ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગીતા મંદિરની ટ્રાવેલ્સ ઓફિસોમાં છરી બતાવી ખંડણીનો ખેલ? વેપારીને જાનથી મારી નાખવાની ધમકીથી ફફડાટ
Last Updated: 02:29 PM, 25 August 2026
ADVERTISEMENT
ગીતા મંદિર આસપાસની ટ્રાવેલ્સ ઓફિસોમાં અચાનક ડરનો માહોલ છવાઈ ગયો હતો. દિવસ દરમિયાન મુસાફરો અને બસોની અવરજવરથી ધમધમતો વિસ્તાર રાત પડતાં જાણે ખંડણીના કથિત ખેલનું કેન્દ્ર બની ગયો હતો. એક શખ્સ છરી બતાવીને ટ્રાવેલ્સ સંચાલકોને ધમકાવતો અને પૈસાની માગણી કરતો હોવાના આક્ષેપો વચ્ચે આખરે એક વેપારી પોલીસ સુધી પહોંચ્યો અને સમગ્ર મામલો બહાર આવ્યો. સીટીએમની હિરદર્શનપાર્ક સોસાયટીમાં રહેતા કેયૂર ખાણદરે ગાયકવાડ હવેલી પોલીસમાં શરીફખાન સુલતાનખાન પઠાણ વિરુદ્ધ ખંડણી, મારઝૂડ અને ધમકીની ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT

કેયૂર ગીતા મંદિર ચાર રસ્તા પાસે મુનશીના વંડા નજીક સહયોગ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ચલાવે છે. થોડા દિવસ પહેલાં કેયૂર, તેના પિતા દિનેશભાઈ, મેનેજર નિિક્ષત અને અન્ય કર્મચારીઓ ઓફિસમાં હાજર હતા ત્યારે શરીફખાન અચાનક ઓફિસમાં આવ્યો હતો. આરોપ મુજબ તેણે કેયૂરની છાતી પર છરી રાખીને ધમકી આપી હતી કે અહીં ટ્રાવેલ્સનો ધંધો કરવો હોય તો દરેક બસના પાંચ હજાર રૂપિયા આપવા પડશે, નહીં તો જાનથી મારી નાખશે. આ દરમિયાન કેયૂરના કર્મચારીઓ ગૌતમ અને ઉર્વેશ સાથે પણ મારઝૂડ કરવામાં આવી હતી. વેપારીઓ માટે આ ઘટના ચેતવણી જેવી હતી, પરંતુ બીજા દિવસે બનેલી ઘટનાએ ભય વધુ ઘેરો કર્યો.
ADVERTISEMENT
બીજા દિવસે રાતના લગભગ બે વાગ્યે શરીફખાન ફરી સહયોગ ટ્રાવેલ્સની ઓફિસે પહોંચ્યો હતો. ઓફિસ કેમ ખુલ્લી છે તેમ કહી તેણે કેયૂરને ધમકાવ્યો અને પૈસાની માગણી કરી. જાનથી મારી નાખવાની ધમકીથી ગભરાયેલા કેયૂરે ૫૦૦ રૂપિયા આપ્યા હતા. પોલીસ ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે શરીફખાન ત્યાર બાદ આસપાસની અન્ય ટ્રાવેલ્સ ઓફિસોમાં ગયો હતો અને છરી બતાવીને ૫૦૦ રૂપિયાની ઉઘરાણી કરી હતી. તેની માથાભારે છાપના કારણે શરૂઆતમાં વેપારીઓ ચૂપ રહ્યા હતા, પરંતુ વારંવારની ધમકીઓથી કંટાળીને અંતે વેપારીઓ એક થયા અને મામલો પોલીસ સુધી પહોંચ્યો.
ADVERTISEMENT
સહયોગ ટ્રાવેલ્સ ઉપરાંત મઝદા ટ્રાવેલ્સ, સફલ ટ્રાવેલ્સ અને ન્યૂ મઝદા ટ્રાવેલ્સનાં નામ પણ સમગ્ર ઘટનાક્રમમાં સામે આવ્યાં છે. પોલીસ હવે અન્ય કોઈ વેપારી પાસેથી પણ આ પ્રકારની ઉઘરાણી થઈ હતી કે કેમ તે અંગે માહિતી મેળવી શકે છે.
ADVERTISEMENT
ખંડણીના બનાવ દરમિયાન ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી સિકંદર ટીંબિલયા પાછળ પણ શરીફખાન છરી લઈને દોડ્યો હોવાનો આક્ષેપ છે. આ ઘટનાથી આરોપીની બેફામ હરકતો સામે આવી હતી.
ADVERTISEMENT
શરીફખાન સુલતાનખાન પઠાણનો ગુનાઈત ઇતિહાસ પણ પોલીસ માટે તપાસનો મહત્ત્વનો મુદ્દો છે. જમાલપુર વિસ્તારમાં ત્રાસ મચાવતી બાલમખાન-હમઝા ગેંગ વિરુદ્ધ સપ્ટેમ્બર-૨૦૨૨માં ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગેંગમાં એક જ પરિવારના પાંચ સભ્યો સહિત કુલ છ આરોપીઓ સામેલ હતા. ગેંગનો મુખ્ય સરદાર બાલમખાન પઠાણ જેલમાં ગયા બાદ તેનો પુત્ર હમઝા ગેંગનું સંચાલન કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. આ ગેંગ સામે હત્યાના પ્રયાસ, મારામારી, બળજબરીથી ખંડણી વસૂલવી અને ધમકી સહિતના ૪૦થી વધુ ગંભીર ગુનાઓ ઉપરાંત નશીલા પદાર્થોના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું. ગુજસીટોક જેવા કડક કાયદા હેઠળ કાર્યવાહી થયેલા ગુનાઈત વર્તુળ સાથે શરીફખાનનું નામ જોડાતાં હાલની ખંડણીની ફરિયાદને પોલીસ ગંભીરતાથી લઈ રહી છે.
ADVERTISEMENT
આસ્ટોડિયા વિસ્તારના સફલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં નોકરી કરતા તૌફીક દેવગઢવાળાએ પણ શરીફખાન વિરુદ્ધ હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. હવે પોલીસ સામે સૌથી મોટો સવાલ એ છે કે ટ્રાવેલ્સના ધંધામાં કથિત ખંડણીનો આ ખેલ કેટલો જૂનો છે અને તેની પાછળ માત્ર એક શખ્સ છે કે અન્ય લોકોની પણ ભૂમિકા છે? એક પછી એક સામે આવતા આક્ષેપો વચ્ચે પોલીસ અન્ય ટ્રાવેલ્સ સંચાલકોની પૂછપરછ અને અગાઉની ઘટનાઓની કડીઓ તપાસે તો આ રહસ્યમાંથી વધુ ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ