બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં સીલ કરાયેલી 60 ફટાકડાની દુકાનો બોન્ડ લઈને ફરી ખુલશે, રામોલ બ્લાસ્ટ બાદ લેવાયેલા નિર્ણયમાં નવો વળાંક
Last Updated: 07:33 AM, 6 August 2026
રામોલ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 12 લોકોના મોત થયા બાદ અમદાવાદમાં નિયમોનો ભંગ કરીને ચાલતી ફટાકડાની દુકાનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે શહેરભરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને નિયમોનું પાલન ન કરતી ફટાકડાની દુકાનો તેમજ ગોડાઉનોને સીલ કરવામાં આવ્યા હતા. હવે આ સમગ્ર મામલામાં નવો વળાંક આવ્યો છે. ટાઉન પ્લાનિંગ (ટીપી) કમિટીમાં ફટાકડાની દુકાનોના માલિકો પાસેથી બોન્ડ લઈને અને નિયમોનું પાલન કરવાની બાંહેધરી મેળવ્યા બાદ સીલ ખોલી આપવાની સૂચના આપવામાં આવતા શહેરમાં ભારે ચર્ચા અને વિવાદ શરૂ થયો છે.
ADVERTISEMENT

રામોલ ફટાકડા બ્લાસ્ટમાં 12 લોકોના કરૂણ મોત થયા બાદ મ્યુનિસિપલ તંત્ર હરકતમાં આવ્યું હતું. લાંબા સમયથી નિયમોનું પાલન ન કરતી ફટાકડાની ફેક્ટરીઓ અને દુકાનો સામે પોલીસ સાથે મળીને ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ખુલ્લેઆમ નિયમોનો ભંગ કરીને ચાલતી ફટાકડાની દુકાનો અને ગોડાઉનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન શહેરમાં કુલ 60 ફટાકડાની દુકાનોને સીલ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
તહેવારો નજીક આવતા ફટાકડાના વેપારીઓ તેમજ આ વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય ધંધાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. વેપારીઓએ પોતાની રજૂઆત માટે ભાજપના પૂર્વ કોર્પોરેટરો તેમજ સ્થાનિક આગેવાનોનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ રાજકીય આગેવાનોએ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મ્યુનિસિપલ અધિકારીઓ સમક્ષ વેપારીઓની તરફેણમાં રજૂઆત કરી હતી અને ગમે તેમ કરીને સીલ કરાયેલી દુકાનો ફરી શરૂ કરવાની માંગ ઉઠાવી હતી.
ADVERTISEMENT
આ રજૂઆતો બાદ મ્યુનિસિપલ ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે ફટાકડાના વેપારીઓ પાસેથી રિટેલ કાઉન્ટર માટે બોન્ડ લેવામાં આવશે. સાથે જ વેપારીઓ પાસેથી નિયમ મુજબ નિર્ધારિત પ્રમાણમાં જ ફટાકડાનો જથ્થો રાખવાની લેખિત બાંહેધરી પણ લેવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દુકાનો પર મારવામાં આવેલા સીલ ખોલી આપવા માટે એસ્ટેટ વિભાગને સૂચના આપવામાં આવી છે.
ADVERTISEMENT
આ નિર્ણય જાહેર થતાં જ શહેરમાં મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. એક તરફ રામોલ જેવી ગંભીર દુર્ઘટના બાદ નિયમોમાં કોઈપણ પ્રકારની ઢીલ ન આપવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે અને નિર્ણયને લઈને વિવાદ સર્જાયો છે. બીજી તરફ ફટાકડાના વેપારીઓ અને આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ખુશીની લાગણી ફેલાઈ છે, કારણ કે તહેવારો પહેલાં ફરી વેપાર શરૂ કરવાની તક મળશે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે રામોલ વિસ્તારમાં થયેલા ફટાકડા ફેક્ટરીના ભયંકર વિસ્ફોટે સમગ્ર શહેરને હચમચાવી દીધું હતું અને તેમાં 12 લોકોના જીવ ગયા હતા. ત્યારબાદ મ્યુનિસિપલ તંત્રએ શહેરમાં નિયમોનો ભંગ કરતી દુકાનો સામે કડક કાર્યવાહી કરીને કુલ 60 ફટાકડાની દુકાનો સીલ કરી હતી. હવે બોન્ડ અને નિયમોના પાલનની બાંહેધરી સાથે આ દુકાનો ફરી શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જેના કારણે શહેરમાં આ નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.