દાનવીર કર્ણની ભૂમિ સુરત. અહીંના લોકો દાન કરવામાં ગુજરાતમાં સૌથી આગળ રહે છે તેવું કહેવામાં ખોટું નથી. ત્યારે હવે ગુજરાતમાં સૌ પ્રથમવાર સુરતમાં અઢી વર્ષના બાળકના હૃદય સહિત અન્ય અંગોનું દાન કરાયું છે. અઢી વર્ષના જશના અંગોથી 7 બાળકોને નવજીવન મળશે. મહત્વનું છે કે, સુરતમાંથી અત્યાર સુધીમાં 30થી વધુ હૃદયના દાન કરવામાં આવ્યા છે.
સુરતના અઢી વર્ષના બાળકનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું
હાર્ટ, ફેફસા, કિડની, આંખો અને લીવરનું પણ દાન કરાયું
સુરતના બાળકનું રશિયાના ચાર વર્ષના બાળકને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું
ગુજરાતમાં અંગદાન કરવામાં સૌથી અગ્રેસર એવા સુરતમાંથી અઢી વર્ષના બાળકનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. સુરતના અઢી વર્ષના જશ સંજીવ ઓઝાને બ્રેઇનડેડ જાહેર કરાયું હતું. બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ બાળકના હૃદય, ફેફસાં, કિડની, લીવર અને આંખોનું દાન કરાયું છે. પત્રકાર સંજીવ ઓઝાએ સંમતિથી પોતાના બાળકના અંગોનું દાન કરાયું છે. હાલ આ સુરતના બાળકનું હૃદય રશિયાના બાળકમાં ધબકશે. સુરતના જશનું રશિયાના ચાર વર્ષના બાળકનું ચેન્નાઇની MGM હોસ્પિટલમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. તો બાળકના ફેફસાંનું યુક્રેનના 4 વર્ષના બાળકમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.
જશ ઓઝા પાડોશીના ઘરે રમતા રમતા બીજા માળેથી નીચે પડી ગયો હતો
9 ડિસેમ્બરે અઢી વર્ષનો જશ ઓઝા પાડોશીના ઘરે રમતા રમતા બીજા માળેથી નીચે પડી ગયો હતો. આ દરમિયાન તેના માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને લઇને તે બેભાન થઇ ગયો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સુરતની અમૃતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સીટી સ્કેન અને MRI કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું સામે આવ્યું હતું. 14 ડિસેમ્બરે હોસ્પિટલના ડૉક્ટરોએ બાળકનું બ્રેઈનડેડ હોવાનું જણાવ્યું હતું. જશના પિતા સંજીવ કે જેઓ એક પત્રકાર તરીકે વર્ષોથી ડોનેટ લાઈફની અંગદાનની પ્રવૃત્તિ વિશે સમાચાર પત્રોમાં લખીને સમાજમાં અંગદાન અંગેની જનજાગૃતિ ફેલાવવામાં પોતાનું યોગદાન આપતા હતા.
મારા પુત્રના અંગદાનથી મારો પુત્ર અન્ય બાળકોમાં જીવિત રહેશેઃ પિતા
દરિયાદિલ પત્રકારે કહ્યું કે આજે મારો બાબુ (જશ) ભલે નથી રહ્યો પરંતુ તમે તેના અંગોનું દાન કરાવી અમદાવાદ, મુંબઈ, દિલ્હી અને ચેન્નાઈ જેવા શહેરોમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહેલા તેના જેવા બાળકોને નવું જીવન આપવા માટે આગળ વધો. મારા પુત્રના અંગદાનથી મારો પુત્ર અન્ય બાળકોમાં જીવિત રહેશે. ત્યાર બાદ પિતા સંજીવે ડોનેટ લાઈફના નીલેશ માંડલેવાલા અને ડૉ.સ્નેહલ દેસાઈની સાથે રહી પોતાની પત્નીને પણ જશના અંગદાન કરાવવા માટે રાજી કરી હતી.
જશની માતાએ કહ્યું હતું કે, હજુ એક દિવસ રાહ જુઓ કોઇ ચમત્કાર થાય અને મારો દીકરો મમ્મી મમ્મી બોલે
જશની માતાને આશા હતી કે, હજુ પણ કોઇ ચમત્કાર થાય કે મારો દીકરો ઉભો થઇને મમ્મી-મમ્મી બોલે. જેને લઇને તેની માતાએ વધુ એક દિવસની રાહ જોવા માટે જણાવ્યું હતું. આ દરમિયાન નિલેશ માંડલેવાલાએ સમજાવ્યા કે, દર્દી બ્રેઇનડેડ જાહેર થયા બાદ ધીરે ધીરે તેના દરેક અંગો બગડતા જાય છે. એક દિવસ પછી કદાચ અમુક અંગોનું દાન ન પણ થઇ શકે. ત્યારબાદ જશની માતાએ જણાવ્યું કે તેઓ જશને વધુને વધુ બાળકોમાં જોવા માંગે છે. જશની માતાએ પોતાના ફૂલ જેવા કોમળ બાળકના વધુને વધુ અંગો જરૂરિયાતમંદ દર્દીઓને ઉપયોગમાં આવી શકે તે માટે પોતાના હૃદય ઉપર પત્થર મૂકી પોતાના વ્હાલસોયા-લાડકવાયા બાળકના અંગદાનની મંજુરી આપી.