હિંડનબર્ગ રિસર્ચના 24 જાન્યુઆરીના રોજ આવેલા એક રિપોર્ટના કારણે અદાણી ગ્રુપના શેરમાં એક મહિના કરતાં વધુ સમય સુધી મોટો ઘટાડો નોંધાયો હતો. પરંતુ હવે પરિસ્થિતિ ઝડપથી સામાન્ય થઈ રહી છે. છેલ્લા સળંગ છ સત્રોમાં અદાણી ગ્રુપના શેરમાં તેજી આવી છે. આ દરમિયાન ગૌતમ અદાણીએ બે કંપનીઓના શેર ગીરવે મૂક્યા છે.
ગૌતમ અદાણીએ ગીરવે મૂક્યા બે કંપનીઓના શેર
અદાણી એન્ટરપ્રાઈઝના લોનને સપોર્ટ કરવાનો પ્રયાસ
અગાઉ તેમણે ચાર કંપનીઓના શેર કર્યા હતા રિડીમ
હિંડનબર્ગ રિસર્ચના નેગેટિવ રિપોર્ટ બાદ પરેશાન ગૌતમ અદાણીએ પોતાનો ટ્રેક બદલી નાખ્યો છે. તેમનું ગ્રુપ અગાઉ વિવિધ ક્ષેત્રોમાં ઝડપથી વિસ્તરણ કરી રહ્યું હતું, પરંતુ હવે તેમણે દેવું ઘટાડવા પર વધુ ભાર આપ્યો છે. આ દરમિયાન ગૌતમ અદાણીને ફરીથી તેમની બે કંપનીઓના શેર ગીરવે રાખવા પડ્યા છે. ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝના લોનને સપોર્ટ કરવા માટે તેમને આવું કરવું પડ્યું છે. રેગ્યુલેટરી ફાઇલિંગ મુજબ, અદાણીએ અદાણી ટ્રાન્સમિશનના 0.99 ટકા અને અદાણી ગ્રીન એનર્જીના 0.76 ટકા શેર SBICAP ટ્રસ્ટી (SBICAP Trustee)ની પાસે ગીરવે મૂક્યા છે. વર્તમાન ભાવ પ્રમાણે આ શેરની કિંમત રૂ. 1,670 કરોડ થાય છે. આના એક દિવસ પહેલા જ અદાણી ગ્રુપે તેમની ચાર કંપનીઓના શેર છોડાવ્યા હતા.
SBICAPએ કરી સ્પષ્ટતા
SBICAP ટ્રસ્ટી એ દેશની સૌથી મોટી બેંક SBIનું એક યુનિટ છે. તેમનું કહેવું છે કે અદાણી એન્ટરપ્રાઇઝના ધિરાણકર્તાઓ (lender)ને લાભ આપવા માટે આ શેર ગીરવે મુકવામાં આવ્યા છે. આ સાથે જ અદાણી ટ્રાન્સમિશનમાં અદાણીના ગીરવે શેરોની સંખ્યા 1.32 ટકા અને અદાણી ટ્રાન્સમિશનમાં 2 ટકા પર પહોંચી ગઈ છે. જોકે, SBICAPએ સ્પષ્ટતા કરી છે કે તે માત્ર સિક્યોરિટી તરીકે શેર પોતાની પાસે રાખે છે. જોકે, કંપનીએ એ સ્પષ્ટ કર્યું નથી કે અદાણી ગ્રુપના પ્રમોટર્સે કઈ લોન માટે વધારાના શેર ગીરવે મૂક્યા છે અને આ કયા ધિરાણકર્તા માટે છે.
ગયા મહિને આટલા કરોડના શેર રાખ્યા હતા ગીરવે
ગયા મહિને ગૌતમ અદાણીએ તેમની ત્રણ કંપનીઓના 1038 કરોડ રૂપિયાના વધારાના શેર ગીરવે રાખ્યા હતા. ત્યારે તેમણે અદાણી ટ્રાન્સમિશનના 0.11 ટકા, અદાણી ગ્રીન એનર્જીના 0.38 ટકા અને અદાણી પોર્ટ્સના 0.35 ટકા શેર ગીરવે રાખ્યા હતા. ત્યારે SBICAP ટ્રસ્ટી કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે જ્યારે પણ ગીરવે રાખેલા શેરની સંખ્યામાં ફેરફાર થાય છે તો તેની જાણકારી માર્કેટ રેગુલેટરને આપવી પડે છે. આ માત્ર વધારાની કોલેટ્રલ સિક્યોરિટી હતી અને SBI દ્વારા આ માટે કોઈ ફાઇનાન્સ આપવામાં આવ્યું ન હતું. 140%ના જરૂરી કોલેટ્રલ કવરેજની દર મહિનાના અંતે સમીક્ષા કરવામાં આવે છે અને કોઈપણ ખામીને ટોપ અપ દ્વારા પૂરી કરવામાં આવે છે.
આ કંપનીઓના શેર છોડાવ્યા
આ વચ્ચે અદાણી ગ્રુપે રૂ. 4,100 કરોડની બ્રિજ લોન ચૂકવી દીધી છે. તે ગુરુવાર સુધીમાં ચૂકવવાની હતી. બ્લૂમબર્ગ ન્યૂઝ અનુસાર, અદાણી ગ્રુપે મંગળવારે જ પૈસા રિલીઝ કરી દીધા હતા. અદાણી ગ્રુપે અંબુજા સિમેન્ટ્સ અને ACCને ખરીદવા માટે આ બ્રિજની લોન લીધી હતી. SBICAPએ જણાવ્યું હતું કે અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીન એનર્જીના શેર 6 માર્ચે ગીરવે મુકવામાં આવ્યા. આ અગાઉ મંગળવારે અદાણી ગ્રુપે 73.74 અરબ રૂપિયા (લગભગ 90 કરોડ ડોલર)ની લોનની સમય પહેલા ચૂકવણી કરીને તેની કેટલીક કંપનીઓના શેર છોડાવ્યા હતા. જેમાં અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનનો સમાવેશ થાય છે..