આજે 'Cyclone Asani' ભીષણ ચક્રવાતી તોફાનમાં ફેરવાઇ જશે. જેને લઇને બંગાળ-ઓડિશાથી લઇને આંધ્રપ્રદેશ સુધી અલર્ટ આપવામાં આવ્યું છે.
'આસની' ચક્રવાતી તોફાન આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા
10 મેના રોજ પશ્ચિમ બંગાળમાં પહોંચી શકે છે તે જોતા રાજ્ય હાઈ એલર્ટ પર
NDRF, SDRF, કોસ્ટલ ગાર્ડ અને નેવી ટીમ એલર્ટ પર
'આસની' નામનું ચક્રવાતી તોફાન આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બને તેવી સંભાવના છે. આ ચક્રવાત હવે વિશાખાપટ્ટનમથી 940 કિમી અને ઓડિશાના પુરીથી 1000 કિમીના અંતરે છે. ચક્રવાત 10 મેના રોજ પશ્ચિમ બંગાળમાં પહોંચી શકે છે તે જોતા રાજ્ય હાઈ એલર્ટ પર છે. ચક્રવાતને પહોંચી વળવા માટે બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈયારીઓ ચાલી રહી છે. દરિયાકાંઠાના જિલ્લાઓના દરેક સબ-ડિવિઝન અને હેડક્વાર્ટરમાં કંટ્રોલ રૂમ ખોલવામાં આવી રહ્યાં છે. ચક્રવાતી તોફાન માટે 5 ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ પણ તૈયાર છે. NDRF, SDRF, કોસ્ટલ ગાર્ડ અને નેવી ટીમ એલર્ટ પર છે.
મમતા બેનર્જીએ પોતાનો પ્રવાસ સ્થગિત કર્યો
દરમ્યાન ચક્રવાતી વાવાઝોડાને જોતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના જિલ્લા પ્રવાસનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. ટીએમસીના મહાસચિવ કુણાલ ઘોષે કહ્યું કે, 'આસની' વાવાઝોડાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ મિદનાપુર અને ઝારગ્રામમાં સીએમ મમતા બેનર્જીના 3 દિવસના કાર્યક્રમને 10, 11 અને 12 મેથી 17, 18 અને 19 મે સુધી ફરીથી શેડ્યુલ કરવામાં આવ્યો છે.
ઓડિશા બંગાળના આ વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા
IMDએ જણાવ્યું કે, મંગળવારથી ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓ અને પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા સહિત રાજ્યના દક્ષિણ ભાગમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. માછીમારોને 10 મેથી આગામી સૂચના સુધી દરિયામાં અને પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે ન જવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, ઓડિશાના દરિયાકાંઠે દરિયાની સ્થિતિ 9 મેના રોજ ખરબચડી અને 10 મેના રોજ અત્યંત ખરબચડી બની જશે. 10 મેના રોજ દરિયામાં પવનની ઝડપ વધીને 80થી 90 કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે.
જાણો શું છે 'Cyclone Asani' નામનો અર્થ?
હવામાન કાર્યાલયના જણાવ્યાં અનુસાર, ચક્રવાતી તોફાનનું નામ 'આસની' રાખવામાં આવ્યું છે, જે 'ક્રોધ' માટેનો સિંહલી ભાષાનો શબ્દ છે. આ તોફાન આંદામાન ટાપુઓમાં પોર્ટ બ્લેરથી 380 કિમી પશ્ચિમમાં બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં કેન્દ્રિત છે.