બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અયોધ્યાનો યોગેન્દ્ર અમદાવાદમાં બન્યો 'અબ્દુલ રહેમાન', પ્રેમ લગ્ન બાદ નામ બદલતાં SOGના હાથે ભાંડો ફૂટ્યો
Last Updated: 02:42 PM, 9 July 2026
Ahmedabad SOG : અમદાવાદમાં પાસપોર્ટ માટે કરવામાં આવેલી અરજીની તપાસ દરમિયાન એવો ચોંકાવનારો ભેદ ખુલ્યો છે કે એક વ્યક્તિએ પ્રેમલગ્ન બાદ પોતાની ઓળખ જ બદલી નાખી હતી. અયોધ્યાના રહેવાસી યોગેન્દ્રકુમાર મૌર્યએ મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યાં બાદ પોતાનું નામ બદલીને અબ્દુલ રહેમાન અબ્દુલ કરીમખાન રાખ્યું હતું. ત્યારબાદ નવા નામે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી ઓળખપત્ર બનાવડાવી પાસપોર્ટ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પાસપોર્ટની નિયમિત ચકાસણી દરમિયાન અમદાવાદ એસઓજીની તપાસમાં સમગ્ર ભાંડો ફૂટી ગયો છે.
ADVERTISEMENT
પોલીસ કમિશનર કચેરી તરફથી પાસપોર્ટ અરજીની તપાસ અમદાવાદ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર સી.બી. ચૌહાણને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન જૂના અને નવા દસ્તાવેજોમાં નોંધપાત્ર તફાવત સામે આવ્યો હતો. જૂના પાસપોર્ટમાં અરજદારનું નામ યોગેન્દ્રકુમાર મૌર્ય, પિતાનું નામ રામકુમાર મૌર્ય અને માતાનું નામ અમરાવતી નોંધાયેલું હતું. જ્યારે નવી અરજીમાં નામ અબ્દુલ રહેમાન અબ્દુલ કરીમખાન, પિતાનું નામ અબ્દુલ કરીમ ખાન અને માતાનું નામ અનિશા દર્શાવવામાં આવ્યું હતું.
એસઓજીએ પૂછપરછ કરતાં યોગેન્દ્રએ જણાવ્યું કે તે અયોધ્યા નજીક પોતાના પરિવાર સાથે રહેતો હતો. કામની શોધમાં બહાર જતો રહેતો હતો. આ દરમિયાન તેના પાડોશમાં રહેતી ખુશનુમાબાનુ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. બંને જુદા ધર્મના હોવાથી પરિવાર લગ્ન માટે તૈયાર ન હોવાથી બંને ઘર છોડીને દિલ્હી ભાગી ગયાં હતાં. દિલ્હીમાં આર્ય સમાજમાં હિન્દુ વિધિ મુજબ લગ્ન કર્યા બાદ મુસ્લિમ રીતિ-રિવાજ મુજબ નિકાહ કરવા માટે તેણે પોતાનું નામ બદલીને અબ્દુલ રહેમાન અબ્દુલ કરીમખાન રાખ્યું હતું અને નિકાહનામું તૈયાર કરાવ્યું હતું.
ADVERTISEMENT
ત્યાર બાદ દંપતી અમદાવાદ આવી દાણીલીમડાના જનતા રો હાઉસ વિસ્તારમાં રહેવા લાગ્યું હતું. હાલમાં તેમને ત્રણ સંતાન હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. વધુ તપાસમાં જાણવા મળ્યું કે અબ્દુલ રહેમાન અબ્દુલ કરીમખાન નામ સંપૂર્ણપણે કાલ્પનિક હતું. આરોપીએ જમાલપુર બ્રિજ પાસેના એક દલાલનો સંપર્ક કરી પૈસા આપીને નવા નામે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ તૈયાર કરાવ્યાં હતાં. આ તમામ દસ્તાવેજોના આધારે તેણે પાસપોર્ટ માટે અરજી કરી હતી અને પાસપોર્ટ મળ્યા બાદ વિદેશ જવાનો ઇરાદો રાખ્યો હતો.
આ પણ વાંચો : અમદાવાદમાં નમો સ્ટેડિયમ નજીકનો રસ્તો કરાશે 61 મીટર પહોળો, મહા ડિમોલિશન શરૂ
ADVERTISEMENT
પાસપોર્ટ ચકાસણી દરમિયાન જૂના અને નવા દસ્તાવેજોની સરખામણીમાં વિસંગતતા સામે આવતાં સમગ્ર મામલો ખુલ્લો પડી ગયો હતો. એસઓજીએ આ અંગે વિગતવાર અહેવાલ તૈયાર કરી યોગેન્દ્ર મૌર્ય સામે ગુનો નોંધ્યો છે. સાથે જ દસ્તાવેજો બનાવવામાં મદદ કરનાર દલાલ અને તેના નેટવર્ક સુધી પહોંચવા તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.