હાઇકોર્ટના આદેશ બાદ ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે રસ્તા વચ્ચે કે ફૂટપાથ પર આવેલા તમામ ધાર્મિક નિર્માણ હટાવવાનો નિર્ણય લીધો છે.
સાર્વજનિક રસ્તા પર, ગલી કે ફૂટપાથના કિનારે આવેલા ધાર્મિક નિર્માણ હટાવવામાં આવશે
2011 કે ત્યાર પછી બનાવવામાં આવેલા મંદિર, મસ્જિદ કે ચર્ચ હટાવવામાં આવશે
હાઇકોર્ટના આદેશ બાદ ગૃહ વિભાગ તરફથી અપાયો આદેશ
ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે એક અગત્યનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત સાર્વજનિક સડકો પર, રાજમાર્ગ પર, ગલી કે ફૂટપાથનાં કિનારે બાંધવામાં આવેલા તમામ ધાર્મિક નિર્માણ હટાવવામાં આવશે. હાઇકોર્ટના આદેશ બાદ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવેલા નિર્દેશાનુસાર 2011 કે ત્યાર પછી બનાવવામાં આવેલા આવા ધાર્મિક નિર્માણો હટાવવામાં આવશે.
અધિકારીઓને આપવામાં આવ્યા આદેશ
- પ્રદેશના આઇજી, ડીઆઇજી, પોલીસ કમિશનર્સ, ડીએમ, એસપી તમામ અધિકારીઓને આ સંબંધે નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. આ અધિકારીઓએ જવાબદારી પૂર્વક કામ લેવાનું રહેશે અન્યથા સંબંધિત અધિકારીને પણ દોષિત ઠેરવવામાં આવી શકે છે.
પહેલા વાતચીતથી રસ્તો લાવવાનો પ્રયત્ન કરવામાં કરવામાં આવશે
આવા તમામ ધાર્મિક બાંધકામ હટાવતા પહેલા એકવાર સંબંધિત ધર્મના લોકો સાથે અધિકારીઓ દ્વારા વાતચીતનો માર્ગ અપનાવવામાં આવશે. વાતચીત કર્યા બાદ છ મહિનાની અંદર જે તે ધાર્મિક નિર્માણને સ્થાનાંતરીત કરવામાં આવશે. જો સહમતી ન સધાય તો પ્રશાસનને રિપોર્ટ મોકલી બાંધકામ હટાવવામાં આવશે.
... તો અધિકારીઓ રહેશે જવાબદાર
10 જૂન 2016 કે ત્યાર પછી જે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે એમણે સુનિશ્ચિત કરવાનું રહેશે કે આ પ્રકારે કોઈ ધાર્મિક નિર્માણ ન બને. જો આ પ્રકારે અતિક્રમણ થશે તો જે તે અધિકારી વ્યક્તિગતરૂપે જવાબદાર રહેશે. આ એક પ્રકારે કોર્ટના આદેશનું ઉલ્લંઘન છે તેથી તેણી અવમાનના અપરાધ માનવામાં આવશે.