બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / તોરલના રૂપ પાછળ કામાંધ બનેલા સધીર શેઠે રાતે ઘેર બોલાવ્યાં, જાણો મહાસતીએ કેવી રીતે તાર્યાં 3 નર? ભવ્ય ગાથા
8 માર્ચે ઈન્ટરનેશનલ મહિલા દિવસ છે. આ દિવસ નારી શક્તિને સમર્પિત છે. આ પુનિત દિવસે આત્મનિર્ભર નારીઓનું સન્માન કરવામાં આવે છે. મહિલા દિવસ તો કદાચ છેલ્લાં થોડા વર્ષોથી ઉજવાતો હશે પરંતુ આશરે 600 વર્ષ પહેલાં આપણા ગરવા ગુજરાતની ધરામાં થઈ ગયેલાં '100 ટચનું નારી રત્ન' એવા મહાસતી તોરલ, ભક્તિમાર્ગના સિદ્ધયોગી હતા, આખા સમાજને ચેતનવંતો બીજા શબ્દોમાં કહીએ તો આત્મનિર્ભર બનાવી દીધો અરે ત્યાં સુધી કે, એ કાળે કચ્છમાં જે 'કાળો નાગ' કહેવાતો એવો ખૂંખાર બારવટીયા જેસલ જાડેજાને પણ તોરલે બકરી જેવો નરમ ઘેંસ જેવો બનાવી દીધો અને લૂંટારામાંથી પીર બનાવીને તેને અમર કરી નાખ્યો હતો. સધીર શેઠ જેવા કામાંધ પુરુષને પણ તોરલે પરચો આપીને પીર બનાવેલા તે ઉપરાંત પતિ સાસતિયાને પણ સિદ્ધયોગી બનાવી દીધેલા. 'મોટા મા' બનેલા મહાસતી તોરલના ભવ્ય ભૂતકાળને આજે ઉખેળવો છે. આ પ્રસંગે તોરલ કોણ હતા? અને તેમણે કેવી રીતે કચ્છના ખૂંખાર બારવટિયાને પીર બનાવી દીધો અને તેમણે જીવનકાળ દરમિયાન શું કર્યું તેવી વાતોની ચર્ચા કરવી છે અને નારી દિવસે નારી રત્ન સમાન મહાસતી તોરલને સાચી ભાવાંજલિ આપવી છે.
ADVERTISEMENT
શું કહે છે તોરલના જન્મની ગાથા
તોરલના જન્મ સંબંધિત ઘણા લોકકથાઓ ચાલી રહી છે. લોકવાયકા મુજબ સતી તોરલનો જન્મ કાશીના જંગલમાં વૃક્ષ તરીકે થયો હતો અને તે વખતે ગુજરાતમાંથી ચાર વ્યક્તિઓ એક સુથાર, બ્રાહ્મણ, કઠિયારો અને સોની કાશીની જાત્રાએ જાય છે ત્યારે પહોંચતાં રાત પડી જતાં જંગલમાં રાતવાસો કરે છે હવે જે વૃક્ષ તરીકે તોરલનો જન્મ થયો તે વૃક્ષ પડી જાય છે અને સુકાઈ જાય છે અને દરમિયાન સુથારની નજર તેના પર પડે છે અને તેને વિચાર આવે છે આ લાકડામાંથી સુંદર મજાની મૂર્તિ બનાવી અને બનાવે છે ત્યારે સોની તેની પર સોનાના દાગીના ઘડાવીને મઢાવે છે અને બ્રાહ્મણ ગાયત્રી મંત્રનો જાપ કરીને પ્રાણ ફૂંક ત્યાર બાદ તેમાંથી એક સુંદર કન્યાં બને છે તે આ તોરલ એવી વાયકા છે, ત્યાર બાદ ચારે વચ્ચે વિવાદ થયો કે તોરલ કોની, કોઈ સમાધાન ન થતાં તેઓ તોરલને લઈને કાશી નરેશના દરબારમાં જાય છે અને કન્યાના બદલામાં ચારેય સોનામહોર માગે છે ત્યારે કાશી નરેશે તોરલેને સોના ભારોભાર જોખી હતી અને તે સોનું ચારેયને આપી દીધું અને તેથી તેમનું નામ તોરલ પડ્યું અને ત્યાર બાદ કાશી નરેશ તોરલને તેમના ગુરુ રામાનંદને સોંપે છે.
ADVERTISEMENT
કાઠી દરબાર સાસતિયાને સોંપાઈ તોરલ
હવે વાત કરવી છે સાસતિયા કાઠી દરબારની, એક વાર પંજાબના સોનગઢમાં ગુરુ રામાનંદની ભક્તને ઘેર પધરામણી થાય છે, આ દંપતી નિસંતાન હોવાથી રામાનંદે તેમને આશીર્વાદ આપ્યાં કે તેમને ત્યાં દેવ જેવો દીકરો થશે, ગુરુનું વચન સાચું પડ્યું અને નવે મહિના દીકરો જન્મતાં રામાનંદ તેનું નામ સાસતિયો રાખે છે આગળ જતાં તોરલના પતિ અને પાછળથી ભાઈ બને છે અને સંત તરીકે મોટી નામના કાઢે છે અને ત્યાર બાદ કથા છે ગુરુ રામાનંદે સાસતિયાને તોરલને કચ્છમાં ધ્રોળમાં લઈ જવાની આજ્ઞા આપતાં તોરલ ધ્રોળ આવે છે (ભૂચર મોરીના યુદ્ધ પાછળની જગ્યા)માં આવે છે અને તેમના લગ્ન સાસતિયા સાથે થાય છે પરંતુ એ પણ વિધીનું વિધાન હતું. હકીકતમાં તે કાળ સમાજને જાગૃત કરવા તોરલનો જન્મ થયો જેની કથા આગળ ઉપર આવશે.
ADVERTISEMENT
સાસતિયાના ઘેર તોરલ ખીલ્યાં
ધ્રોળમાં આગમન બાદ તોરલ ભક્તિમાર્ગમાં આગળ વધ્યાં, સાસતિયાના ઘેર રોજ રાતે ભજનોની રમઝટ બોલતી અને હવે આ પ્રસંગે જેસલ જાડેજાની કથાને સમાવવી યોગ્ય છે. જેસલ જાડેજા કચ્છના અંજારના ચાંદોજીના કુંવર હતા પરંતુ ગરાસ બાબતે વાંધો પડતાં તેમણે બારવટું ખેલ્યું અને અંજારના કજલીના જંગલમાં રહીને તેમણે લોકો પર ત્રાસ વર્તાવ્યો. તેમના નામની આખા કચ્છમાં હાક વાગતી અને તેઓ કચ્છના કાળો નાગ ગણાતા, માથાના જેટલા વાળ નહીં હોય તેટલા પાપ જેસલે કર્યાં હતા અને તેમણે લોકો પર ભારે જુલમ ગુજાર્યો હતો પરંતુ એક દિવસે જેસલને તેનું પાપ પોગી ગયું કે તેમને તોરલનો ભેટો થઈ ગયો.
ADVERTISEMENT
ભાભીનું મેણું લાગતાં જેસલ તોરલ લેવા ધ્રોળમાં આવ્યાં
એક દિવસ કચ્છના કેરાકોટથી જેસલ જાડેજાના ભાભી ધ્રોળમાં તોરલના દર્શને આવે છે અને તોરલની ભક્તિથી ભારે પ્રભાવિત થાય છે. ઘેર આવીને ભાભીએ જેસલને ટોણો માર્યો કે ગામ આખાને લૂંટવાનુ રહેવા દો જો ખરાં શૂરવીર હોવ તો સૌરાષ્ટ્રમાં જાવ અને તોરી નાર, તોરી ઘોડી અને તોરી તલવાર લઈ આવો તો તમને ખરા મર્દ ગણું. ભાભીનું મેણું જેસલને લાગી ગયું અને એક દિવસે એકલાં જ ધ્રોળ આવવા નીકળી ગયા, મનમાં તો નક્કી કરી રાખ્યું હતું આજે આ 3 વસ્તુઓ લઉં તો હું ખરો મર્દ, નહીંતર પાછો નહીં જઉઁ. આ બાજુ સાસતિયાને ઘેર રાતે ભજન જામ્યાં હતા. ધ્રોલમાં જેસલ તોરલ ની જગ્યા ભુચર મોરીના મેદાન પાછળ આવેલ છે. આ સ્થળે પાટોત્સવ રાખવામાં આવેલ હતો. ત્યાંથી આ ચાર વસ્તુ લેવા માટે જેસલ જાડેજા જાય છે. ત્યારે તેમની ઉંમર લગભગ 48 વર્ષની હોય છે. તે દિવસે અષાઢી બીજ નો ઉત્સવ હોય છે. ત્યાં પ્રસાદ વહેંચવામાં આવે છે.તે દરમિયાન એક વ્યક્તિ નો પ્રસાદ વધે છે જેસલ જાડેજા જ્યાં સંતાયેલ હોય છે. ત્યાં ઘોડી બાંધી હોય છે. તે છૂટી જાય છે. સતી તોરલ ખીલો ફરીથી ધરબતા જેસલ જાડેજા ના હાથમાં ખીલો ખૂચી જાય છે. પછી ખ્યાલ આવે છે. ખીલો દૂર કરી પાટો બાંધી પ્રસાદ આપવામાં આવે છે. જેસલ જાડેજા સતી તોરલ ને જોતા એકદમ શાંત પડી જાય છે. અને તેમને અલૌકિક શાંતિનો અનુભવ થાય છે. સાસતિયા કાઠી ગુરુ ઉગમશી તથા ગેબીનાથ ની ત્યારે હાજરી હોય છે. ગુરુની આજ્ઞા અનુસાર સાસતિયો પત્ની તોરલ, તોરલ ઘોડી અને તોરી તલવારને જેસલને સોંપે છે અને તે લઈ કચ્છ તરફ નીકળી પડે છે, જેસલ મનમાં હરખાય છે કે આખરે મેં આ વસ્તુ મેળવી લીધી પરંતુ તેને ખબર નહોતી કે આગળ પીર બનનારી ઘટના બનવાની છે અને તોરલ તેને ઉગારવાના છે. ત્યાર પછીની કથા તો જાણીતી છે, મધ દરિયામાં વહાણ ડૂબતાં જાડેજાએ પાપ પ્રકાશ્યું અને તોરલે તેમને બચાવ્યાં હતા આ ઘટના બાદ જેસલે બારવટું મેલીને ભક્તિને પંથ પડ્યાં.
ADVERTISEMENT
શું હતો સધીર શેઠનો કિસ્સો
કથા મુજબ એક દિવસ તોરલ સધીર શેઠ (તે વખતે કરિયાણાના મોટા વેપારી હોવાનું કહેવાય છે)ને સીધું લેવા આવે છે પરંતુ તોરલનું રુપ જોતાં સધીર શેઠનના મનમાં વાસનાના કીડો સળવળે છે અને તેમને ભોગવવાની ઈચ્છા થાય છે અને કરિયાણાની વસ્તુના બદલામાં રાતે ઘેર આવવાનું કહે છે તોરલે તેમની વાત સ્વીકારીને સીધું લઈ ગયાં વચન પ્રમાણે રાતે સધીર શેઠના ઘેર આવ્યાં, સધીર શેઠ તો તોરલને ભોગવવા તૈયાર બેઠા હતા, પણ આ તો આગ સાથે રમત રમવાની વાત અને મહાસતીનું તેજ, આભા જોઈને કામાંધ સધીર શેઠનો કામ વરાળ બનીને ઉડી ગયો અને તોરલના પગમાં પડ્યાં અને આગળ ઉપર મહાન સંત બન્યાં અને અંજારમાં જેસલ-તોરલની સમાધિના ઉંબરા આગળ તેમને સમાધિ લીધેલી.
ADVERTISEMENT
શું હતો જેસલ તોરલનો કિસ્સો
કચ્છના ખૂંખાર બારવટિયા અને કાળા નાગ તરીકે પંકાયેલા જેસલ જાડેજા પણ તોરલ સાથે લગ્ન કરવા માગતા હતા પરંતુ મહાસતીના પ્રભાવ હેઠળ આવેલા એ ખૂંખાર બારવટીયામાં ભક્તિ પ્રગટી અને તેમણે કચ્છના અંજારમાં સતી સાથે (વહાણ ડૂબ્યાંની ઘટના બાદ કચ્છના અંજારમાં પાછા ફર્યાં અને ત્યાં જ સમાધિ લઈને મહાપ્રયાણ કર્યું) રહેતાં અને ભક્તિ કરતાં રહ્યાં. ત્યાં સુધી કે એ બારવટીયો તોરલના કપડાં ધોવા પણ નદીએ જતાં અને ખેતર ખેડવા હળ પણ હાંકતા, કારણ તેમનો ગર્વ ગળી ગયો હતો અને આવી રીતે મહાસતી તોરલે તેમને પીર બનાવ્યાં હતા અને ભક્તિ કરતાં કરતાં અંજારમાં જ સમાધિ લઈને મહાપ્રયાણ કર્યું. આમ એક નારીશક્તિના પ્રભાવ હેઠળ આવેલો ખૂંખાર બારવટીયો પણ પીર બનીને અમર બની ગયો.
8 માર્ચે ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
ઉલ્લેખનીય છે કે દર વર્ષે 8 માર્ચના દિવસે સમગ્ર દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.