ભારત વિશ્વભરમાં કોરોનાવાયરસનું એક હોટ સ્પોટ બની રહ્યું છે અને અહીં ચેપના 1,38,500 થી વધુ કેસ નોંધાયા છે. ભારતમાં કોવિડ 19 ને કારણે 4,024 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને ભારત હવે કેસના મામલે ઈરાન પછી ટોપ 10 દેશોની યાદીમાં જોડાયો છે. જો કે હવે મિશિગન યુનિવર્સિટી અને જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીએ કોરોના મોડેલ દ્વારા ચેતવણી આપી છે કે ભારતમાં જુલાઈના પહેલા અઠવાડિયા સુધીમાં 21લાખ લોકોને ચેપ લાગી શકે છે.
મિશિગન યુનિવર્સિટીના બાયોસ્ટેટિસ્ટિક્સ અને એપીડેમિઓલોજિસ્ટ પ્રોફેસર ભ્રમર મુખર્જીએ ન્યૂઝ એજન્સી રોઇટર્સને ભારત માટે રચાયેલ મોડેલ દ્વારા માહિતી આપી છે કે અહીંની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. પ્રોફેસર ભ્રમર મુખર્જી કહે છે કે ભારતમાં સંક્રમણમાં હજુ ઘટાડો થયો નથી, સરકારી આંકડા મુજબ ભારતમાં કોરોના વાયરસથી ચેપના કેસો દર 13 દિવસમાં બમણા થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, લોકડાઉન સંબંધિત પ્રતિબંધોને હટાવવાથી મુશ્કેલીઓ વધી શકે છે.
આ પહેલા પ્રોફેસર મુખર્જીની ટીમે એપ્રિલમાં પહેલી વાર કહ્યું હતું કે મેના મધ્ય સુધીમાં ભારતમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 1 લાખથી વધુ થઈ જશે. હવે મુખર્જીની ટીમનો અંદાજ છે કે ભારતમાં જુલાઈની શરૂઆત સુધીમાં 6,30,000 થી 21 લાખ લોકો આ વાયરસથી સંક્રમિત થઈ શકે છે.
કેસમાંથી પાંચમા ભાગના કેસ એકલા મુંબઇ શહેરમાં
સમાચાર એજન્સી રોઇટર્સનું કહેવું છે કે ભારતના આરોગ્ય મંત્રાલયે ચેપમાં વધારા સંબંધિત આ અંદાજા પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. નોંધનીય છે કે દેશભરમાં ચેપના કુલ કેસમાંથી પાંચમા ભાગના કેસ એકલા મુંબઇ શહેરમાં જ છે.
દેશમાં બેડ અને વેન્ટિલેટરની અછત
જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી અને મુખર્જીની ટીમે ભારતમાં આરોગ્ય સેવાઓ અને હોસ્પિટલોમાં બેડ અને વેન્ટિલેટરની અછત પર પણ ચિંતા વ્યક્ત કરી છે. સરકારી આંકડા મુજબ હાલમાં ભારતમાં 714,000 જેટલા હોસ્પિટલ બેડ છે, જ્યારે વર્ષ 2009 માં આ સંખ્યા આશરે 540,000 હતી. ચેપના કેસની સંખ્યાના સંદર્ભમાં યુનાઇટેડ સ્ટેટ્સ હાલમાં ટોપ 10 ની યાદીમાં પ્રથમ ક્રમે છે, ત્યારબાદ બ્રાઝિલ, રશિયા, બ્રિટન, સ્પેન, ઇટાલી, ફ્રાંસ, જર્મની અને તુર્કી છે.