બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં નમો સ્ટેડિયમ નજીકનો રસ્તો કરાશે 61 મીટર પહોળો, મહા ડિમોલિશન શરૂ

કાર્યવાહી / અમદાવાદમાં નમો સ્ટેડિયમ નજીકનો રસ્તો કરાશે 61 મીટર પહોળો, મહા ડિમોલિશન શરૂ

Priykant Shrimali

Last Updated: 02:25 PM, 9 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Motera Stadium Demolition : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે આજે સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા માર્ગ પર રોડલાઇન અમલની કામગીરી હાથ ધરી

Ahmedabad Motera Stadium Demolition : આગામી વર્ષોમાં અમદાવાદને આંતરરાષ્ટ્રીય રમતગમતના કેન્દ્ર તરીકે વિકસાવવાના પ્રયાસોને વધુ વેગ મળ્યો છે. કોમનવેલ્થ ગેમ્સ અને ભાવિ ઓલિમ્પિકના આયોજનની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસના વિસ્તારને વિશ્વ સ્તરીય માળખાકીય સુવિધાઓથી સજ્જ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તથા તેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે આજે સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા માર્ગ પર રોડલાઇન અમલની કામગીરી હાથ ધરી હતી. વહેલી સવારથી જ ભારે મશીનરી સાથે ડિમોલિશન શરૂ થતાં સમગ્ર વિસ્તારમાં ખૂબ ચહલપહલ જોવા મળી હતી.

કોર્પોરેશનના આયોજન મુજબ હાલનો 18 મીટર પહોળો રોડ વધારીને 61 મીટર કરવામાં આવશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભવિષ્યમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતોત્સવની સ્પર્ધાઓ દરમિયાન લાખો દર્શકો, ખેલાડીઓ, અધિકારીઓ અને મહાનુભાવોની અવરજવર સરળ બને તેમજ ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં તે હેતુથી આ રોડને પહોળો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોડલાઇન અમલ માટે અગાઉ અસરગ્રસ્ત મિલકતધારકોને નોટિસો આપવામાં આવી હતી. નોટિસની મુદત પૂર્ણ થતાં ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પ્રથમ તબક્કામાં જનપથ ત્રણ રસ્તાથી ડી-માર્ટ સુધીના અંદાજે 500 મીટરના વિસ્તારમાં આવેલી પ૦થી વધુ કોમર્શિયલ મિલકતોને દૂર કરવામાં આવી રહી છે. દુકાનો, ગોડાઉન અને અન્ય વ્યાવસાયિક એકમો રોડલાઇનમાં આવતાં હોવાથી તેમને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે. હાલ રહેણાક મકાનોને આ કાર્યવાહીમાંથી બાકાત રાખવામાં આવ્યાં છે.

કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ ડી-માર્ટ બાદ આવેલાં કેટલાંક કોમર્શિયલ અને રહેણાંક બાંધકામોને લઈને હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાથી ત્યાં હાલ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. ઉપરાંત સામે આવેલી ઓએનજીસીની કચેરીના સ્થળાંતરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ તે વિસ્તાર અંગે નિર્ણય લેવામાં આવશે.

ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન સમગ્ર વિસ્તારમાં ટ્રાફિકનું ડાઈવર્ઝન કરવામાં આવ્યું હતું. એસ્ટેટ વિભાગ, દબાણ શાખા, ટ્રાફિક વિભાગ અને અન્ય શાખાઓના અધિકારીઓ સ્થળ પર હાજર રહી સમગ્ર કામગીરીનું સંકલન કરતા જોવા મળ્યા હતા. ભારે મશીનરી દ્વારા એક પછી એક દુકાનો દૂર કરવામાં આવતાં લોકોની મોટી ભીડ પણ એકત્ર થઈ હતી.

ડિમોલિશનથી અસરગ્રસ્ત વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. અનેક વેપારીઓએ જણાવ્યું કે તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ વર્ષોથી ચાલતા વ્યવસાય અચાનક બંધ થતાં તેમના પરિવારની રોજી-રોટી પર સીધી અસર પડી છે. ઘણા વેપારીઓના જણાવ્યા મુજબ દાયકાઓથી ચાલતી દુકાનો તોડી પાડવામાં આવી છે અને હજુ સુધી યોગ્ય વળતર કે વૈકલ્પિક દુકાન અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. વેપારીઓનું કહેવું છે કે વિકાસની યોજનાઓ સાથે પુનર્વસનની સ્પષ્ટ નીતિ પણ હોવી જોઈએ.

બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કહેવું છે કે શહેરના લાંબા ગાળાના વિકાસ માટે આ પ્રોજેક્ટ અત્યંત મહત્ત્વનો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમને કેન્દ્રમાં રાખીને સમગ્ર વિસ્તારને આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબ વિકસાવવામાં આવશે. રોડ પહોળા કરવા ઉપરાંત ફૂટપાથ, સ્ટ્રીટ લાઇટ, લેન્ડસ્કેપિંગ, પાર્કિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ સહિતની સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે, જેથી ભવિષ્યમાં મોટા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો દરમિયાન શહેરને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

વેપારીઓ હવે કોર્પોરેશન પાસેથી યોગ્ય વળતર, વૈકલ્પિક દુકાનો અને પુનર્વસનની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. આગામી દિવસોમાં આ મુદ્દે કોર્પોરેશન શું નિર્ણય લે છે તેના પર તમામ અસરગ્રસ્તોની નજર મંડાઈ છે.

આ પણ વાંચો : આગામી 7 દિવસ ગુજરાતને ઘમરોળશે વરસાદ, સમજો મેપ દ્વારા ક્યાં ક્યારે પડશે વરસાદ ?

શા માટે પહોળો થઈ રહ્યાો છે રોડ?

  • કોમનવેલ્થ ગેમ્સ અને ભાવિ ઓલિમ્પિકની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને આયોજન
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી ઝડપી અને સરળ અવરજવર
  • હાલનો 18 મીટર રોડ વધારીને 61 મીટર કરવાનો નિર્ણય
  • આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનો હેતુ
  • ટ્રાફિકની સમસ્યા ઘટાડવા અને ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા આયોજન

પ્રથમ તબક્કામાં શું થશે?

  • જનપથ ત્રણ રસ્તાથી ડી-માર્ટ સુધી રોડલાઇન અમલ
  • અંદાજે 500 મીટરના વિસ્તારમાં કામગીરી
  • 50 થી વધુ કોમર્શિયલ મિલકતો અસરગ્રસ્ત
  • હાલ રહેણાક મકાનોને સ્પર્શ નહીં
  • હાઈકોર્ટમાં કેસ હેઠળની મિલકતો પર હાલ કાર્યવાહી નહીં
  • ઓએનજીસી વિસ્તારને પણ હાલ બાકાત રાખવામાં આવ્યો

વેપારીઓની મુખ્ય માગ

  • બજારભાવ મુજબ યોગ્ય વળતર
  • વૈકલ્પિક દુકાનો અથવા પુનર્વસન
  • વ્યવસાય ફરી શરૂ કરવા માટે સહાય
  • વર્ષોથી ચાલતા વેપારને ધ્યાનમાં રાખી વિશેષ રાહત પેકેજ
  • વિકાસ સાથે અસરગ્રસ્તોનાં હિતોનું પણ રક્ષણ

મોટેરા ડેવલપમેન્ટ પ્લાન

  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ વિશ્વ સ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર
  • વિશાળ રોડ અને આધુનિક ટ્રાફિક વ્યવસ્થા
  • ફૂટપાથ, પાર્કિંગ અને લેન્ડસ્કેપિંગ
  • આંતરરાષ્ટ્રીય રમતોત્સવોને અનુરૂપ શહેરી વિકાસ
  • ભવિષ્યમાં મોટા કાર્યક્રમો માટે વિસ્તારને સંપૂર્ણ તૈયાર કરવાનો પ્લાન

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Motera Development Stadium
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ