ઝારખંડમાં ચૂંટણીની જાહેરાત થઈ ચુકી છે. હમણાં જ થયેલી મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બંને રાજ્યોમાં સફળતાપૂર્વક કેસરિયો લહેરાવ્યો હોવા છતાં ઓછી બેઠકો પ્રજાનો મિજાજ સુચવી રહી છે. તો એ જાણવું જરૂરી છે કે ઝારખંડમાં રાજનૈતિક પરિસ્થિતિ શું છે અને કેવી રીતે હરિયાણા અને મહારાષ્ટ્ર ઝારખંડની રાજનીતિ સાથે સંકળાયેલા છે.
ઝારખંડમાં ચૂંટણીના ઢોલ
દેશના ચૂંટણી પંચે શુક્રવારે ઝારખંડનું 30 નવેમ્બરથી 20 ડિસેમ્બર વચ્ચે 5 તબક્કામાં વિધાનસભાની ચૂંટણી જાહેર કરી છે. 2014માં 81 વિધાનસભાની બેઠકો માટે 25 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી 5 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી અને 23 ડિસેમ્બરે રિઝલ્ટ જાહેર થયું હતું.
ઝારખંડ એ મહારાષ્ટ્ર અને હરિયાણા પછીનું ત્રીજુ ભાજપ શાસિત રાજ્ય છે જેમાં આ વર્ષે લોકસભાની ચૂંટણી બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે. 2000ની સાલમાં ઝારખંડ બિહારથી છૂટું પડ્યું હતું અને આ તેની ચોથી વિધાસભાની ચૂંટણી છે.
શું સ્થિતિ રહી છે વિધાનસભામાં?
2014માં મુખ્યમંત્રી રઘુબર દાસની આગેવાનીમાં ભાજપે 81માંથી 35 સીટો જીતી લઈને ચૂંટણી જીતી લીધી હતી. તેમની સ્થાનિક પાર્ટી AJSU (ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન)એ 5 સીટો જીતી હતી જેની સાથેના ગઠબંધનથી ભાજપે 41 સીટોથી બહુમતી મેળવી લીધી. આ ઉપરાંત ઝારખંડ મુક્તિ મોરચાએ 19 બેઠકો સાથે વિપક્ષનું સ્થાન લીધું. ઝારખંડ વિકાસ મોરચાએ 8 બેઠકો જીતી હતી જેમાંથી 6 MLA ભાજપમાં જોડાઈ ગયા અને કોંગ્રેસ ફક્ત 6 સીટો જીતી શકી.
કોની વચ્ચે છે રાજકીય જંગ?
ભાજપ-AJSUના ગઠબંધન સામે કોંગ્રેસ-JMM-JVM-RJD-વામપંથી ગઠબંધને બાથ ભીડવાની છે. ભાજપ તેના હરિયાણા અને મહારાષ્ટ્ર કરતા સારા પરિણામોની અપેક્ષાએ ઉતરશે જયારે કોંગ્રેસ તેના પોતાના ગઠબંધનની તાકાત ચકાસશે.
આ ચૂંટણી હરિયાણા અને મહારાષ્ટ્ર સાથે કેવી રીતે કનેક્ટેડ છે?
અહીં કેટલાક પરિબળો હરિયાણા અને મહારાષ્ટ્રના પરિણામો સાથે જોડાયેલા છે. જેમ કે ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રીઓની પસંદગી વિશિષ્ટ રહી છે. જેમ કે હરિયાણામાં જાટ જ્ઞાતિનું પ્રભુત્વ હોવા છતાં ML ખટ્ટરને જાટ ન હોવા છતાં CM બનાવાયા છે. આ જ રીતે ફડણવીસને મરાઠા જ્ઞાતિના ન હોવા છતાં મુખ્યમંત્રી બનાવાયા છે. આ જ પ્રમાણે ઝારખંડમાં આદિવાસી વસ્તી ઘણી વધારે છે. રઘુબર દાસ પોતે આદિવાસી નથી જયારે ઝારખંડના તમામ ભૂતપૂર્વ CM આદિવાસી હતા.
આ ત્રણેય મુખ્યમંત્રીઓએ તેમના રાજ્યની પ્રમુખ જ્ઞાતિઓ વડે વિરોધ પ્રદર્શનો સહન કર્યા છે. જેમ કે હરિયાણાનું જાટ આંદોલન, મહારાષ્ટ્રનું મરાઠા આંદોલન અને ઝારખંડના આદિવાસીઓનું જમીન સંપાદન બિલ, સાંથલ પરગણા ટેન્ડન્સી એક્ટ તથા છોટાનાગપુર ટેન્ડન્સી એક્ટના સુધારા સામેના વિરોધનું આંદોલન.
અહીં રસપ્રદ બાબત એ છે કે હરિયાણા અને મહારાષ્ટ્ર બંને રાજ્યોએ લોકસભા અને વિધાનસભામાં જુદું જુદું મતદાન કર્યું હતું. ઝારખંડમાં ભાજપે લોકસભાની 14માંથી 12 બેઠકો જીતીને સપાટો બોલાવ્યો હતો.
ભાજપે મહારાષ્ટ્ર અને હરિયાણાના ચૂંટણી પ્રચારમાં આર્ટિકલ 370ને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. હવે જોવાનું એ રહેશે કે આ વખતે ઝારખંડમાં હરિયાણા અને મહારાષ્ટ્રના પરિણામોની શું અસરો રહે છે.