ગુજરાતમાં નવા મુખ્યમંત્રી બનતા જ નવા મંત્રી મંડળને લઈને પણ રાજકારણ ગરમાયું છે. ત્યારે રાજ્યના 4 મોટા કહી શકાય તેવી મંત્રીઓની કેબિન ખાલી કરવામાં આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે, ગુજરાતમાં આજે નવા મંત્રી મંડળની જાહેરાત થવાની છે અને જેમાં જૂના મંત્રીઓને પાણીચુ પકડાવીને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી શકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ત્યારે ગુજરાતના 4 દિગ્ગજ મંત્રીઓની ઓફિસ ખાલી કરાઈ રહી હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખીય છે કે, રાજ્ય કક્ષાના મંત્રી વિભાવરી બહેન દવે, વાસણ આહીર તથા કુમાર કાનાણીની સ્વર્ણિમ સંકુલમાં રહેલી ઓફિસ ખાલી કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. તો આ સાથે જ શિક્ષણ મંત્રી અને છેલ્લા કેટલાક સમયથી શિક્ષકોની પરીક્ષા મામલે ચર્ચામાં રહેલા ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાની ઓફિસ પણ ખાલી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. તો મંત્રી ઈશ્વર પરમારની પણ ઓફિસ ખાલી કરાઈ છે.
નો-રિપીટ થિયરી લાગુ કરાઈ શકે
સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે, ગુજરાતના નવા મંત્રીમંડળમાં છેલ્લી ઘડીએ નો-રિપીટ થિયરી લાગુ થઈ શકે છે. જેમાં જૂના ચહેરાઓ રિપીટ ન થાય તેવી પૂરી શક્યતાઓ છે. તો નવા ચહેરાઓને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે. આ સાથે જ ધર્મેન્દ્ર સિંહ જાડેજા અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ વચ્ચે બેઠક થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
કોણ CM ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાંથી થઈ શકે બાકાત
રાજ્યની સરકારમાં અત્યાર સુધીમાં પાટીદારોનાં દિગ્ગજ નેતા નીતિન પટેલ નંબર બેની ભૂમિકામાં રહ્યા છે અને ડેપ્યુટી સીએમ પદ પર તેઓ હતા ત્યારે હવે મુખ્યમંત્રી જ પાટીદાર હોવાથી નીતિન પટેલનાં પદને આશંકા ઊભી થઈ છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને પાટીદાર હોય તેવું રહ્યું નથી ત્યારે નીતિન પટેલ જેવા દિગ્ગજ નેતાનું પણ મંત્રીમંડળમાંથી પત્તું કપાઈ શકે છે. સૂત્રો અનુસાર મળતી માહિતી અનુસાર નીતિન પટેલનાં સ્થાને ઋષિકેશ પટેલને સ્થાન આપવામાં આવશે.
આજે જ શપથવિધી યોજાય તેવી સંભાવના
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 16 સપ્ટેમ્બરને બદલે આજે જ CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ યોજાઇ શકે છે. સવારે 11 વાગ્યે તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવાનો આદેશ આપી દેવાયો હોવાના સમાચાર છે. બપોરે 4 વાગ્યે સમારોહ યોજાશે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે.
વિજય રૂપાણીના રાજીનામાં સાથે ગુજરાતના તમામ મંત્રીઓના રાજીનામાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા લઈ લેવામાં આવ્યા હતા. જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી તેમની 13 સપ્ટેમ્બરના રોજ શપથવિધી થઈ હતી પરંતુ તેમને મંત્રીમંડળ સાથે નહીં પરંતું એકલા જ શપથવિધી કરી હતી કારણ કે મંત્રીઑના નામની જાહેરાત બાકી હતી તેની પર આખરી મહોર લાગવાની બાકી હતી. અમિત શાહ જ્યારે શપથવિધીના કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે મંત્રીઓના નામ પર ગહન ચર્ચા થઈ હતી ત્યારે બાદ નવા મંત્રીમંડળનો તખ્તો તૈયાર કરાયો હતો અને હવે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કાલે તમામ ધારાસભ્યોને ગાંધીનગર 11 વાગ્યા પહેલા પહોંચવાનો આદેશ જારી કરી દેવાંમાં આવ્યો છે. પહેલા વાત હતી કે 16 સપ્ટેમ્બરે સીએમ ભૂપેન્દ્ર પટેલનું મંત્રી મડળ શપથ લેશે પરંતુ પ્રાથમિક માહિતી મુજબ તાબડતોબ નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. અને આજે જ મંત્રીઑના નામની જાહેરાત સાથે જ બપોરે 4 વાગ્યે શપથવિધિ પણ કરાવી નાખવામાં આવી શકે છે.