ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વૈકયા નાયડુને જૂન ૨૦૨૦ સુધી બોઇંગ ૭૭૭ પ્રકારના બે વિમાનો ફાળવવાની તજવીજ હાથ ધરાઈ છે. આ વિમાનો એડવાન્સ સિક્યોરીટી સિસ્ટમથી સુસજ્જ હશે જે આ વિમાનોને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના વિમાન એરફોર્સ વન જેટલું સુરક્ષિત બનાવી દેશે. અલબત્ત આ સુરક્ષા ઉપકરણો ફીટ કરવા માટે ૧૯ કરોડ ડોલર જેટલો ખર્ચ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વૈકયા નાયડુને પ્રવાસ કરવા માટે લેટેસ્ટ ટેકનોલોજીના બે “બોઇંગ ૭૭૭” વિમાનો જૂન ૨૦૨૦ સુધી ફાળવવાની યોજના ચાલી રહી છે. આ હાઈટેક વિમાનો બોઇંગ કંપનીના ડલ્લાસ યુનિટમાં બને છે. નવા વિમાનો સુરક્ષાની દ્રષ્ટિએ USAના રાષ્ટ્રપ્રમુખના એર ફોર્સ વન જેટલા જ સક્ષમ હશે.
આ બંને વિમાનો હાલ પુરતા ફૂકત દેશના ત્રણ મોભીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વૈકયા નાયડુને આપવામાં આવશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા વાપરવામાં આવતા વિમાનને “એર ફોર્સ વન” કહેવાય છે. તે જ પ્રમાણે આ વિમાનોને "એર ઇન્ડિયા વન" કહેવાશે.
ઉલ્લેખનીય છે કે આ ત્રણેય વડા અત્યારે બોઇંગ b747 વિમાનો વાપરે છે. આ વિમાનો બે દાયકા જુના છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જે વિમાન વાપરે છે તે ૨૬ વર્ષ જુનું છે. તેમની હમણાંની સ્વીત્ઝરલૅન્ડના ઝુરિક શહેરની મુલાકાત સમયે તેમના વિમાનમાં કેટલીક ટેકનીકલ ખામીઓ પણ ઉદ્ભવી હતી.
શું હશે વિશેષતાઓ?
આ વિમાનો ભારત અને અમેરિકા વચ્ચે રેફ્યુલ કરવા માટે રોકાયા વગર સળંગ સફર કરી શકશે.
આ વિમાનમાં PM મોદીને ચાલુ સફરમાં મીટીંગ કરવા માટે રૂમો અને ઓફીસની જગ્યા અને કોમ્યુનીકેશન સિસ્ટમ આપેલી છે.
સુરક્ષા માટે આ વિમાનમાં એર ફોર્સ જેવો જ Self Protection Suite (SPS) આપેલો છે. આ સુરક્ષા પ્રણાલી લાર્જ ઍરક્રાફ્ટ ઈન્ફ્રારેડ કાઉન્ટરમેઝર્સ, ઈન્ટિગ્રેટેડ ડિફેન્સીવ ઈલેક્ટ્રોનિક વૉરફેર સૂટ અને કાઉન્ટર-મેઝર્સ ડિસ્પેન્સિંગ સિસ્ટમ જેવી ટેકનોલોજીથી સુસજ્જ હશે.
આ ટેકનોલોજી દુશ્મનની રડાર ફ્રિકવન્સીને જામ કરીને વિમાન તરફ તકાયેલી મિસાઈલનો રસ્તો બદલી શકે છે. આ તમામ એક્શન ઓટોમેટીક હશે અર્થાત પાઈલોટને ફક્ત ખતરાની જાણ કરવામાં આવશે બાકીનું કામ સિસ્ટમ પોતે કરી દેશે.
નોંધનીય છે કે આ એડવાન્સ સુરક્ષા પ્રણાલી અમેરિકા દ્વારા વિકસાવામાં આવી છે અને ફેબ્રુઆરી ૨૦૧૯માં અમેરિકાએ જાહેર કર્યું હતું કે તેઓ ભારતને પણ VIP વિમાનો માટે આ સુરક્ષા પ્રણાલી આપશે.