અમદાવાદ અને વડોદરા સહિતના શહેરોમાં નૂપુર શર્માનો વિરોધ કરી ધરપકડ કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી.
અમદાવાદ- વડોદરામાં પણ નૂપુર શર્માનો વિરોધ
અમદાવાદના કેટલાક વિસ્તારો બંધ રહ્યા
વડોદરામાં જુમ્માની નમાજ બાદ કર્યો વિરોધ
પયગંબર મોહમ્મદ અંગેની અપમાનજનક ટિપ્પણીને લઈને નૂપુર શર્માનો ગુજરાત સહિત દેશના અનેક પ્રાંતમાં આકરો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વાંધાજનક નિવેદન બદલ નૂપુર શર્મા વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે ઠેર-ઠેર બેનર-પોસ્ટર પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદ અને વડોદરા ખાતે જુમ્માની નમાજ બાદ વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકોએ વિરોધ પ્રદર્શન કરી પોલીસની હાજરીમાં આકરા સૂત્રોચાર કર્યા હતા.
વડોદરામાં નુપુર શર્માની ધરપકડની માંગ સાથે વિરોધ પ્રદર્શન
વડોદરામાં શુક્રવારની નમાજ અદા કર્યા બાદ ગોરવા શાકમાર્કેટ પાસે મોટી સંખ્યામાં લોકો બેનરો અને પોસ્ટર લઈને પહોંચ્યા હતા. જ્યાં નુપુર શર્માના નિવેદનને લઇને વિરોધ વ્યક્ત કર્યો હતો. આ તકે પોસ્ટરો અને હાથમાં બેનરો લઈને તેમની વુરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી.વિરોધ પ્રદર્શન દરમિયાન લોકોએ નારા પણ લગાવ્યા હતા.વધુમાં નુપુર શર્માની ધરપકડ સહિત કડક કાર્યવાહીની માંગ ઉઠાવી હતી. તથા નારાએ તખબીર અલ્લાહુ અકબરના પણ નારા લગાવ્યા હતા. DCP ઝોન 1 સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની હાજરીમાં નારા લગાવી ઉગ્ર માંગ કરવામાં આવી હતી.
અમદાવાદના અનેક વિસ્તારો રહ્યા બંધ
અમદાવાદ શહેરના દરિયાપુરમાં પોસ્ટરો અને હાથમાં બેનરો લઈ નૂપુર શર્મા વુરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. વધુંમાં ધરપકડની માગ સાથે અમદાવાદના કેટલાક વિસ્તારો બંધ રહ્યા હતા. અમદાવાદના મધ્યના અમુક વિસ્તારોમાં નુપુર શર્માની ધરપકડની માંગ કરી વિરોધ ઠાલવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત શહેરના પાનકોર દરવાજા, ત્રણ દરવાજા, રમકડાં બજાર, કાલુપુર, શાહઆલમ, સહિતના વિસ્તારો બંધ રહ્યા હતા.બીજી તરફ વિરોધ પ્રદર્શનને ધ્યાને પોલીસ વિભાગ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.