વાળ આપણી સુંદરતાને વધારે છે. મોસમમાં પરિવર્વતનના કારણે વાળને સ્વસ્થ રાખવા કેટલીક સાવધાનીઓ રાખવી જરૂરી છે.
વાળમાં બેદરકારી દાખવીએ તો વાળમાં ડેન્ડ્રફ અને ફંગલ ઇન્ફેક્શન થાય છે. નિયમિત વાળની સફાઇ પણ જરુરી છે તેના લીધે વાળનું ખરવુ, તુટવુ અને ટાલ પડવાની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે.
વાળ ખરવા આમ તો સામાન્ય બાબત બની ગઇ છે. વાળ ખરવાનું મુખ્ય કારણ વધતી ઉંમર, યોગ્ય માત્રામાં પોષક તત્વો ન મળવા, ડેન્ડ્રફ અને ફંગલ ઇન્ફેક્શન છે. કેટલીક સાવધાનીઓ અને આયુર્વેદમાં ઘણા એવા ઉપચાર છે જેના કારણે વાળ ખરવાની સમસ્યા રોકી શકાય છે કે ઓછી તો કરી જ શકાય છે.
ડેન્ડ્રફથી બચો
વરસાદમાં વારંવાર ભીંજાવાથી, પરસેવાથી કે વાળ ધોયા બાદ તે સારી રીતે ન સુકવવાથી અથવા તો વાળની યોગ્ય રીતે સફાઇ ન કરવાથી પણ વાળમાં ડેન્ડ્રફ અને ફંગલ ઇન્ફેક્શન થાય છે. માથામાં કંઇક ઇજા થવાથી પણ ઇન્ફેક્શન થાય છે. કોઇ વ્યક્તિને આવું ઇન્ફેક્શન થયુ હોય તો તેનાથી દુર રહેવું જોઇએ.
આટલું ધ્યાન રાખો
- વાળને ધોયા બાદ કે વાળ પલળ્યા હોય ત્યારે તેમાં ડ્રાયર ન ફેરવો. વાળને નેચરલ રીતે સુકાવા દો.
- ભીના વાળમાં ક્યારેય તેલ ન લગાવો.
- તમારા હેરઓઇલને સહેજ ગરમ કરીને તેમાં કપુર મેળવીને વાળમાં માલિશ કરો. આ માટે નારિયેલ તેલ, સરસવનું તેલ કેબદામના તેલનો પ્રયોગ કરો.
- વાળમાં ડેન્ડ્રફ હોય તો લીમડાનું તેલ કે દિવેલનો પ્રયોગ કરો.
- મેથી રાત્રે પલાળી દો. સવારે તેને પીસીને વાળમાં લગાવો તેનાથી ડેન્ડ્રફ અને બીજી સમસ્યાઓ પણ દુર થશે.
- જો તમે માથામાં હેલમેટ કે કેપ પહેરતા હો તો વાળનો પરસેવો સુકવો અથવા સાંજે સારી રીતે માથુ ધોઇને નાહી લો.
- બીજાના ટોવેલ, કાંસકા કે તકિયાનો ઉપયોગ ન કરવો. વાળમાં તેલ લગાવ્યાના ત્રણથી ચાર કલાક બાદ વોશ કરો. અથવા
આખી રાત તેલ રહેવા દો.
- વાળમાં દહીં અને લીંબુની પેસ્ટથી મસાજ કરો. ત્યારબાદ વાળ ધોઇ લો.
- આમળા, અરીઠા અને શિકાકાઇથી વાળ ધોવો.