વારાણસીમાં કાશીના ઘાટે ગંગા નદીના કિનારે યોગી સરકાર બનાવશે ટેન્ટ સિટી. આ જગ્યા પર તમામ પ્રકારની સુવિધાઓ સાથે મનોરંજન પણ જોવા મળશે. ટેન્ટ સિટી નવરાત્રીની આસપાસ શરૂ થશે અને શિવરાત્રીની આસપાસ સુધી ચાલુ રહેશે.
ટ્રેડિશનલ કલ્ચરલ પ્રોગ્રામ સાથે એડવેન્ચર રાઈડો પણ હશે
ગંગામાં ફરવા માટે ક્રુઝ સવારી કરી શકશો
સરકારને વધુ પ્રવાશીઓને આકર્ષવાનો પ્રયત્ન
કાશીના ઘાટનું આકર્ષણ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. દુનિયાભરમાંથી લોકો અહીં ગંગા કિનારે આવેલા ઘાટનું જીવન અને ગંગાની અનુભૂતિ માટે આવે છે. દુનિયાનું સૌથી જૂનું અને જીવંત શહેર કાશી હવે ટેન્ટ સિટીમાં વસવા જઈ રહ્યું છે. નવરાત્રીથી શિવરાત્રિ સુધી કાશીના ઐતિહાસિક ઘાટની સામે જ રેતી પર ટેન્ટ સિટી વસાવવામાં આવશે. ગંગા કિનારે આવેલા તંબુઓના આ શહેરમાંથી તમે સુંદર અર્ધચંદ્રાકાર 84 ઘાટ જોઈ શકશો. આ ટેન્ટ સિટીમાં પ્રવાસીઓ માટે ભોજન, પરંપરાગત મનોરંજન, આધ્યાત્મિક અને કોર્પોરેટ જગત માટે સેમિનાર અને કોન્ફરન્સ યોજવાની સુવિધા પણ ઉપલબ્ધ હશે. ચાંદની રાતમાં ટેન્ટ સિટીની શોભા જોવા જેવી રહેશે.ગુજરાતનું રણ ઓફ કચ્છ અને જેસલમેરના સેન્ડ ડયુન્સની જેમ કાશીમાં પણ ટેન્ટ સિટીનો વિકાસ કરવામાં આવશે. વારાણસી ડેવલપમેન્ટ ઓથોરિટીએ તેના માટે પહેલેથી જ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ જારી કરી દીધું છે, જેની છેલ્લી તારીખ 15 મે, 2022 રાખવામાં આવી છે.
પ્રવાસીઓ માટે વોટર એડવેન્ચર સ્પોર્ટ્સ
કાશીની કાયાપલટ બાદ વારાણસીમાં પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. આવી સ્થિતિમાં યોગી સરકાર પર્યટકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે ગંગા કિનારે ટેન્ટ સિટી બનાવવાનો પ્રસ્તાવ લાવી રહી છે. વારાણસી ડેવલપમેન્ટ ઓથોરિટીના વાઇસ ચેરમેન ઇશા દુહાને જણાવ્યું હતું કે, રામનગરના કટેસર વિસ્તારમાં આશરે 500 હેક્ટરમાં ગંગાની પેલે પાર અસ્સી ઘાટની સામે રેતી પર ટેન્ટ સિટી ઊભું કરવામાં આવશે. જેને જરૂરિયાત મુજબ વધારી પણ શકાશે.જ્યાં ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંગમ થશે. ટેન્ટ સિટીમાં ટૂરિસ્ટ સ્પોટ ઉપર દરેક સુવિધા ઉપલબ્ધ હશે. અહીં તમે બનારસી ભોજનની સાથે સાથે ખૂલી હવામાં ટ્રેડિશનલ કલ્ચરલ પ્રોગ્રામની મજા પણ માણી શકશો. આ સાથે પ્રવાસીઓ માટે વોટર એડવેન્ચર સ્પોર્ટ્સ (જેટ સ્કી, બનાના બોટ પેરાસેલિંગ, ફિશિંગ, ઊંટ અને ઘોડેસવારી)ની મજા પણ માણી શકશો.
ટેન્ટમાં હશે ઘર જેવું વાતાવરણ
ટેન્ટ સિટીમાં રહીને પ્રવાસીઓને નિર્મળ અને અવિરત વહેતી ગંગાના વહેણ વચ્ચે ટેન્ટમાં ઘર જેવો માહોલ જોવા મળશે.યોગ, ધ્યાન, પુસ્તકાલય અને આર્ટ ગેલેરી માટે શાંત જગ્યા હશે. પ્રવાસીઓના પેકેજ ટુરમાં ટેન્ટ સિટી પણ જોવા મળશે. વિદેશી પ્રવાસીઓ માટે તેમની પસંદગીની વાનગીઓ પણ ઉપલબ્ધ હશે. મોર્નિંગ-એ-બનારસની સાથે સાથે ગંગા કિનારે સવાર-સાંજ માતા ગંગાની આરતી પણ જોવા મળશે. ત્યાં જેટી પણ હશે જ્યાંથી લોકો ગંગામાં ફરવા માટે ક્રુઝ સવારી પણ કરી શકશે. ટેન્ટ સિટી નવરાત્રીની આસપાસ શરૂ થશે અને શિવરાત્રીની આસપાસ સુધી ચાલુ રહેશે. ગંગામાં પૂર સમયે તે જગ્યા પર પાણી આવવાને કારણે ટેન્ટ હટાવી દેવામાં આવશે.
સાત દિવસ સુધી રોકાશે લોકો
પ્રવાસીઓને રોકવાની યોજના બનાવનાર ડેવલપમેન્ટ ઓથોરિટીના વાઇસ ચેરમેન ઇશા દુહાને જણાવ્યું હતું કે ડેટા અનુસાર પીક સિઝન દરમિયાન પ્રવાસીઓના આવવાથી હોટેલના રૂમ ઓછા પડે છે. જેમાં આ પ્લાન મદદરૂપ થશે. સરકાર ઈચ્છે છે કે કાશી આવતા પ્રવાસીઓ ઓછામાં ઓછા 7 દિવસ સુધી અહીં જ રહે. અહીંના મંદિરો, ધર્મ અને આધ્યાત્મિકતા સાથે જોડાય. ટેન્ટના ડેરામાં તેમને બનારસના તમામ રસનો અહેસાસ કરાવવામાં આવશે. હવે ગંગામાં ફેલાયેલી રેતીને પ્રવાસનનું નવું કેન્દ્ર બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
વારાણસી રેલવે સ્ટેશનથી 10 કિમી જ દૂર હસે ટેન્ટ સિટી
તંબુઓના આ શહેરમાં પ્રખ્યાત વારાણસી સાડીઓ, બનારસી જરીકામ , લાકડાના રમકડાં , ગુલાબી મીનાકારી પથ્થરની કોતરણી તેમજ GI tag ના ઉત્પાદનો અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ પણ હશે. ઘર્મની રાજધાની કાશીમાં પાયાની સુવિધાઓનો ઝડપથી વિકાસ થયો છે. જળ, જમીન અને આકાશ દ્વારા દેશ દુનિયા સાથે જોડાયેલા હોવાને કારણે અહીં વ્યાપારિક ગતિવિધિઓ ઝડપથી વધી રહી છે. ટેન્ટ સિટી NH-19 થી માત્ર 4 કિમી, રામનગર કિલ્લાથી 1 કિમી, વારાણસી રેલવે સ્ટેશનથી 10 કિમી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય 13 રેલવે સ્ટેશનથી અને વારાણસી એરપોર્ટથી 33 કિમી દૂર હશે.