દેશના સૌથી સંવેદનશીલ અને ચર્ચાસ્પદ મામલાઓમાંના એક એવા અયોધ્યા રામ મંદિર કેસની સુપ્રીમ કોર્ટમાં રોજ ચાલેલી સુનાવણીનો અંત આવ્યો હતો અને આખરે શનિવારે સવારે ચૂકાદો આવી ગયો છે. આશરે 500 વર્ષથી ચાલ્યો આવતો આ વિવાદનો અંતે ચૂકાદો આવી ચૂક્યો છે. તો આવો જાણીએ આ કેસ સમાય રેખા પ્રમાણે; કેસ ક્યારથી ચાલુ થયો, કેટલા બનાવો બન્યા અને અદાલતોની શું ભૂમિકા રહી ?
ઇસ 1528 - રામ મંદિરને તોડીને બાબરી મસ્જિદને બનાવવામાં આવી. આ મસ્જિદનું નિર્માણ બાબર વડે કરવામાં આવ્યું હતું આથી તે બાબરી મસ્જિદના નામે ઓળખાઈ.
ઇસ 1853 - પહેલી વખત અયોધ્યાના આ વિવાદિત સ્થળે કોમી રમખાણો થયા.
ઈસ 1859 - આ વિવાદિત સ્થળે અંગ્રેજોએ રેલીંગ લગાવી દીધી. સાથે જ પરિસરના અંદરના ભાગમાં મુસ્લિમોને અને બહારના ભાગમાં હિંદુઓને પ્રાર્થના કરવાની પરવાનગી આપવામાં આવી.
ઇસ 1949 - વિવાદિત સ્થળ ઉપર ભગવાન રામની મૂર્તિઓ મળી આવી. એવું કહેવાય છે કે કેટલાક હિંદુઓએ જ આ મૂર્તિઓ ત્યાં ગોઠવી દીધી હતી. વિવાદ વધતા હિંદુ અને મુસ્લિમ પક્ષકારો અદાલતમાં પહોંચ્યા. સરકારે આ જગ્યાને વિવાદિત ઘોષિત કરીને જગ્યાને તાળા લગાવી દીધા.
ઇસ 1986 - હિંદુઓએ પ્રાર્થના કરવાની વિનંતી ઉપર ફૈઝાબાદના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે વિવાદિત સ્થળના દરવાજા ખોલવાનો આદેશ આપ્યો. મુસ્લિમો આના વિરોધમાં ઉતરી આવ્યા અને બાબરી મસ્જિદ સંઘર્ષ સમિતિ બનાવવામાં આવી.
ઈસ 1989 - વિશ્વ હિંદુ પરિષદે વિવાદિત સ્થળ ઉપર રામ મંદિરનો પાયો નાખ્યો. મંદિર નિર્માણ માટેનું અભિયાન તેજ કરવામાં આવ્યું.
ઇસ 1990 - વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોએ બાબરી મસ્જિદની ઇમારતને નુકશાન પહોચાડ્યું. એ વખતના તત્કાલીન PM ચંદ્રશેખરે વાતચીતથી આ વિવાદ ઉકેલવાનો નિષ્ફ્ળ પ્રયત્ન કર્યો.
06 ડિસેમ્બર 1992 - હજારોની ભીડે ભેગા થઇને બાબરી મસ્જિદનો ગુંબજ તોડી નાખ્યો. ત્યાર બાદ આખા દેશમાં હિંદુ મુસ્લિમો વચ્ચે તોફાનો ફાટી નીકળ્યા. આ તોફાનોમાં બે હજારથી વધુ લોકોના મોત થયા.
ફેબ્રુઆરી 2002 - ભાજપે UPના ચૂંટણીપત્રકમાંથી રામ મંદિરના નિર્માણનો મુદ્દો હટાવી લીધો. જો કે વિશ્વ હિંદુ પરિષદે 15 માર્ચે રામ મંદિર બનાવવાની ઘોષણા કરી. ત્યાર બાદ હજારો હિંદુઓ અયોધ્યામાં ભેગા થઇ ગયા.
13 માર્ચ 2002 - સુપ્રીમ કોર્ટે વિવાદિત સ્થળ ઉપર જૈસે થેનો આદેશ આપ્યો. આ સાથે જ સ્પષ્ટતા કરી કે કોઈ પણ વિવાદિત સ્થાન ઉપર ભૂમિ શીલા પૂજનની પરવાનગી નહિ આપવામાં આવે.
22 જૂન 2002 - વિશ્વ હિંદુ પરિષદે વિવાદિત ભૂમિ ઉપર મંદિર નિર્માણ કરવાની માંગ રજુ કરી.
જાન્યુઆરી 2003 - રેડિયો વેવ્સની મદદથી વિવાદિત સ્થળ ઉપર કોઈ પ્રાચીન ઇમારતના અવશેષે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. જો કે આ પ્રયત્ન નિષ્ફ્ળ રહ્યો અને કોઈ નિષ્કર્ષ નીકળ્યો નહિ.
માર્ચ 2003 - સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની વિવાદિત સ્થળે પૂજા પાઠ કરવાની માંગને પરવાનગી આપી નહિ.
એપ્રિલ 2003 - પુરાતત્વ ખાતા વડે હાઈકોર્ટના આદેશ ઉપર વિવાદિત સ્થળે ખોદકામ શરુ કરવામાં આવ્યું. પુરાત્વ સર્વેક્ષણના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે વિવાદિત સ્થળે ખોદકામ કરતા મંદિરને લાગતા વળગતા 184 અવશેષો મળી આવ્યા. આ અહેવાલથી હિંદુ પક્ષે બમણા જોરથી પોતાનો દાવો કર્યો.
મે 2003 - CBIએ 1992માં વિવાદી ગુંબજ તોડી પાડવા બદલ લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી અને મુરલી મનોહર જોશી સહિત 8 લોકો સામે ચાર્જ શીટ દાખલ કરી.
ઓગસ્ટ 2003 - વિશ્વ હિંદુ પરિષદે રામ મંદિરના નિર્માણ માટે સરકારને વિશેષ બિલ પસાર કરવા માટે અનુરોધ કર્યો. જો કે સરકારે આ માંગ સ્વીકારી નહિ.
એપ્રિલ 2004 - ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ અયોધ્યામાં વિવાદિત સ્થળ ઉપર બનેલા અસ્થાયી મંદિરની પૂજા કરી અને નિવેદન આપ્યું કે ભવ્ય રામમંદિર જરૂર બનશે.
જુલાઈ 2005 - પાંચ આતંકીઓએ વિવાદિત પરિસરમાં હુમલો કર્યો. આ હુમલામાં પાંચેય આતંકી સહિત 6 લોકોના મોત થયા.
20 એપ્રિલ 2006 - UPA સરકારે લિબ્રહાન આયોગને લેખિતમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે વિવાદિત ઇમારતને નુકશાન પહોંચાડવું એ સુનિયોજિત કાવતરું હતું. ભાજપ, RSS, બજરંગ દળ અને શિવ સેનાએ સાથે મળીને આ કાવતરાને અંજામ આપ્યો હતો.
જુલાઈ 2006 - UP સરકારે વિવાદિત સ્થળ ઉપર બનેલા અસ્થાયી મંદિરની સુરક્ષા માટે તેની આસપાસ બુલેટપ્રુફ કાચ લગાવવાનો પ્રસ્તાવ મુક્યો.
08 સપ્ટેમ્બર 2010 - હાઇકોર્ટે આ મામલામાં 24 સપ્ટેમ્બરે ચુકાદો આપવાની જાહેરાત કરી
24 સપ્ટેમ્બર 2010 - હાઇકોર્ટે 3 જજોની બેન્ચ વડે ચુકાદો આપતા જણાવ્યું હતું કે વિવાદિત સ્થળનો 1/3 હિસ્સો મુસ્લિમોને મસ્જિદ બનાવવા માટે અને બાકીનો હિસ્સો હિંદુ પક્ષોને મંદિર બનાવવા માટે અને બાકીના હેતુ માટે આપવામાં આવે. ચુકાદાથી અસંતુષ્ટ બંને પક્ષોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા.
09 મે 2011 - સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઇકોર્ટના સ્થળને 3 ભાગમાં વહેંચવાના નિર્ણય સામે સ્ટે લગાવી દીધો અને સુપ્રીમમાં કેસની સુનાવણી શરુ થઇ.
27 જાન્યુઆરી 2018 - તત્કાલીન ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની વડપણ હેઠળની 3 સભ્યોની બેન્ચ વડે નિવેદન આપવામાં આવ્યું હતું કે મસ્જિદ એ ઇસ્લામનો અભિન્ન ભાગ નથી. સાથે જ આ કેસને 5 સભ્યોની બેન્ચ પાસે ખસેડવાનો ઇન્કાર કર્યો.
જાન્યુઆરી 2019 - અયોધ્યા કેસની સુનાવણી માટે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળ બેન્ચનું ગઠન કરવામાં આવ્યું. તેમાં જસ્ટિસ D Y ચંદ્રચુડ, જસ્ટિસ લલિત, જસ્ટિસ બોબડે અને જસ્ટિસ N V રમન્નાનો સમાવેશ કરવામાં આવ્યો.
10 જાન્યુઆરી 2019 - મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન દ્વારા સવાલ ઉઠાવવામાં આવતા જસ્ટિસ લલિતને કેસની સુનાવણીથી અલગ કરવામાં આવ્યા. નોંધનીય છે કે 1994માં જસ્ટિસ લલિત ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહના પક્ષકાર વકીલ હતા.
26 ફેબ્રુઆરી - સુપ્રીમ કોર્ટે મધ્યસ્થી વડે મામલો ઉકેલવાની સલાહ આપી. તેમણે કહ્યું કે જો સમાધાનની એક ટકા પણ શક્યતા હોય તો તે દિશામાં કામ કરવું જોઈએ.
06 માર્ચ 2019 - મુસ્લિમ પક્ષ મધ્યસ્થી માટે તૈયાર થયો પરંતુ હિંદુ મહાસભા અને રામલલ્લા પક્ષ અસહમત રહ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જનતા આ સમાધાન નહિ સ્વીકારે.
08 માર્ચ - સુપ્રીમ કોર્ટે શ્રી શ્રી રવિશંકર, શ્રીરામ પંજુ અને એમ એફ ખલીફુલ્લાને આ કેસમાં મધ્યસ્થી માટે સમજૂતી આપી.
02 ઓગસ્ટ 2019 - સુપ્રીમ કોર્ટે કહ્યું કે સમાધાનથી આ કેસ નહિ ઉકેલાય. 6 ઓગસ્ટથી સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવી.
16 ઓક્ટોબર 2019 - અયોધ્યા કેસની સુનાવણી પૂર્ણ થઇ અને ચુકાદો નવેમ્બર મહિનાના પહેલા ભાગમાં જાહેર કરવાની જાહેરાત કરવામાં આવી.
9 નવેમ્બર 2019 - અયોધ્યા કેસનો ચૂકાદો આવ્યો. વિવાદીત જમીન રામલલ્લા વિરાજમાન હતાં એવું સ્વીકારવામાં આવ્યું છે. જમીન રામ લલ્લાને સોંપાઈ તેમજ મુસ્લિમ પક્ષકારને અયોધ્યામાં જ મસ્જિદ માટે 5 એકર જમીન આપવામાં આવશે.