21 તાલુકાઓમાં 80 ટકા વરસાદની ઘટ;પાણી છે ત્યાં વીજળી આપો
ગુજરાતમાં અષાઢ કોરો ધાકોડ અને શ્રાવણમાં પણ છૂટાં-છવાયા સરવરિયાને બાદ કરતાં ક્યાંય વરસાદ નથી. પરિણામે ગુજરાતમાં દુષ્કાળની સ્થિતિ જળુંબી રહી છે. આવા સંજોગોમાં રાજ્યના ખેડૂતોની મુરજાતિ ઊભી મોલાતુંને જીવનદાન આપવા સરકારે સત્વરે પગલાઓ લઈ, ખેડૂતોના ખેતર અને જીવનને સંજીવની આપવા સઘન પ્રયાસો કરવા જોઈએ.ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસના અગ્રણી પરેશ ધાનાણીએ રાજ્યના મુખ્યમંત્રીને એક પત્ર લખી માંગણી કરી છે.
ધાનાણીએ શું લખ્યું છે પત્રમાં?
ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા 'તાઊકતે' વાવાઝોડાએ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે ખાના-ખરાબી સર્જી દીધી હતી. આ મૂઢ મારની કળ પણ વળી નથી ત્યાં વરસાદની મોટી ઘટએ,ખેડૂતને પાયમાલી તરફ ધકેલી દિધો છે. રાજ્યના 251 તાલુકાઓ પૈકી 230 જેટલા તાલુકાઓમાં 40 ટકાથી પણ ઓછો વરસાદ છે. તો 21 તાલુકાઓમાં 80 ટકાથી વધુ વરસાદની ઘટ છે. આવા સંજોગોમાં મોંઘા ભાવના બિયારણ -ખાતર નાખવા છતાં ખરીફ પાકની ઊભી મોલાતું મૂરજાઈ જવાના આરે ઊભી છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર લખી ખેડૂતોને વીજકરમાં તો રાહત આપવા સાથે જે વિસ્તારમાં પાણી છે,ત્યાં વીજળીના કલાકો વધારે આપવા માંગણી કરી છે. આ ઉપરાંત કિસાન સહાય યોજના અંતર્ગત પણ ખેડૂતોને લાભ આપવા માંગણી કરી છે. પરેશ ધાનાણીએ રાજ્યના ઔધોગિક એકમોને ફાળવાતા પાણીમાં કાપ મૂકવાની અને એ હિસ્સો સિંચાઇ માટે ખેડૂતોને આપવા પણ રજૂઆત કરી છે.
સુકાતા મોલ સૃષ્ટિના,પછી વૃષ્ટિ થયાથી શું ?
ગુજરાતમાં અષાઢ અને શ્રાવણ પૂર્ણ થયો છે. આમ છતાં ખરીફ પાકને જીવતદાન મળે તેવા વરસાદનો કોઈ જ વરતારો નથી. પરિણામે જગતાત,પાકની ઉપજ અંગે પણ ચિંતિત છે. હજુ સપ્તાહ પૂર્વે જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે,રાજ્યના જળાશયોની પાણીની સ્થિતિ અંગેનો ચિતાર આપી કહ્યું હતું કે, સિંચાઇ માટે આપી શકાય તેટલું પાણી નથી. પરિણામે,રાજ્યના ખેડૂતોમાં ઘેરી નિરાશા વ્યાપી છે. આવા સંજોગોમાં પરેશ ધાનાણી એ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોના પાક અને પારિવારિક મન;સ્થિતિથી અવગત કરાવી સંવેદના ઢંઢોળવા પ્રયાસ કર્યો છે.