આજનો દિવસ ક્રિકેટપ્રેમીઓ માટે ઝટકા સમાન રહ્યો. જ્યાં ધોનીએ અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી તેની પાછળ પાછળ સુરેશ રૈનાએ પણ પોતાના સંન્યાસની જાહેરાત કરી દીધી છે. આમ એક જ દિવસે ભારતીય ટીમના બે દિગ્ગજ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેતા ક્રિકેટપ્રેમીઓ માટે નિરાશાજનક સમાચાર આવ્યાં છે.
ધોનીના સંન્યાસની જાહેરાત બાદ ગણતરીની મિનિટોમાં સુરેશ રૈનાએ પણ માહીની જેમ ઈન્સ્ટાગ્રામ પર પોતાના સંન્યાસની જાહેરાત કરી દીધી છે. સુરેશ રૈનાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે MS ધોની સાથે રમવું એક લ્હાવો હતો અને ગર્વથી હું તમારી સાથે સફર પર છું. થેન્ક યુ ઈન્ડિયા. જય હિંદ.
મહત્વનું છે કે વર્ષ 2018 બાદ સુરેશ રૈના એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી. ત્યારે આશરે 2 વર્ષ બાદ રૈનાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. જો કે ધોનીની જેમ રૈના IPLમાં રમતો દેખાશે.
ભારતના શ્રેષ્ઠ ફિલ્ડર્સમાંના એક ગણાતા રૈનાએ 30 જુલાઈ 2005 ના રોજ શ્રીલંકા સામેની વનડેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે ભારત તરફથી 18 ટેસ્ટ, 226 વનડે અને 78 ટી -20 મેચ રમી હતી. તેના નામે 768 ટેસ્ટ રન છે, જેમાં એક સદી અને 7 અડધી સદી છે.
જ્યારે રૈનાએ 226 વનડેમાં 5 હજાર 616 રન બનાવ્યા છે, વનડેમાં તેની પાસે 5 સદી અને 36 અડધી સદી છે. રૈનાએ 78 ટી -20 મેચોમાં 1605 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને પાંચ અડધી સદીનો સમાવેશ છે. તેની બોલિંગની વાત કરીએ તો તેની પાસે 13 ટેસ્ટ વિકેટ, 36 વનડે અને 13 ટી 20 વિકેટ છે.
લાંબા સમયથી ટીમની બહાર હતો
રૈના લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર રહ્યો હતો. ઇંગ્લેન્ડ સામે 17 જુલાઈ, 2018 ના રોજ લીડ્સ વનડે બાદ તે કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો ન હતો.