ગુજરાતના 17માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળને લઈને મોટી ઉથલ પાથલના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે, ભાજપના કેટલાક દિગ્ગજ નેતાઓમાં નો રિપીટ થિયરીને લીધે નારાજગી જોવા મળી રહી છે.
ગુજરાતના રાજકારણમાં મહત્વના સમાચાર
મોવડીમંડળ વરિષ્ઠ નેતાઓને મનાવવા પ્રયાસ કરી રહ્યું છે
મોડી સાંજ સુધીમાં શપથ સમારોહ યોજાય તેવી શકયતા
મળતી જાણકારી પ્રમાણે, ગુજરાત સરકારના નવા મંત્રી મંડળમાં 100 ટકા નો-રિપીટની થીયરી અપનાવવામાં આવી શકે છે અને જૂના મંત્રીઓને પડતા મુકીને નવા ચહેરાઓને સરકારમાં સ્થાન મળી શકે તેમ છે. ત્યારે કેટલાક સિનિયર મંત્રીઓ નરાજ થયાં હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
સિનિયર નેતાઓ નારાજ થતાં હાઈકમાન્ડ એક્શનમાં
ઉલ્લેખનીય છે કે, વરિષ્ઠ નેતાઓમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સહિત, પ્રદિપસિંહ જાડેજા સહિતના સિનિયર નેતાઓ આ નારાજ થયા હોવાનું જાણવા મળતા જ હાઈકમાન્ડ એક્શનમાં આવ્યું છે અને તેમને મનાવવા માટે તાત્કાલિક અસરથી ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ અને ગુજરાત ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. આ નેતાઓ નારાજ થયેલા દિગ્ગજો સાથે ખાસ બેઠક કરી રહ્યા છે અને તેમને મનાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે.
વરિષ્ઠ નેતાઓને સાચવવા વિચારણાં
આ સાથે જ વધુમાં વધુ યુવા ચહેરાઓને જ નવા મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તો આ તરફ દિગ્ગજોની નારાજગી દૂર કરવા માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને વિધાનસભાના અધ્યક્ષ પદની પણ જવાબદારી સોંપવામાં આવી શકે છે. મોવડીમંડળ આ મામલે હાલ વિચાર કરી રહ્યું છે.
શપથગ્રહણ સાંજ સુધીમાં નક્કી
આપને જણાવી દઇએ કે, પહેલા 16 તારીખે નવા મંત્રી મંડળના શપથગ્રહણની વાતો ચાલી રહી હતી, ત્યારે હવે કોઈપણ ભોગે આજે મોડી સાંજ સુધીમાં નવા મંત્રીઓ શપથ લે તેવા ચોક્કસ પ્રયાસો ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે. તો રાજભવન ખાતે જ શપથગ્રહણ કાર્યક્રમ યોજાય તે નક્કી કરી દેવામાં આવ્યું છે.
માત્ર 4 મંત્રીઓને જ નવા મંત્રીમંડળમાં જગ્યા મળશે
ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે ચાર્જ સંભાળ્યો છે. ત્યારે તમામ લોકોના મગજમાં માત્ર એક જ સવાલ છે કે, નવા મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે તો કોનું પત્તું કાપશે.ત્યારે સૂત્રોના હવાલેથી મંત્રી મંડળની મોટી ખબર સામે આવી છે કે, માત્ર 4 મંત્રીને જ નવા મંત્રીમંડળમાં જગ્યા મળશે. જ્યારે નવા મંત્રી મંડળમાં 18 મંત્રી બદલવામાં આવશે