સી.આર.પાટીલે જણાવ્યું કે, નીતિનભાઈએ આવનારા દિવસોનું ભવિષ્ય જોઈ વાસ્તવિકતાનું વર્ણન કર્યું છે, હું તેમની સાથે સહેમત છું
નીતિન પટેલે આપેલું નિવેદન યોગ્ય છે
ગાંધીનગરમાં ભારતમાતા મંદિરમાં ભારતમાતાની મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હિન્દુઓની બહુમતિને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપેલા નિવેદન પર સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. જે નિવેદન અંગે આજે ગુજરાત પ્રદેશ BJP પ્રમુખ સી.આર.પાટીલે નીતિન પટેલના નિવેદન ખુલીને સામે સમર્થનમાં સામે આવ્યા છે. સી. આર પાટીલે જણાવ્યું હતું કે, મને લાગે છે કે, નીતિનભાઈએ આવનારા દિવસોનું ભવિષ્ય જોઈને હિંદુ અંગેની વાસ્તવિકતાનું વર્ણન કર્યું છે. તેઓએ વઘુમાં ઉમેર્યુ હતું કે, અફઘાનિસ્તાનમાં જે સ્થિતિ સર્જાઈ છે. તે જોતા નિતિન પટેલે આપેલું નિવેદન યોગ્ય છે. આજે આપણે અફઘાનિસ્તાનમાં જોઈ રહ્યાં છે કે જેવી રીતે ત્યાં સરકાર તુટી અને જે રીતે તાલિબાનોએ કબ્જો લીધો અને તેની અસર આખી દુનિયામાં જોવા મળી રહી છે. ત્યારે તેમણે એક અગમ ચેતીરૂપે આ વાત કરી છે. હું તેમની સાથે સહમત છું.
શું હતું નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલનું નિવેદન ?
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે ગાંધીનગરમાં ભારતમાતા મંદિરમાં ભારતમાતાની મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, દેશમાં જે દિવસે હિન્દુઓ લઘુમતીમાં આવી જશે તે પછી કશું જ બાકી નહીં રહે. હિન્દુઓની સંખ્યા ઘટી તે જ દિવસથી કોર્ટ કચેરી નહીં રહે, કાયદો નહીં રહે, લોકશાહી નહીં રહે, બંધારણ નહીં રહે અને બધું જ હવામાં ઊડી જશે, દફનાવી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા ભાજપના નેતાઓ, પદાધિકારીઓની હાજરીમાં નાયબ મુખ્યમંત્રીએ આ નિવેદનો આપ્યાં હતાં. નિતીન પટેલે તેમના ભાષણમાં લવ જેહાદ કાયદાને હાઇકોર્ટમાં પડકારનારાઓની ટીકા કરી હતી. સાથે જ તેમણે જવાહરલાલ નહેરુની ઝાટકણી કાઢી હતી અને રામ મંદિર તથા કલમ 370ની નાબૂદી જેવા મુદ્દે નરેન્દ્ર મોદી-અમિત શાહના વખાણ કર્યા હતા.