બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / 4-4 ગાડી હોવા છતાં મંત્રીએ માગી નવી ગાડીની મંજૂરી, બીજી તરફ IAS અધિકારીઓને ન મળ્યા IPL ફાઈનલના પાસ
Last Updated: 11:43 AM, 9 June 2025
બુધવાર કેબિનેટની બેઠક નહીં મળતા અધિકારીઓને હાશકારો
ADVERTISEMENT
દર બુધવારે ગાંધીનગરમાં મંત્રીમંડળની કેબિનેટની મીટીંગ મળતી હોય છે. જેમાં પહેલા ભાગમાં મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને COS એટલે કે કમિટી ઓફ સેક્રેટરીની મીટીંગ મળતી હોય છે. જેમાં ACS,પ્રિન્સિપલ સેક્રેટરીઓ તેમજ સેક્રેટરીઓ હાજર રહેતા હોય છે. બીજી બાજુ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મંત્રીમંડળની બેઠક મળતી હોય છે. COSમાં વિવિધ ડિપાર્ટમેન્ટના સચિવ દ્રારા કોઈ ચોક્કસ વિષય આધારિત પ્રેઝન્ટેશન રખાતું હોય છે. ત્ચાર બાદ તેમાં ચર્ચા વિચારણા ચાલતી હોય છે. જ્યારે મંત્રીઓની કેબિનેટમાં પોલિટિકલ ચર્ચા ઉપરાંત રાજ્યમાં ચાલી રહેલા મહત્વના પ્રોજેક્ટ્સની તેમજ અન્ય મહત્વની ચર્ચા થતી હોય છે. બન્ને મીટિંગ્સ અલગ અલગ થતી હોય છે. ત્યાર બાદ મુખ્યમંત્રી દ્રારા મુખ્ય સચિવને મંત્રીમંડળની બેઠકમાં આવવા માટેની સૂચના આપવામાં આવે છે. જેને લઈને તમામ સચિવો અને મંત્રીઓની કેબિનેટની બેઠક મળતી હોય છે. જો કે, કેબિનેટની બેઠકમાં કેટલાક સચિવોને ગભરાટ હોય છે કે, કોઈક મુદ્દે જો આ મીટિંગમાં CM કે CSનો ઠપકો ના ખાવો પડે. જેથી ગત બુધવારે કેબિનેટની બેઠક નહીં મળતા મોટાભાગના સચિવોએ હાશકારો લીધો હતો.
એક મંત્રીએ નવી ગાડીની ખરીદી માટે સરકાર પાસે મંજૂરી માગી
ADVERTISEMENT
કેબિનેટ કક્ષાના એક મંત્રીએ થોડા દિવસો પહેલા જ પોતાના માટે નવી નકોર ગાડી ખરીદવાની મંજૂરી માગી છે. સચિવાલયમાં ચર્ચા છે કે, આ મંત્રી પાસે હાલમાં ચારથી વધુ ગાડીઓ છે. આમ છત્તા તેમને નવી ગાડી જોઈએ છે. આવા ખોટા ખર્ચ કરવાની ક્યા જરૂર છે એવી વાતો બ્યુરોક્રેટ્સમાં શરૂ થઈ છે. જો કે, મુખ્યમંત્રી કે અન્ય સિનિયર અધિકારીઓ આ સંદર્ભમાં મૌન રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. તેઓ આટલી નાની વાતને લઈને કોઈ મોટો વિવાદ ઉભો થવા દેવા માગતા નથી. પરંતુ ખાનગીમાં તેઓ રોષ વ્યક્ત કરી રહ્યા છે. તેમજ એકબીજાને કહી રહ્યા છે કે, જરૂરત નહી હોવા છતાં શક્તિપ્રદર્શન માટે નાગરિકોના ટેક્સના નાણાં ખોટી રીતે બગાડવા જોઈએ નહીં. એવી ચર્ચા છે કે, હવે જ્યારે પણ મંત્રી મંડળનું વિસ્તરણ થશે તેમાં આ મંત્રીની હકાલપટ્ટી નિશ્ચિત છે. કેમ કે, નવી કારની ખરીદીનો જ પ્રશ્ન નથી આ મંત્રી સાહેબનો પગ ભ્રષ્ટાચારના કુંડાળામાં પડી ગયો હોવાથી તેઓ ક્યારનાય મોટા નેતાઓના રડાર પર છે.
એક જ મહિનો ફરજ બજાવીને મહિલા IASએ યુપીનો રસ્તો કેમ પકડ્યો?
ADVERTISEMENT
2024ની બેચના IAS અધિકારી અપરાજીતા આર્યન પોતાની ટ્રેનિંગ પૂરી કરીને હજુ એકાદ મહિના પહેલા જ ગુજરાતમાં આવ્યા હતા. સરકારે તેમને ખેડામાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે પોસ્ટિંગ આપી હતી. તેઓ હજુ સેટ પણ થયા નહોતા. દરમિયાનમાં ઉત્તર પ્રદેશમાં ફરજ બજાવતા એક IPS અધિકારી સાથે તેમના લગ્ન લેવાયા હતા. જેને લઈને હવે આ યુવા મહિલા અધિકારી પોતાની ગુજરાત કેડરને બદલીને ઉત્તર પ્રદેશ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અપરાજીતા ખેડાથી ગાંધીનગર સચિવાલયમાં આવ્યા હતા. જ્યાં તેઓ GADના એડિશનલ ચીફ સેક્રેટરી કમલ દાયાની મળી વિનંતી કરી હતી કે, તેમના લગ્ન થયા હોવાથી તેઓ હવે યુપી જવા માંગે છે અને કેડર બદલવા માગે છે માટે શક્ય તેટલા અહીંથી તેમને ઝડપથી છૂટા કરવા. ACSએ પણ તેમની વાત શાંતિથી સાંભળી હતી, તેમજ જવાબ આપ્યો હતો કે સરકાર તેમને પૂરો સહકાર આપશે અને બેથી ત્રણ દિવસમાં જ તેમને અહીંથી છૂટા કરવાની મંજૂરી આપી દેશે, જ્યારે કેડર બદવા માટે બ્યુરોક્રેટ્સમાં એવો નિયમ છે કે, જો કોઈના લગ્ન થાય તો તે બીજા રાજ્યોમાં જઈ શકે છે પરંતુ પોતાના હોમ સ્ટેટમાં કેડર બદલીને પણ પાછા આવી શકતા નથી. જો કે અપારજીતા મુળ જમ્મુ કાશ્મીરના હોવાથી તેમની કેડર સરળતાથી બદલાઈ જશે.
બે દંપતી દિલ્હી ડેપ્યુટેશન પર ગયા, આ બાજુ ખાલી પડેલી જગ્યા પર પોસ્ટિંગ માટે IASનું લોબિંગ
ADVERTISEMENT
ગયા સપ્તાહે ગુજરાત કેડરના બે કપલ એટલે કે કુલ ચાર IAS અધિકારીઓને દિલ્હી ડેપ્યુટેશન પર જવાની મંજૂરી મળી જતા હવે આ ચારેય પોસ્ટ ખાલી પડી છે. ટુરિઝમના MD તરીકે સાઈકિંગપૂઈ છાકછૂઆક અને તેમના પતિ IAS સુપ્રિતસિંઘ ગુલાટી ડી સેગના CEO તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે મનીષા ચંદ્રા પંચાયત-ગ્રામ વિકાસ સચિવ તરીકે અને તેમના પતિ કે. કે. નિરાલા નાણા વિભાગમાં સચિવ તરીકે ફરજ બજાવતા હતા. જો કે, તેમને મંજૂરી મળી ગયા બાદ પણ તેઓ તાત્કાલFક છૂટા થયા નથી પરંતુ હવે ગમે તે ક્ષણે છૂટા થઈને દિલ્હી જતા રહેવાના છે. દરમિયાનમાં છેલ્લા ઘણા સમયથી સાઈડ પોસ્ટિંગમાં રહેલા કેટલાક IAS અધિકારીઓએ આ ચાર પૈકીમાંથી કોઈ જગ્યાએ પોતાને પોસ્ટિંગ મળે તે માટેનુ લોબિંગ શરૂ કરી દીધુ છે. અમુક અધિકારીએ તો CMOના અધિકારીઓનો પણ સંપર્ક શરૂ કર્યો છે. જ્યારે અમુક અધિકારીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પોતાને ચોક્કસ પોસ્ટિંગ મળે તે માટે આડકતરો ઈસારો કર્યો છે. આગામી બેથી ત્રણ દિવસમાં જ આ ચારેય જગ્યા પર નવી નિમણૂક અપાઈ જશે.
IPLની ફાઈનલ મેચ જોવા માટે અનેક IAS અધિકારીઓને પાસ માટે વિનંતીઓ કરવી પડી
ADVERTISEMENT
ગુજરાતમાં ફરજ બજવતા કેટલાય IAS અધિકારીઓ ક્રિકેટના બહુ જ શોખીન છે. અમદાવાદમાં કોઈપણ ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ હોય તો મોટાભાગે સ્ટેડિયમમાં બેસીને મેચ જોવાનુ પસંદ કરતા હોય છે.3જી જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ફાઈનલ મેચ હતી. જે જોવા માટે આ અધિકારીઓ ખૂબ જ ઉત્સુક હતા. અમુક અધિકારીએ તો પોતાના ધર્મપત્ની સાથે મેચ જોવાનુ પ્લાનિંગ પણ કરી નાખ્યું હતું. તેઓને અપેક્ષા હતી કે, મેચના બે દિવસ પહેલા અથવા તો આગળના દિવસે VVIP પાસ કે ટિકિટ આવી જશે. પણ આ વખતે એવું ન થયું.જેને કારણે મેચના શોખીન અધિકારીઓ નિરાશ થઈ ગયા હતા. મેચના દિવસે બપોર સુધી પાસ આવ્યા નહોતા. આથી તેઓએ પોતાની વગ વાપરી હતી. આમ છતાં તેઓને સરળતાથી મેચના પાસ મળ્યા નહોતા. અમુક નસીબદારને એક ફોન કરવાથી VVIP પાસ મળી ગયા હતો. તો કેટલાક એવા અધિકારીઓ પણ હતા કે ચારથી પાંચ ફોન કર્યા છતાં માંડ સામાન્ય પાસ મળ્યા હતા. આવા પાસથી સ્ટેડિયમમાં જઈને મેચ જોવાને બદલે આ અધિકારીઓએ આ પાસ કોઈને આપી દઈને ઘરે ટીવી પર મેચ જોવાનું પસંદ કર્યુ હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.