ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લાઠીના દૂધાળામાં ‘ગુજરાત ગૌરવ સરોવર’નું 27 ઓગસ્ટે લોકાર્પણ! અમિત શાહ કરશે ઉદ્ઘાટન, ડ્રોન નજારો મનમોહક
Last Updated: 01:59 PM, 25 August 2026
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુઘાળા ગામે ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા રૂ. 4 કરોડથી વધુના અંદાજિત ખર્ચે તૈયાર કરાયેલા ‘ગુજરાત ગૌરવ સરોવર’નું 27 ઓગસ્ટે સવારે 10 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આશરે 80 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલા આ વિશાળ સરોવરમાં અંદાજિત 24 કરોડ લિટર પાણી સંગ્રહવાની ક્ષમતા છે.
ADVERTISEMENT
ગાગડિયા નદીના 57 કિલોમીટર વિસ્તારમાં ધોળકિયા ફાઉન્ડેશનના જળસંચય અભિયાન હેઠળ 40 ચેકડેમ અને સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કામગીરીથી અમરેલીના એક સમયે ‘ખારાપાટ’ તરીકે ઓળખાતા વિસ્તારમાં જળસંચય વધ્યો છે અને 70થી વધુ ગામોના ખેડૂતોને તેનો સીધો લાભ મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
2017 પહેલાં પાણીની તંગીથી ખેતી પર અસર
ADVERTISEMENT
વર્ષ 2017 પહેલાં ગાગડિયા નદી આસપાસનો વિસ્તાર પાણીની અછતને કારણે ખારાપાટ તરીકે ઓળખાતો હતો. વરસાદની અનિશ્ચિતતા અને ભૂગર્ભ જળના નીચા સ્તરને કારણે ખેતી મુશ્કેલ બની હતી. ત્યારબાદ ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા રાજ્ય સરકારના સહયોગથી જળસંચયનું અભિયાન શરૂ કરવામાં આવ્યું. ગાગડિયા નદીના 57 કિમી વિસ્તારમાં ચેકડેમ અને સરોવરોના નિર્માણથી વરસાદી પાણીના સંગ્રહમાં વધારો થયો છે. સ્થાનિક સ્તરે ભૂગર્ભ જળસ્તર ઊંચું આવતાં ખેતીને પણ ફાયદો થયો હોવાનું જણાવવામાં આવે છે.
ADVERTISEMENT
ખેડૂતોના જીવનમાં પરિવર્તન
સ્થાનિક ખેડૂત ઘનશ્યામ ખૂંટના જણાવ્યા મુજબ, સરોવરો બન્યા બાદ સમગ્ર વિસ્તારમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું છે. પાણીની ઉપલબ્ધતા વધતાં ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે અને ખેતી વધુ મજબૂત બની છે. પાણીના સ્તરમાં સુધારાને કારણે જમીનના ભાવમાં પણ વધારો થયો હોવાનું સ્થાનિક સ્તરે જણાવાયું છે.
ADVERTISEMENT
અમિત શાહના જળસંચય પ્રત્યેના અભિગમનો ઉલ્લેખ
ધોળકિયા ફાઉન્ડેશનના સવજી ધોળકિયાએ જણાવ્યું કે અમિત શાહ જળ સંરક્ષણના આ કાર્યને પ્રોત્સાહિત કરવા માટે લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમણે અગાઉના એક પ્રસંગને યાદ કરતાં જણાવ્યું કે અમિત શાહે તેમના માટે પણ એક સરોવર બાકી રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT
ગુજરાતમાં 200 સરોવરો પૂર્ણ કરવાનો દાવો
ADVERTISEMENT
ધોળકિયા ફાઉન્ડેશનના સભ્ય નીતિન સાવલિયાના જણાવ્યા મુજબ, ‘ગુજરાત ગૌરવ સરોવર’માં અંદાજિત 24 કરોડ લિટર પાણી સંગ્રહાઈ શકે છે. ફાઉન્ડેશન દ્વારા ગુજરાતમાં અત્યાર સુધીમાં 200 સરોવરોના કામ પૂર્ણ કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ રાજ્યની 25 નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની બદલી, તહેવાર પહેલા મોટો ફેરફાર
આ જળસંચયના માળખાના કારણે વરસાદ ઓછો પડ્યા બાદ પણ ખેતી માટે પાણીની ઉપલબ્ધતા જળવાઈ રહેવામાં મદદ મળી રહી છે. ગાગડિયા નદી વિસ્તારમાં હાથ ધરાયેલા આ પ્રયાસોથી અમરેલીના ખારાપાટ વિસ્તારમાં ખેતી અને ગ્રામ્ય અર્થતંત્રને લાંબા ગાળે વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.