બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં બિરાજમાન વૈજનાથ મહાદેવ, 3 શિવલિંગ અને ગણેશજીની બે અલગ-અલગ મૂર્તિના કરો દર્શન
Last Updated: 06:00 AM, 12 September 2024
સમગ્ર ગુજરાતમાં અનેક પૌરાણિક શિવાલય આવેલા છે. દરેકનું મહાત્મ્ય અલગ હોય છે. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં અતિ પૌરાણિક શિવાલય આવેલું છે. આ શિવાલયમાં મહાદેવ વિવિધ શિવલિંગ સ્વરૂપે ભક્તોને દર્શન આપે છે. આ મંદિર પરિસરમાં એક સાથે ત્રણ શિવલિંગ અને ગણેશજીની બે મૂર્તિ બિરાજમાન છે. અમદાવાદના વેજલપુરમાં વૈજનાથ મહાદેવનું મંદિર ભક્તો માટે અતૂટ આસ્થા અને વિશ્વાસનુ કેન્દ્ર છે. આ મંદિરની સ્થાપના 1336માં કરવામાં આવી હતી. આ શિવાલયમાં ભગવાન શિવજીના અલગ અલગ ત્રણ સ્વરૂપના ભક્તો દર્શન કરે છે. મંદિરે દર્શન કરવા માટે વહેલી સવારથી ભક્તો જોડાય છે. આ મંદિરની એક વિશિષ્ટતા છે. મંદિરમાં એક સાથે બે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં એક ગણપતિ જમણી સુંઢના અને બીજા ગણેશજી ડાબી સુંઢના છે.
ADVERTISEMENT

અમદાવાદના વેજલપુરમાં બિરાજમાન વૈજનાથ મહાદેવ
ADVERTISEMENT
વૈજનાથ મહાદેવના વિશાળ મંદિરના ઘુમ્મટમાં ભગવાન શિવના વિવિધ સ્વરૂપો બનાવવામાં આવ્યા છે. સ્થાનિક ભાવિક ભક્તો દિવસની શરૂઆત મંદિરે દર્શન કરીને કરે છે. લોકવાયકા મુજબ વર્ષો પહેલા તે સમયના પાલડી ગામના રબારી સમાજના લોકો ગાયો ચરાવવા અહિં આવતા હતા ત્યારે ગાયોની દૂધની ધાર આ જગ્યા પર પડતી હતી. એટલે આ જગ્યાએ ખોદકામ કરતા અહી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતુ. એક લોકવાયકા એવી પણ છે કે વેજલપુર ગામની સ્થાપના થઈ એ પહેલાથી વૈજનાથ મહાદેવનું મંદિર અહીં હતું. એટલે આ શિવાલય આશરે 700થી 800 વર્ષ જુનું છે. મંદિરે દરેક સમાજના દર્શને આવે છે અને તેમની મહાદેવજી પર અતુટ શ્રધ્ધા અને આસ્થા છે. ભાવિક ભક્તો દેવાધિદેવ મહાદેવને દરરોજ બિલ્વપત્ર, જળ, દુધ, કાળાતલ અર્પણ કરે છે. અને વૈજનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

ADVERTISEMENT
સોમવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે
શ્રાવણ માસમાં મહાદેવને અનોખો શણગાર કરવામાં આવે છે. ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવતા આ મંદિરમાં મહાદેવના દર્શન કરવા દર સોમવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. મંદિરમાં ગણેશજી, હનુમાનજી, શનિદેવને બિરાજમાન કરવામાં આવ્યા છે. શિવાલયના ગર્ભગૃહમાં માતાજીની વર્ષો જૂની મુર્તિના દર્શન થાય છે. અહીં માત્ર દર્શન કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. મંદિરમાં ભક્તો દ્વારા ભજન કીર્તન કરવામાં આવે છે. ભાવિકો ભગવાન શંકર સાથે હનુમાનજીના દર્શન કરી ધન્ય થાય છે. એક વિધા જમીન પર બનાવવામાં આવેલા મહાદેવજીના મંદિર પરિસરના વિશાળ બગીચામાં મહાદેવજીના સાનિધ્યમાં બેસી મંદિરે આવતા ભક્તો શાંતિની અનુભૂતિ કરે છે.
ADVERTISEMENT
વૈજનાથ મહાદેવના 800 વર્ષ પૌરાણિક મંદિરમાં તે સમયની વિવિધ શીલાઓમાં સુંદર કોતરણી કરવામાં આવી છે. શિવાલયના ઘુમ્મટ પર ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલાના સુંદર ચિત્રો બનાવવામાં આવ્યા છે મંદિરમાં વર્ષો જૂની પરંપરા મુજબ પૂજા કરવામાં આવે છે. આઠમના મેળામાં, મહાશિવરાત્રિના મેળામાં અને શ્રાવણી અમાસે મંદિરથી વરઘોડો નીકળે છે. જેમાં હજ્જારો ભાવિકો હર્ષોલ્લાસ સાથે જોડાય છે. મંદિરે આવતા લોકો અહીં વિવિધ ઉત્સવોની ઉજવણી કરે છે.

ADVERTISEMENT

ભાવિકોને આસ્થા છે કે વૈજનાથ મહાદેવ તેમના દરેક દૂખ દૂર કરે છે
ADVERTISEMENT
વૈજનાથ મહાદેવના મંદિરમાં શિવલિંગ પર લઘુરુદ્રા, શિવઅભિષેક, રૂદ્રાઅભિષેક, મહામૃત્યુંજપ જેવા અભિષેક કરવામાં આવે છે. શ્રાવણ માસમાં મહાદેવના મંદિરે સતત એક મહિના સુધી સામવેદી પૂજા કરવામાં આવે છે. અને આ પરંપરા છેલ્લા 700 - 800 વર્ષથી યથાવત છે. સરખેજ ગામના બ્રાહ્મણો શ્રાવણ માસ દરમ્યાન મંદિરમાં જ રહે છે. અને ભગવાન શિવજીની વિશેષ પૂજા કરે છે. અમદાવાદના વૈજનાથ મહાદેવ પર અભિષેકનું અદકેરુ મહત્વ છે. વૈજનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણના સોમવારે દિવસભર ભક્તો દૂધ,જળ, કાળ તલ અને બિલિપત્ર શિવલીંગને ચડાવે છે. મહાદેવના દર્શન કરવા આસપાસના વિસ્તારમાંથી શ્રદ્ધાળુઓ ઉમટે છે. વારે તહેવારે મંદિરે ભજન કીર્તન અને અન્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં સ્થાનિક લોકોની સાથે સાથે આસપાસના વિસ્તારના લોકો હાજરી આપી મહાદેવજીના દર્શન કરી ધન્ય થાય છે.
મંદિરમાં એક સાથે ત્રણ શિવલિંગની ભક્તો પૂજા કરી દર્શન કરે છે. મંદિરના પ્રાંગણમાં વર્ષો જૂનો પીપળો આવેલો છે. જે મંદિરની સ્થાપના થઈ ત્યારથી જ છે તેવી લોક વાયકા છે. મંદિરે આવતા ભાવિકો મહાદેવના દર્શન કરી પીપળે જળ ચડાવીને તેની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવે છે. વૈજનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા માટે દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે. ભાવિકોને આસ્થા છે કે વૈજનાથ મહાદેવ તેમના દરેક દૂખ દૂર કરે છે.. અને તેમની મનોકામના પણ પૂર્ણ કરે છે. અલૌકીક મંદિરમાં મહાદેવ હાજરા હજુર હોવાની દરેક ભકતોને અનુભૂતી થાય છે. અને એટલે જ તેમનો વિશ્વાસ અને આસ્થા અતૂટ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.