જબ કુત્તે પે સસ્સા આયા તો એહમદ શાહને શહર બસાયા...આ કહેવત જેટલી ફેમસ છે તેના કરતાં પણ વધારે ફેસમ છે અમદાવાદની 120 વર્ષ જુની ચંદ્રવિલાસ રૅસ્ટોરન્ટ.
120 વર્ષ જૂની અમદાવાદની હેરિટેજ રેસ્ટોરન્ટ
150 વર્ષથી સળગે છે અખંડ જ્યોત
ચંદ્રવિલાસમાં ફાફડા ન ખાધા તો શું અમદાવાદ આવ્યા?
કેવી રીતે થઇ શરૂઆત?
ચંદ્રવિલાસ 120 વર્ષ જૂની હોટલ છે અને તેની શરૂઆત માત્ર ચાથી થઇ હતી. ત્યાંની ચા એટલી વખણાતી કે લોકો સ્પેશ્યલ ચા પીવા માટે દૂર દૂરથી આવતાં હતા. એક દિવસમાં લગભગ 18000 કપ ચા વેચાતી હતી. ચા જલ્દી બની જાય તેના માટે એક મોટી કિટલીમાં ગરમ પાણી ભરીને રાખતા હતાં જેથી તે ચાનું નામ લાયબંબાવાળી ચા પડ્યું હતું. લોકો કહેતા કે લાયબંબાવાળી ચા પીવા જઇએ.
ચાથી ફાફડા સુધીની સફર
ચા તો ફેમસ થઇ જ ગઇ પરંતુ પછી આગળ વિચાર્યું કે, બીજું કંઇ પણ શરૂ કરીએ. ત્યારે ફાફડા વેચાણની શરૂઆત કરી હતી. ફાફડાની સાથે સાથે કઢી પણ ખુબ ખવાય છે અને ચંદ્રવિલાસમાં જે લોકો આવતાં તેમને કઢી ખુબ પ્રિય હતી માટે તે સમયના ઓનરે એક પાઇપવાળું પાત્ર બનાવ્યું અને તેના નીચે તે સમયમાં ટ્રોલી બનાવી. તે ટ્રોલીને લઇને આખી હોટલમાં ફરતાં અને લોકોને કઢી પીરસતાં હતા.
ચંદ્રવિલાસે પાડ્યો ફાફડા જલેબીનો ટ્રેન્ડ
ફાફડા અને ચા બાદ, ફાફડા અને જલેબીનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. ફાફડા તેમજ જલેબી તો લોકો અલગ અલગ ખાતા જ હતા પરંતુ બંને સાથે ખાઇ શકાય, આ કોમ્બિનેશન આટલું સરસ લાગે તેની શરૂઆત ચંદ્રવિલાસે કરી હતી. તે સમયે કોઇ વિજ્યાદશમી પર ફાફડા જલેબી નહોતું ખાતું પરંતુ ચંદ્રવિલાસના આ ટ્રેન્ડથી લોકોએ પણ વિજ્યાદશમી પર ફાફડા જલેબી ખાવાની શરૂઆત કરી હતી તેવો દાવો કરવામાં આવ્યો છે. તે સમયે કહેવાતું હતું કે જો ચંદ્રવિલાસના ફાફડા જલેબી દશેરાના દિવસે ખાવા મળી જાય તો અહોભાગ્ય.
પહેલી ગુજરાતી થાળી પણ ચંદ્રવિલાસના નામે
ચંદ્રવિલાસના માલિકે જણાવ્યું કે, ગુજરાતી થાળી આપણે કોઇ પણ હોટલમાં જઇએ તો જોવા મળે છે પરંતુ ગુજરાતમાં ગુજરાતી થાળી શરૂ કરવાનો શ્રેય પણ ચંદ્રવિલાસને જાય છે તેવો તેમણે દાવો કર્યો છે. તે સમયે એક મોટો પાપડ પીરસવામાં આવતો હતો. આજે પણ લોકો તેને યાદ કરે છે કે તે પાપડ હજુ પણ પીરસવામાં આવે છે કે નહી.
સેલેબ્સની પ્રિય જગ્યા
હું અમદાવાદનો રિક્ષાવાળો... આ ગીત કદાચ જ કોઇએ નહીં સાંભળ્યું હોય. તે ગીતમાં ચાર લાઇન ચંદ્રવિલાસ હોટલને લઇને લખાઇ છે. સાથે જ ગાંધીજી, કિશોર કુમાર, અમિતાભ બચ્ચન, સરદાર પટેલ જેવા લોકો પણ ચંદ્રવિલાસની મુલાકાત લઇ ચૂક્યા છે.
150 વર્ષ જૂની અખંડ જ્યોત
ચંદ્રવિલાસ 4 માળની હોટલ હતી પરંતુ આગ લાગતા તેના ઉપરના ત્રણ માળ બળીને ખાખ થઇ ગયા હતા પરંતુ એવું માનવામાં આવે છે કે આ જ્યોત ગ્રાઉન્ડ ફ્લોર પર હોવાના કારણે તે ફ્લોર બચી ગયો હતો. આજે પણ તે જ્યોત ચંદ્રવિલાસમાં છે.