આપણા મહાન આચાર્ય ચાણક્યએ આજથી બે હજાર વર્ષ પહેલાં લખ્યું હતું કે, જે દેશનો રાજા ‘વેપારી’ હોય એ દેશના લોકોનું ભવિષ્ય અંધકારમય થવાથી રોકી શકાય નહીં.
આચાર્ય ચાણક્યની આ વાત અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર એકદમ બંધ બેસે છે, જેમની હરકતોથી દુનિયાના સૌથી પ્રાચીન લોકતંત્ર પર કલંક લાગ્યું છે. આ સાથે એક હકીકત એ પણ સામે આવી છે કે, અમેરિકાના લોકો પોતાના લોકતંત્રને જ સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે અને પોતાના બંધારણ પ્રત્યે તેમની નિષ્ઠાને પ્રમુખનો આદેશ પણ ડગાવી શકતો નથી.
આમ તો અમેરિકાના પદમુક્ત થવા જઈ રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશાં પોતાનાં નિવેદનોથી વિવાદમાં ઘેરાયેલા રહ્યા છે. ૨૦ જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ શપથ ગ્રહણ કર્યા બાદ તેમના પર સતત ભ્રામક નિવેદનબાજીના ગંભીર આરોપ લાગતા રહ્યા છે.
કુલ છ વખત દેવાળિયા જાહેર થવા છતાં બન્યા રાષ્ટ્રપતિ
અમેરિકાની સત્તા પર પોતાની પકડ બનાવી રાખવા માટે જાતજાતના ગતકડાં કરતા રહેતા ડોનાલ્ડ ટ્રમ્પ ૧૯૯૧થી ૨૦૦૯ દરમિયાન પોતાના હોટલ અને કેસિનો બિઝનેસને છ વખત દેવાળિયો જાહેર કરવા છતાં પણ તે સત્તા મેળવવામાં સફળ રહ્યા અને તેને જાળવી પણ રાખી. ટ્રમ્પને વહેમ હતો કે આ વખતની ચૂંટણીમાં પણ હું સંપૂર્ણ જીત મેળવી શકીશ.
પોતાની હારનો સતત ઇનકાર કરતા રહ્યા
ટ્રમ્પની સત્તા લાલસા એ વાતથી જ સ્પષ્ટ થઈ ગઈ હતી કે તેઓ ૩ નવેમ્બર, ૨૦૨૦ના રોજ જાહેર થયેલાં પરિણામો બાદ પણ પોતાની હાર સ્વીકારવાનો સતત ઈન્કાર કરતા રહ્યા અને જીતવાના પોકળ દાવા પણ કરતા રહ્યા. પરિણામો વિરુદ્ધ તેમણે અનેક કેસ પણ દાખલ કર્યા અને તેમાં પણ તેમના જીતના દાવાઓ જ મુખ્ય હતા. ટ્રમ્પે તેમની સત્તાની ભૂખમાં અંધ થઈને એક વખત પણ હારનો સ્વીકાર ન જ કર્યો અને એ કારણે જ ટ્રમ્પના સમર્થકોએ અમેરિકાના લોકતાંત્રિક સંસ્થાનોમાં ઘૂસીને હિંસા આચરી અને ભારે તોડફોડ પણ કરી અને સંસદ ભવનમાં ઘૂસણખોરી કરીને બંધારણીય સત્તાને ઉખાડી ફેંકવાની નિષ્ફળ કોશિશ પણ કરી.
કેપિટલ હિલ બિલ્ડિંગ પર હુમલાની ઘટના ઘણા ગંભીર સંકેત આપી જાય છે
અમેરિકી સંસદ ભવન કેપિટલ હિલ બિલ્ડિંગ પર હુમલાની ઘટના ઘણા ગંભીર સંકેત આપી જાય છે. દેશમાં અરાજકતા ફેલાવીને સત્તા હાંસલ કરવાની આવી ભૂખ અમેરિકાએ અગાઉ ક્યારેય જોઈ નથી અને આથી જ ટ્રમ્પ ચોમેરથી આકરી ટીકાનો ભોગ બન્યા છે. અમેરિકાના છેલ્લાં ૨૦૦ વર્ષના ઈતિહાસમાં આવી ઘટના ક્યારેય બની નથી અને આથી જ સૌ કોઈ અચંબિત છે.
અમેરિકાની આ ઘટના દુનિયાની તમામ લોકશાહી માટે આંખ ખોલનારી અને ગંભીર ચેતવણી સમાન છે. લોકશાહી પદ્ધતિનો સહારો લઈને સત્તા કબ્જે કરનારા ‘હિટલરી’ માનસિકતાના લોકો પોતાના દેશના એ બંધારણની ગરીમા લજવીને સત્તામાં જળવાઈ રહેવાનો જુગાડ કરી જ લેતા હોય છે.
અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં પોતાના સમર્થકોની વિશાળ રેલી આયોજિત કરીને ટ્રમ્પે પણ આ વાત જ સાબિત કરી છે કે તેઓ ચૂંટણીમાં જનતા દ્વારા આપવામાં આવેલા નિર્ણય કે જનાદેશને સ્વીકારતા નથી અને તેનું અપમાન કરીને બંધારણ સામે જ વિદ્રોહ કરવા ઈચ્છે છે.
બાયડન ૨૦ જાન્યુઆરીએ સત્તાવાર રીતે અમેરિકાના ૪૬મા રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ લેશે
નવા ચૂંટાયેલા પ્રમુખ જો બાયડનને ચૂંટણીમાં ૩૦૬ સીટ મળી છે, જે બહુમતી માટે જરૂરી ૨૭૦ સીટથી ૩૬ વધારે છે અને તેઓ ૨૦ જાન્યુઆરીએ સત્તાવાર રીતે અમેરિકાના ૪૬મા રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ લેવાના છે.
પોતાના કાર્યકાળના અંતિમ દિવસોમાં ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી લોકશાહી મૂલ્યોની હત્યા જોઈને તેમની પોતાની કેબિનેટના સભ્યો પણ સ્તબ્ધ થઈ ગયા છે. આ સભ્યો હવે ટ્રમ્પને બંધારણના ૨૫મા સંશોધન હેઠળ અયોગ્ય ઠેરવીને તેમનો કાર્યકાળ પૂર્ણ થાય એ પહેલા જ પદ પરથી હટાવવાની માગણી કરી રહ્યા છે. આ સંશોધનની જોગવાઈઓ હેઠળ રાષ્ટ્રપ્રમુખપદના કર્તવ્યો નિભાવવામાં અસમર્થ વ્યક્તિને પદ પરથી હટાવવાનો અધિકાર તેમની કેબિનેટને આપવામાં આવ્યો છે.
ટ્રમ્પ પોતાની પાછળ રાજનૈતિક ગુંડાગીરીનો એક ખતરનાક વારસો છોડીને જઈ રહ્યા છે
દુનિયાભરના ટોચના નેતાઓએ ટ્રમ્પના આ આચરણને શરમજનક અને નિરાશાજનક ગણાવ્યું છે અને ટ્રમ્પ પોતાની પાછળ રાજનૈતિક ગુંડાગીરીનો એક ખતરનાક વારસો છોડીને જઈ રહ્યા છે તેવો તમામનો સ્પષ્ટ મત છે.
રાજકીય બાબતોના નિષ્ણાતોના મતે ૬ જાન્યુઆરીનો દિવસ અમેરિકાના ઈતિહાસનો સૌથી કાળો અને કલંકિત દિવસ બની રહેશે. ટ્રમ્પને તેમના કૃત્ય બદલ આવનારી પેઢીઓ ક્યારેય માફ નહીં કરે એ પણ નક્કી જ છે.