જાણો કઇ રીતે આધાર કાર્ડ અને જન ધન ખાતાને લિંક કરી શકશો
કેન્દ્રની મોદી સરકારે વર્ષ 2014માં પ્રધાનમંત્રી જન ધન યોજના (Pradhan Mantri Jan Dhan Yojana) ની શરૂઆત કરી હતી. આ યોજના દ્વારા સરકારે દેશના દરેક વર્ગને બેંકિંગ સિસ્ટમ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. કારણ કે દેશમાં પહેલાં એક એવો મોટો વર્ગ હતો કે જે બેંકિંગ સિસ્ટમ સાથે જોડાયેલો ન હતો. પરંતુ આ યોજનાની શરૂઆત બાદ હવે લગભગ દરેક દેશવાસી પાસે પોતાનું એક બેંક એકાઉન્ટ છે. ત્યારે જો પ્રધાનમંત્રી જન ધન યોજનાના એકાઉન્ટને આધાર સાથે લિંક કરશો તો તમને Rupay Debit Cardની સુવિધા દ્વારા રૂ. 1 લાખ સુધીનું દુર્ઘટના વીમા કવર પણ મળશે.
આ યોજના હેઠળ દેશમાં કુલ 44.23 કરોડ બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યાં
તમને જણાવી દઇએ કે, જન ધન એકાઉન્ટ એક ઝીરો બેલેન્સ એકાઉન્ટ છે કે જેમાં સરકાર વિવિધ યોજનાઓના લાભ સીધા ખાતામાં જ ટ્રાન્સફર કરે છે. જાન્યુઆરી 2022ના આંકડા અનુસાર જન ધન યોજના હેઠળ દેશમાં કુલ 44.23 કરોડ બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યાં.
આ 44.23 કરોડ એકાઉન્ટ્સમાંથી 33.9 કરોડ એકાઉન્ટ જાહેર ક્ષેત્રની બેંકોમાં ખોલવામાં આવ્યા છે. જ્યારે ગ્રામીણ બેંકોમાં 8.05 એકાઉન્ટ અને ખાનગી બેંકોમાં 1.28 એકાઉન્ટ ખોલવામાં આવ્યાં. આ એકાઉન્ટમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની સુવિધા ઉપરાંત સરકાર લોકોને ડેબિટ કાર્ડની પણ સુવિધા આપે છે. પરંતુ, તમને જણાવી દઈએ કે જન ધન ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવું ખૂબ જ આવશ્યક છે. કારણ કે જો તમે તેને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો તો કદાચ તમને તેનાથી લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. ત્યારે અહીં જોઇશું કે આખરે કેવી રીતે જનધન એકાઉન્ટ અને આધાર કાર્ડને એકબીજા સાથે લિંક કરી શકાશે અને શા માટે તે ખાસ જરૂરી છે...
જન ધન એકાઉન્ટ અને આધાર કાર્ડને એકબીજા સાથે લિંક કરવા પર મળશે આ લાભ
જનધન એકાઉન્ટમાં ખાતાધારકને રૂપે ડેબિટ કાર્ડ (Rupay Debit Card) ની સુવિધા પણ ઉપલબ્ધ થાય છે. તદુપરાંત આ કાર્ડમાં રૂપિયા 1 લાખ સુધીનું દુર્ઘટના વીમા કવર પણ મળે છે. પરંતુ ખાતાધારકની નોમિની વ્યક્તિ આ વીમા કવચનો લાભ ત્યારે જ મેળવી શકે છે કે જ્યારે તેઓએ પોતાનું એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક કર્યું હોય. વધુમાં તમને જણાવીએ કે, ડેબિટ કાર્ડ સિવાય ખાતાધારકને અલગથી 30 હજાર રૂપિયાના અકસ્માત મૃત્યુ વીમાનો પણ લાભ મળે છે. આવી સ્થિતિમાં જન ધન ખાતાને વહેલામાં વહેલી તકે આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેવું એ તમારી માટે ખાસ ફાયદાની વાત છે.
જાણો આધાર કાર્ડ અને જન ધન ખાતાને લિંક શું છે પ્રક્રિયા?
બંનેને લિંક કરવા માટે સૌ પહેલાં તો તમે બેંકમાં જાઓ અને ત્યાં જઇને તમારે એકાઉન્ટ લિંક કરવાનું છે.
બેંકમાં જતી વખતે તમારે તમારી સાથે આધાર કાર્ડની એક ફોટોકોપી લઇ જવાની રહેશે.
અહીંયા તમારે બંનેને લિંક કરવા માટે એક ફોર્મ ભરવાનું રહેશે.
ત્યાર બાદ બેંક તમારા આધાર કાર્ડ અને જન ધન ખાતાને લિંક કરશે.
આ સિવાય તમે મોબાઈલ SMS દ્વારા પણ તમારા એકાઉન્ટને લિંક કરી શકો છો.
એ માટે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી SMS મોકલવાનો રહેશે.
તમારે UID<SPACE>આધાર નંબર<SPACE>એકાઉન્ટ નંબર લખીને તેને 567676 નંબર પર મોકલવાનો રહેશે.
ત્યાર બાદ હવે તમારું આધાર અને જનધન એકાઉન્ટ એકબીજા સાથે લિંક થઈ જશે.
આ સિવાય તમે બંનેને બેંકના ATM સાથે પણ લિંક કરી શકો છો.