આજે વિશ્વ સિંહ દિવસ છે...દર વર્ષે 10મી ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આજે વિશ્વ સિંહ દિવસ
CM ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા ઉજવણી
ગીર સોમનાથના બાળકોની કરી પ્રસંશા
ભારતમાં એશિયાટિક સિંહ માત્ર ગુજરાતમાં વસે છે.ગુજરાતના ગીર અભ્યારણ્યમાં સિંહોનો સારો વિકાસ થયો છે. ભારતમાં સિંહોની વાત કરીએ તો ભારતમાં 50 વર્ષમાં સિંહોની સંખ્યામાં 280 ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં ગીર નેશનલ પાર્ક સહિત આસપાસની 4 સેન્ચ્યુરીમાં સિંહ વસવાટ કરે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વન વિભાગ દ્વારા કરવામાં આવેલ ઉજવણીમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થયા હતા તથા ગુજરાતના ગૌરવ સમાન સિંહોના સંરક્ષણ, સંવર્ધન અને લોકજાગૃતિ ઊજાગર કરવા માટે વધુ અસરકારક પગલાંઓ લેવા રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. pic.twitter.com/jPKJXrSM1g
છેલ્લાં 15 વર્ષમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં 88 ટકાનો વધારો થયો છે. 2005માં સિંહોની સંખ્યા 359 હતી જે હવે 2020માં 674 થઇ ગઇ છે...આ સાથે સિંહોના વિસ્તારમાં પણ સતત વધારો થયો છે. 2015માં સિંહોનો વિસ્તાર 22 હજાર ચો.કિમી. હતો જે હવે 2020માં 30 હજાર ચો.કિમી. થયો છે. ગીર વિસ્તારમાં દર 100 ચો.કિમી.એ 13થી 14 સિંહ વસે છે.
ગીર અને આસપાસના વિસ્તારમાં આઝાદી અગાઉના સમયમાં સિંહોનો શિકાર થતો હતો. 1913માં એક અંદાજ મુજબ એશિયાટિક સિંહોની સંખ્યા ઘટીને માત્ર 20 જ રહી ગઇ હતી. બાદમાં એશિયાટિક સિંહોને બચાવવાનું અભિયાન શરૂ થયું હતું જેને કારણે એશિયાટિક સિંહો ગીરમાં વસવાટ કરી રહ્યા છે. રાજ્ય સરકારે પણ સિંહોના સંરક્ષણ માટે ઘણા કાર્યો કર્યા છે.જેને કારણે ગુજરાતની શાન એવા સિંહનું સંરક્ષણ શક્ય બન્યું છે.
CM ભૂપેન્દ્ર પટેલે વીડિયો કોન્ફરન્સથી કાર્યક્રમમાં જોડાયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીડિયો કોન્ફરન્સથી આ ઉજવણીમા સહભાગી થતાં જણાવ્યું કે રાજ્ય સરકારે સિંહ સંરક્ષણને પ્રાથમિકતા આપી જુદી જુદી યોજનાઓ અને પ્રોજેકટસ દ્વારા લાયન કન્ઝરવેશન-પ્રોટકશનના અસરકારક પગલાંઓ લીધા છે.
એશિયાઇ સિંહના વસવાટવાળા વિસ્તારોમાં જરૂરીયાત પ્રમાણેના રેસ્કયુ સેન્ટરોની સ્થાપના કરવામાં આવી છે. એટલું જ નહીં આ રેસ્કયુ સેન્ટરોમાં પશુ ચિકિત્સક, સારવાર માટેના અદ્યતન સાધનો, રેસ્કયુ કામગીરી માટેની સાધન સામગ્રી, વાહનો ની સુવિધા કરવામાં આવી છે. સિંહોની સ્થળપર ત્વરીત સારવાર કરી શકાય તે માટે અદ્યતન સાધનો સાથે ની લાયન એમ્બ્યુલન્સની સુવિધા કરવામાં આવી છે. સિંહો માટે સાસણ ખાતે અદ્યતન લાયન હોસ્પીટલની સ્થાપના કરવામાં આવેલી છે.
આ ઉપરાંત વન વિભાગે અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ ગીર હાઇટેક મોનીટરીંગ યુનિટની સ્થાપના કરી છે તેના દ્વારા સિંહોનું સતત નિરિક્ષણ કરવામાં આવે છે. સિંહોના આનુવાંશિક ગુણો જાળવી રાખી સિંહ પ્રજાતિના સંવર્ધન માટે સૌરાષ્ટ્રમાં રામપરા, જૂનાગઢના સક્કર બાગ, સાત વીરડા એમ ત્રણ સ્થળોએ જિન પૂલ શરૂ કરવામાં આવ્યા છે તેની વિગતો મુખ્યમંત્રીએ આપી હતી. મેઇક ઇન ઇન્ડીયાના લોગોમાં સિંહની પ્રતિકૃતિનો કર્યો ઉલ્લેખ
આપણા દેશના એમ્બલમ એટલે કે રાજચિન્હમાં પણ સિંહોની કૃતિઓ રાખવામાં આવી છે. તેમાં ચાર સિંહો એકબીજા તરફ પીઠ કરીને ઉભા હોવાની પ્રતિકૃતિ રાખવામાં આવી છે. પ્રધાનમંત્રીના ફલેગશીપ પ્રોજેકટ મેઇક ઇન ઇન્ડીયા અભિયાનના લોગો તરીકે પણ તેમણે ગીરના લાયન સાવજની પ્રતિકૃતિ મૂકી છે. આવનારા દિવસોમાં રાજ્યમાં ૩૬મી નેશનલ ગેમ્સનું આયોજન થનાર છે, તેનો મેસ્કોટ પણ સિંહ છે તેનો તેમણે ગૌરવ સહ ઉલ્લેખ કર્યો હતો.
ગીરના બાળકોની કરી પ્રસંશા
સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં લોકોનો ખુબ મોટો ફાળો રહેલો છે એમ જણાવતા મુખ્યમંત્રીએ ગીરના સાવજ અને વન્યપ્રાણીઓ પ્રત્યે ખાસ કરીને આવનારી પેઢી સમા બાળકોમાં જે જાગૃતિ અને લગાવ જોવા મળ્યો છે તેની પ્રશંસા કરી હતી. આ વર્ષે પણ વર્લ્ડ લાયન ડે ની ઉજવણીમાં બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સૌરાષ્ટ્રના 6 જિલ્લાના 6800 જેટલી શાળા કોલેજીસના તેમજ અન્ય વન પ્રેમીઓ,અગ્રણીઓ,વન્યપ્રાણી જીવ પ્રેમીઓ મળીને અંદાજે 15 લાખ લોકો જોડાયા છે. આ આપણો વન્ય જીવો પ્રત્યેનો આદર દર્શાવે છે તેમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું