ડાયાબિટીસ એક એવો રોગ છે જે એકવાર થઈ જાય પછી પીછો છોડતો નથી. પણ આ રોગ વિશે હજુ પણ જાગૃતતાનો અભાવ છે. જેથી તેના વિશે જાગૃતતા લાવવા દર વર્ષે 14 નવેમ્બરે વર્લ્ડ ડાયાબિટીસ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. તાજેતરમાં એક નેશનલ સર્વેમાં સાબિત થયું છે કે ભારતમાં કુલ 11.8 ટકા લોકો ડાયાબિટીસનો શિકાર છે. પુરૂષોમાં 12 ટકા અને સ્ત્રીઓમાં 11.7 ટકા ડાયાબિટીસ જોવા મળ્યો છે. 40 ટકા દર્દીઓ તો એવા છે કે જેમને છેલ્લા ચાર વર્ષમાં ડાયાબિટીસનું નિદાન થયું નથી. દિલ્હીની એઇમ્સ અને અન્ય પ્રાઇવેટ સંસ્થાઓએ 2015થી 2019 દરમિયાન કરેલા અભ્યાસના આંકડાઓનું આ સર્વેક્ષણ છે. કેટલીક એવી વાતો છે જે ડાયાબિટીસ અંગે જાણવા જેવી પણ છે.
ડાયાબિટીસ ધરાવતા દર બેમાંથી એકને તો ખબર જ નથી કે તેમને ડાયાબિટીસ છે. આવા અજ્ઞાત કેસો ગ્રામીણ વિસ્તારોમાં વધુ હોય છે.
ચીનમાં 11.43 કરોડ ડાયાબિટીસના દર્દીઓ છે અને 7.29 કરોડ દર્દીઓ સાથે ભારત બીજા ક્રમે છે.
ઇન્ટરનેશનલ ફેડરેશનના અંદાજ મુજબ 2045 સુધી ભારતમાં 13.43 કરોડ લોકો ડાયાબિટીસથી પીડાતા હશે.
ડાયાબિટીસ પોલિડિનેટિક ડિસીઝ છે તેથી જો પરિવારમાં બંને પેરેન્ટ્સને હોય તો ભવિષ્યમાં સંતાનોને થવાની શક્યતાઓ ઉંચી છે.
જીવનમાં ડાયેટ, એક્સરસાઇઝ. મેડિટેશન અને સ્ટ્રેસ આ ચાર બાબતોનુ સંતુલન જાળવવાથી ડાયાબિટીસથી દૂર રહી શકાય છે.
ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવા રોગના મૂળ પરિવારમાં જ હોય છે. આખા પરિવારે ખાણીપીણીની રીત બદલવી જોઇએ અને એક્સરસાઇઝની આદત પાડવી જોઇએ.
કોઇ વ્યક્તિ માટે અલગ જમવાનું બનાવવાના બદલે આખા પરિવાર માટે ડાયેટના મુખ્ય સિધ્ધાંતોને ધ્યાનમાં રાખીને જમવાનું બનાવો. પહેલેથી જ ઓછુ ઘી, તેલ, ખાંડ ખાવાની આદત પાડો.
આ છે ડાયાબિટીસના આગોતરા લક્ષણો
ડાયાબિટીસ પહેલા પ્રી ડાયાબિટીસ સિચ્યુએશન આવતી હોય છે જો તમને એકાદ લક્ષણની પણ જાણ થાય અને તમે ચેતી જાવ તો શક્ય છે કે તમે આ રોગ આવતો અટકાવી શકો અથવા તેને પોસ્ટપોન કરી શકો છો.
ભુખ અને થાક વધુ લાગવા
તમે જે ખાવ છો તેમાંથી શરીર ગ્લુકોઝ બનાવે છે. આ ગ્લુકોઝ શરીરના કોષોને એનર્જી પુરી પાડવાનું કામ કરે છે. આ ક્રિયા માટે સ્વાદુપિંડમાંથી રિલીઝ થતાં ઇન્સ્યૂલિન હોર્મોનની જરૂર પડે છે. જો તમારું શરીર પુરતો ઇન્સ્યૂલિન ઉત્પન્ન કરતું ન હોય તો ગ્લુકોઝ લોહીમાં હોવા છતા કોષોને એનર્જી નહી મળે અને તમને સતત ભૂખ જેવું ફીલ થયા કરશે અને થાક પણ વધુ લાગશે.
બે લિટર પાણી પીધા બાદ પણ તરસ લાગવી
શુગરના દર્દીઓને લાળ બનવાની પ્રક્રિયામાં અવરોધ પેદા થતો હોવાથી મોંમા ડ્રાયનેસ લાગવા લાગે છે. આ લોકોનું મોં સૂકાય છે. એક ગ્લાસ પાણી પીધાની પાંચ જ મિનિટમાં તરસ લાગવા લાગે છે.
વારંવાર યુરિન પાસ કરવા જવું
સામાન્ય વ્યક્તિને 24 કલાકમાં ચારથી લઇને સાત વખત યુરિન પાસ કરવા જવું પડે છે. જો તમારે એનાથી વધુ સમય જવું પડે તો માનજો કે તમારું શુગર લેવલ વધી ગયુ છે
ત્વચામાં ખંજવાળ અને બ્લર વિઝન
વારંવાર યુરિન પાસ થવાની ઘટનાથી શરીરમાંથી ફ્લુઇડ ઘટે છે અને સ્કિનની ડ્રાયનેસ વધે છે તેથી ખંજવાળ આવે છે. ડ્રાયનેસના લીધે અચાનક આંખોમાં ઝાંખપ આવી જાય છે. આલેખનઃ ભૂમિકા ત્રિવેદી