85 દિવસ બાદ જૂનાગઢને પૂર્ણરૂપે આઝાદી મળી હતી. આ આઝાદી માટે આરઝી હકુમતની સ્થાપના સાથે આરઝી હકુમતના લડવૈયાઓએ બહુ મોટેરી કિંમતની ચુકવવી પણ કરવી પડી હતી.
જૂનાગઢ નવાબે પાકિસ્તાનમાં જોડાવાનો નિર્ણય કર્યો
15 ઓગષ્ટ 1947ના રોજ ભારતની સ્વતંત્રતા સાથે જૂનાગઢ સ્ટેટનાં છેલ્લા નવાબ મહાબતખાનજી પ્રજા વત્સલ રાજવી હતા પરંતુ કોઇને કોઇ કારણોસર તેમણે ભારતમાં જોડાવાને બદલે પાકિસ્તાનમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. ભૌગોલિક રીતે આ શક્ય ન હોવાને કારણે ભારત સરકાર પણ ચિંતામાં હતી.
આરઝી હકુમતની સ્થાપના
અંતે 24 સપ્ટેમ્બર 1947 ના રોજ મુંબઈ ખાતે માધવબાગમાં જૂનાગઢની આઝાદી માટે આરઝી હકુમતની સ્થાપના કરવામાં આવી અને જૂનાગઢની મુક્તિ માટે એક જાહેરનામું પણ તૈયાર કરવામાં આવ્યું હતું. આરઝી હકૂમત દ્વારા "આઝાદ જૂનાગઢ રેડીયો" નામના ગુપ્ત સ્ટેશનેથી "ચલો જૂનાગઢ એકસાથ" અને "આરઝી હકૂમત ઝીંદાબાદ" રેકર્ડ વગાડવામાં આવતી. સમય પસાર થતો ગયો અને 8 નવેમ્બર 1947ની સાંજ સુધીતો આરજી હકુમતની સેનાએ જૂનાગઢ સ્ટેટના કુલ 106 ગામો કબ્જે કરી લીધા હતા. આ તમામ ઘટનાઓ બની ત્યાં સુધીમાં નવાબ પોતે તેમની બેગમો, બાળકો, ઝવેરાત અને તેમના પાળીતા કુતરાઓને લઇને પાકિસ્તાન ચાલ્યા ગયા હતા.
નવાબે તાર કરીને ભારતની શરણાગતિ સ્વીકારવા કહ્યું
અંતે જૂનાગઢના નવાબે પાકિસ્તાનથી પોતાના રાજના દિવાનને એક તાર મોકલ્યો અને ભારતનું શરણ સ્વીકારી લેવાની અપીલ કરી, નવાબે મોકલેલો એ તાર આજે પણ દિલ્હી ખાતે આવેલા અભિલેખાગાર કચેરીમાં સાચવી રાખવામાં આવ્યો છે. 8 નવેમ્બર 1947 ના રોજ જૂનાગઢના દિવાન દ્વારા આ શરણાગતિ સ્વીકારવામાં આવી અને 9 નવેમ્બર 1947 ની સાંજના મજેવડી દરવાજામાંથી ભારતનું લશ્કર જૂનાગઢમાં પ્રવેશ્યું અને ઉપરકોટના કિલ્લા પર ઝંડો ફરકાવ્યો અને જૂનાગઢ આઝાદ થયું.
પ્રથમ વખત થયું હતું મતદાન
જૂનાગઢની જનતાને ભારતમાં રહેવું છે કે પાકિસ્તાનમાં તેના માટે એક મતદાન યોજવામાં આવ્યું હતું. 20 ફેબ્રુઆરી 1948 ના રોજ મતદાન કરાયું. એ વખતે ભારતનાં મત માટે લાલ ડબ્બો અને પાકિસ્તાનનાં મત માટે લીલો ડબ્બો રાખવામાં આવ્યો હતો. જેમાં 190779 મત ભારતને મળ્યા અને માત્ર 91 મત પાકિસ્તાનને મળ્યા હતા, આ મતદાનની યુનોને પણ જાણ કરાઈ હતી. આઝાદ ભારતનું કદાચ આ પ્રથમ મતદાન હતું.
સરદાર પટેલે જૂનાગઢની જનતાનો માન્યો આભાર
13 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢની જનતાનો આભાર માનવામાં માટે દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલે બહાઉદ્દીન કોલેજના મેદાનમાં જંગી જાહેર સભા યોજી હતી અને સભામાં તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન જવા માગતા લોકોને તેમની માલ-મિલકત ઉપરાંત પાંચ રૂપિયા દક્ષિણા આપવાની વાત કરી હતી.
આજે ફરી આ દિવસને યાદ કરતા બહાઉદ્દીન કોલેજમાં વિજય સ્તંભની પૂજા યોજાઇ
આ અવસરે જૂનાગઢ બહાઉદીન કોલેજમાં વિજય સ્તંભની પૂજા કરાઇ હતી. વિજય સ્તંભના પૂજનના અવસરે જૂનાગઢના મેયર ધીરૂ ભાઇ ગોહેલ, જૂનાગઢ કોંગ્રેસના ધારાસભ્યો ભીખુૂભાઇ જોષી સહિત કોર્પોરેટ ઉપસ્થિત રહ્યાં હતા અને જૂનાગઢવાસીઓને આઝાદી દિનની શુભકામના પાઠવી હતી.