હાર્દિક પટેલ સામે પ્રદેશ કોંગ્રેસ કરી શકે છે કાર્યવાહી, જગદીશ ઠાકોર અને અમિત ચાવડાએ આપ્યા મહત્વના નિવેદન
હાર્દિક કોંગ્રેસમાંથી થશે સાઈડલાઈન?
'શિબિરમાં જવાનો મતલબ નહીં'
'હાર્દિકને આમંત્રણ હતુ'
પાટીદાર યુવા મોટો ચહેરો અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સતત ગુજરાત કોંગ્રેસના નેતૃત્વને ટાર્ગેટ કરી રહ્યા છે. એક બાદ એક બાદ નિવેદનો આપી હાર્દિક કોંગ્રેસની નારાજ હોવાનું રટણ કરી રહ્યો છે. રાહુલ ગાંધીને ફરિયાદ કરી નિવેડો લાવવાની વાત કરી રહ્યો છે પણ હવે ગુજરાત પ્રદેશ નેતૃત્વએ પણ હાર્દિક પટેલ સામે બાયો ચડાવી છે. પાર્ટીમાં શિસ્તભંગ મુજબ હાર્દિક પટેલ પર કોઈ મોટી કાર્યવાહી થશે તેવા એંધાણ વર્તાઇ ચૂક્યા છે.
હાર્દિક પ્રદેશના નેતાઓ સાથે વાત નથી કરતાઃ જગદીશ ઠાકોર
હાર્દિક પટેલથી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ નારાજ ચાલી રહ્યા છે. કારણ કે હાર્દિક પટેલ જાહેરમાં નિવેદન આપી નારાજ હોવાની વાતો વહેતી કરે છે. જેના પર ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે હાર્દિક પ્રદેશના નેતાઓ સાથે વાત નથી કરતા, હાર્દિક કોઇ પણ પ્રકારનો સંવાદ નથી કરતા. આ વલણ પરથી લાગી રહ્યું છે કે હાર્દિક પટેલને કોંગ્રેસમાંથી ટાટા બાય બાય કહેવાનો કારસો રચાઇ ગયો છે. હાર્દિક પટેલ સામે પ્રદેશ કોંગ્રેસ શિસ્ત ભંગની કાર્યવાહી કરી સસ્પેન્ડ સુધીના પગલાં લઈ શકે છે.
કોંગ્રેસે હાર્દિકને નાની ઉંમરમાં મોટી જવાબદારી સોંપી: અમિત ચાવડા
તો સમગ્ર મામલે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેઓએ હાર્દિક પટેલને ટકોરની ભાષામાં કહ્યું છે કે નિમંત્રણ હોવા છતાં ચિંતન શિબિરમાં હાર્દિક કેમ નથી આવ્યા તે હું નથી જાણતો પણ કોંગ્રેસે નાની ઉમંરમાં હાર્દિકને સૌથી મોટી જવાબદારી સોંપી છે. ત્યારે હવે હાર્દિકને સમજવાની જરૂર છે કે આ જવાબદારી શિરે લઈ પાર્ટી માટે સારું કરે.
અમે લોકોએ પાર્ટીને આપ્યું છે, પાર્ટી જોડેથી અમે લોકોએ આજ દિન સુધી કંઇ લીધુ નથી: હાર્દિક
આ સિવાય હાર્દિકે કોંગ્રેસથી નારાજગી મુદ્દે જણાવ્યું કે, "જ્યાં સુધી મુદ્દાનું નિરાકરણ ના આવે ત્યાં સુધી હું ઉદયપુરની બેઠકમાં જઇને શું કરું. અમે લોકોએ પાર્ટીને આપ્યું છે, પાર્ટી જોડેથી અમે લોકોએ આજ દિન સુધી કંઇ લીધુ નથી. 2015 હોય, 2017 હોય કે પછી એના પછીનો સમય હોય, અમે હંમેશા અમારા 100 ટકા આપ્યા છે. ગુજરાતની જનતાની અંદર જાગૃતિ લાવીને કોંગ્રેસ સાથે લોકોને જોડવાનું કામ કર્યું છે. નારાજગી કરતા પણ વધારે પાર્ટી ફોરમમાં સ્વતંત્રતાની રીતે સાચી વાત મૂકવી ખૂબ જરૂરી હોય છે.'
નરેશ પટેલ જે પણ પાર્ટીમાં જોડાશે તે પાર્ટીને ચોક્કસથી ફાયદો થશે: હાર્દિક
આ સાથે હાર્દિકે એમ પણ કહ્યું કે, 'નરેશ પટેલ કોઇ પણ રાજકીય નિર્ણય લે છે ત્યારે અમે તેઓની સાથે જ છીએ. નરેશ પટેલ કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે સીધા સંપર્કમાં છે.' જણાવ્યું કે, 'આજે નરેશભાઇ સાથે અનેક મુદ્દાઓને લઇને ચર્ચા થઇ. કેસો પરત ખેંચવા સહિતના અનેક મુદ્દાઓ પર અમારે બેઠકમાં ચર્ચા થઇ. નરેશ પટેલ રાજકારણમાં જલ્દી જોડાય તેવી અમે માંગ કરી છે. નરેશ પટેલ દરેક સમાજના લોકોની ચિંતા કરે છે. નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે પણ બેઠકમાં ચર્ચા થઇ. નરેશ પટેલ જે પણ પાર્ટીમાં જોડાશે તે પાર્ટીને ચોક્કસથી ફાયદો થશે.'