રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ફરી ક્રોષ વોટિંગ થવાના ભણકારા વાગી રહ્યા છે. આ વખતે કોંગ્રેસને અસમંજસ હતી કે ધારાસભ્યોને ક્યાં લઇ જવા? ત્યારે હવે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને લઈને પાલનપુરના બાલારામ રિસોર્ટ લઇ જવામાં આવી રહ્યા છે. આ માટે રિસોર્ટ પણ બુક થઈ ગઈ છે. જ્યાં તેઓ ગુરુવારના દિવસભર ચર્ચા કરશે. 5 જુલાઈએ વહેલી સવારે પરત ફરી રાજ્યસભા ચૂંટણી માટે મતદાન કરશે.
રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ(Congress) પોતાના ધારાસભ્યોને ફરી એકવાર પાઠ ભણાવવા જઈ રહી છે. આ વખતે બનાસકાંઠાની બાલારામ પેલેસ રિસોર્ટ(Balaram palace Resort)માં પોતાના ધારાસભ્યોને લઈ જવામાં આવી રહ્યા છે. ત્યારે 2017ની રાજ્યસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના સભ્યોને ક્રોસ વોટિંગના ડરે બેંગ્લોરમાં લઇ જવામાં આવ્યા હતા.
આગામી 5 જુલાઈના ગુજરાતની રાજયસભાની બે બેઠકોની ચૂંટણી છે જેને લઈને ગુજરાત સહિત સમગ્ર દેશનું રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસના ધારાસભ્યો ક્રોસ વોટિંગના કરે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ધારાસભ્યોને એકજુટ કરીને બસમાં પાલનપુરના બાલારામ રિસોર્ટ લઈ જવાની કવાયત હાથ ધરાઈ છે. જેમાં કોંગ્રેસ ધારાસભ્યોને લઇને બનાસકાંઠાના પાલનપુર નજીકના બાલારામ રીસોર્ટ જવા રવાના થયા છે. તેમને 5 જુલાઈના રોજ સીધા ચૂંટણી સ્થળે લાવશે.
ધાનાણીએ કહ્યું કે, તમામ સાથે મળીને ચિંતન કરશે
કોંગ્રેસના ધારાસભ્યોની આ પાઠશાળા પર નિવેદન આપતા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ નિવેદન આપતા કહ્યું કે, રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના તમામ ધારાસભ્યો સાથે મળીને ચિંતન કરશે. આ પાઠશાળામાં ધારાસભ્યોને મતદાન અંગ્રે જાગૃત કરાશે. આ સાથે-સાથે કેવી રીતે આગામી વિધાનસભામાં લોકોના પ્રશ્નો ઊઠાવવા તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે.
મુખ્યમંત્રી રૂપાણીએ આપી હતી પ્રતિક્રિયા
કોંગ્રેસના ધારાસભ્યોને બહાર લઈ જવા મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપતાં કહ્યું હતું કે કોંગ્રેસને તેના સભ્યો પર પણ ભરોસો નથી. કોંગ્રેસ ખૂબ જ ભયભીત છે. કોંગ્રેસની પ્રણાલીમાં જ ખામી છે. તેમણે કહ્યું હતું કે દરવખતે રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ ધારાસભ્યોનો બહાર લઈ જાય છે.