નકારાત્મકતા પણ ક્યારેક વ્યક્તિને ટોચ ઉપર પહોંચાડી દેતી હોય છે. આવું જ કંઈક ભાજપના ‘બફાટીયા’ સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર સાથે બન્યું છે. નાથુરામ ગોડસેને ‘દેશભક્ત’ ગણાવીને મોટો વિવાદ જગાવનારા સાધ્વી પ્રજ્ઞા હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘ગુડબુક’માંથી બહાર ફેંકાઈ ગયાં છે અને તેમને ‘અપ્રિય’ બની ગયાં છે. આમ છતાં પણ સોશિયલ મીડિયા સાધ્વી પ્રજ્ઞાને જોરદાર રીતે ફળ્યું છે અને તેઓ હાલ છવાઈ ગયાં છે.
કોંગ્રેસના ધારાસભ્ય દાંગીને લલકારતા ટ્વીટને માત્ર થોડાં કલાકોમાં જ મળ્યા 50 હજારથી વધુ લાઈક
મધ્યપ્રદેશના ભોપાલથી ભાજપનાં સાંસદ તેમના નિવેદનોના કારણે હંમેશા વિવાદોમાં ઘેરાયેલાં રહે છે. તેમણે સોશિયલ મીડિયા પર સક્રિયતાથી અન્ય ‘ભગવાધારી’ નેતાઓને ક્યાંય પાછળ રાખી દીધા છે. કોંગ્રેસના ધારાસભ્ય ગોવર્ધન દાંગી દ્વારા તેમને જીવતા સળગાવી દેવાની ધમકીનો સાધ્વીએ ટ્વીટર પર જડબાતોડ જવાબ આપ્યો તો ફક્ત ગણતરીના કલાકોમાં જ તેમના આ ટ્વીટને 50 હજારથી પણ વધુ લોકોએ લાઈક કર્યું હતું અને 18 હજારથી વધુ લોકોએ તેને રિ-ટ્વીટ કર્યું હતું.
ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પણ સાધ્વી પ્રજ્ઞાની પોસ્ટને જોરદાર લાઈક મળ્યા છે. સાધ્વીએ તેમનાં ટ્વીટમાં દાંગીને લલકાર ફેંકતા જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસીઓને જીવતા સળગાવી દેવાનો જૂનો અનુભવ છે. 1984માં શીખોને અને નૈના સાહનીને તંદૂરમાં સળગાવી દેવા સુધીના અનુભવો છે. રાહુલ ગાંધીએ મને આતંકી કહી અને તેમના ધારાસભ્ય ગોવર્ધન દાંગીએ મને સળગાવી દેવાની વાત કરી. ઠીક છે. તો હું આવી રહી છું. 8 ડિસેમ્બર, 2019ના રોજ સાંજે 4.00 વાગ્યે હું તેમના નિવાસસ્થાન મુલ્તાનપુરા પર જઈશ. મને સળગાવી દેજો.’
ઉલ્લેખનીય છે કે, મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને ‘દેશભક્ત’ કહેવા બદલ સાંસદ પ્રજ્ઞાના વિરોધમાં યોજાયેલા પુતળાં દહન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસી ધારાસભ્ય દાંગીએ તેમને જીવતાં સળગાવી દેવાનું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેના જવાબમાં પ્રજ્ઞાએ દાંગીને લલકારતું આ ટ્વીટ કર્યું હતું.
પ્રજ્ઞાએ જે ટ્વીટર હેન્ડલ ‘સાધ્વી પ્રજ્ઞા ઑફિશિયલ’ પરથી આ ટ્વીટ કર્યું હતું, તેના લગભગ 66 હજાર ફૉલોઅર્સ છે. બીજી તરફ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા શિવરાજસિંહ ચૌહાણને પણ ઘણા દિવસો બાદ જે ટ્વીટ પર 10 હજારથી વધુ લાઈક અને રિ-ટ્વીટ મળ્યાં તે પણ સાધ્વી પ્રજ્ઞા સાથે જ જોડાયેલું હતું. ચૌહાણના ફૉલોઅર્સની સંખ્યા અંદાજે 57 લાખ જેટલી છે.
અયોધ્યા આંદોલનથી લાઈમલાઈટમાં આવેલા ભગવાધારી ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા, વિનય કટિયાર, કલ્યાણસિંહ અને જયભાણસિંહ પવૈયા હવે રાજનીતિમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરથી ઘણા પાછળ રહી ગયા છે. ભગવા બ્રિગેડને સાધ્વીના રૂપમાં એક ફાયરબ્રાન્ડ હિન્દુ નેતાનો ચહેરો મળી ગયો છે.
ટ્વીટર પર હજુ પણ મોદી જ ‘કિંગ’ : સૌથી વધુ લોકપ્રિય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વીટર પર 5.15 કરોડ ફૉલોઅર છે. નવેમ્બર મહિનામાં તેમને સર્વાધિક લાઈક, રિ-ટ્વીટ અને કૉમેન્ટ અયોધ્યા કેસના ચુકાદા સંબંધિત ટ્વીટ પર મળ્યા હતા. તેની સર્વાધિક સંખ્યા 8.22 લાખ હતી.
ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના ટ્વીટર પર 1.62 કરોડ ફૉલોઅર છે. તેમને પણ નવેમ્બરમાં સૌથી વધુ રિ-ટ્વીટ, લાઈક અને કૉમેન્ટ અયોધ્યા ચુકાદા પર જ મળ્યા હતા. તેમની સર્વાધીક સંખ્યા 1.90 લાખ રહી હતી.
‘આપ’ના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના ટ્વીટર પર ફૉલોઅર્સની સંખ્યા 1.58 કરોડ છે.નવેમ્બરમાં તેમને સૌથી વધુ રિ-ટ્વીટ, લાઈક અને કટમેન્ટ અયોધ્યા ચુકાદા પર જ મળ્યા હતા, જેની સંખ્યા 45 હજાર જેટલી હતી.