બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / મિત્રને બચાવવા જતા પાડોશી મોતને ભેટ્યો, સુરતમાં વીજ કરંટે લીધો 2 યુવકોનો ભોગ
Last Updated: 12:38 PM, 7 July 2026
Rander Electric Shock : સુરતમાં ભારે વરસાદ વચ્ચે એક દુ:ખદ ઘટના સામે આવી છે. વિગતો મુજબ સુરતના રાંદેર વિસ્તારમાં એક એવી દુર્ઘટના બની છે, જેણે સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. વરસાદમાં ભીંજાઈને ઘરે પરત ફરેલા એક યુવકને લોખંડની સીડીમાં કરંટ લાગતાં તેનું મોત થયું હતું. તેને બચાવવા માટે દોડેલા તેના મિત્ર અને પાડોશી પણ કરંટની ઝપેટમાં આવી ગયા અને તેમનું પણ મોત નીપજ્યું. આ ઘટનાએ બે પરિવારોને એક જ ક્ષણમાં શોકમાં ગરકાવ કરી દીધા છે.
ADVERTISEMENT
શું છે આ કરુણ ઘટના ?
પ્રાથમિક વિગતો મુજબ રાંદેર ગામ વિસ્તારમાં રહેતો 28 વર્ષીય આઝમ આલમ અબ્દુલ કમાલ વરસાદમાં ભીંજાઈને ઘરે પરત ફરી રહ્યો હતો. ભીના કપડાં સાથે તે ઘરની લોખંડની સીડી ચઢી રહ્યો હતો ત્યારે અચાનક સીડીમાં કરંટ ઉતરેલો હોવાથી તેને જોરદાર વીજ ઝટકો લાગ્યો. કરંટ એટલો પ્રબળ હતો કે તે ત્યાં જ ઢળી પડ્યો અને મદદ માટે બૂમો પાડી.
ADVERTISEMENT
મિત્ર મદદે આવ્યો પણ તેનો પણ જીવ ગયો
આઝમની ચીસ સાંભળીને નજીકમાં રહેતા તેના 43 વર્ષીય મિત્ર અને પાડોશી મોહમ્મદ સલમાન મોહમ્મદ ઈરશાદ શેખ તરત જ તેને બચાવવા દોડી આવ્યા. પરંતુ ભીના વાતાવરણ અને કરંટના કારણે તેઓ પણ વીજ પ્રવાહની ઝપેટમાં આવી ગયા. જોતજોતામાં બંને બેભાન થઈ ગયા. સ્થાનિક લોકોએ વીજ પુરવઠો બંધ કરાવી બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા, પરંતુ તબીબોએ તપાસ બાદ બંનેને મૃત જાહેર કર્યા.
ADVERTISEMENT
આ ઘટનાનો સૌથી કરુણ વાત એ છે કે, એક મિત્રને બચાવવાનો પ્રયાસ કરનાર વ્યક્તિએ પોતાનો પણ જીવ ગુમાવ્યો. મૃતકોના પરિવારજનો હોસ્પિટલ પહોંચતાં જ શોકમાં તૂટી પડ્યા હતા. ખાસ કરીને મૃતક યુવકની પત્ની અને પરિવારના આક્રંદે ત્યાં હાજર દરેકની આંખો ભીની કરી દીધી હતી.
મકાનમાલિકને અનેક વાર જાણ કરી પણ...
ADVERTISEMENT
આ તરફ હવે મૃતક સલમાનના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, જે મકાનમાં તેઓ રહેતા હતા ત્યાં અગાઉ પણ વીજ કરંટની સમસ્યા હતી અને આ અંગે મકાન માલિકને અનેક વખત જાણ કરવામાં આવી હતી. પરિવારના જણાવ્યા પ્રમાણે, અગાઉ પણ ઘરમાં કરંટ લાગવાની ઘટનાઓ બની હતી, છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નહોતો. જોકે આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી.
ADVERTISEMENT
પોલીસ તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક રીતે કરંટ લાગવાથી મોત થયાની શક્યતા સામે આવી રહી છે. જોકે, કેટલાક લોકો ભારે વરસાદ દરમિયાન આકાશી વીજળી પડવાની શક્યતાની પણ ચર્ચા કરી રહ્યા છે. બંનેના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલ પોલીસ સમગ્ર ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે અને જો કોઈ બેદરકારી સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.