બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / જેનો શિષ્ય મહારાષ્ટ્રનો CM બન્યો, થાણેના ‘બાલ ઠાકરે’ આનંદ દિઘે, તલવારોથી શિવસૈનિકને રહેંસી નખાયો, શું કામ થઇ આ હત્યા?, આ હત્યાકાંડમાં શું હતી દિઘેની ભૂમિકા?

મહારાષ્ટ્ર ચૂંટણી / જેનો શિષ્ય મહારાષ્ટ્રનો CM બન્યો, થાણેના ‘બાલ ઠાકરે’ તરીકે ઓળખાતા આનંદ દિઘે, તલવારોથી શિવસૈનિકને રહેંસી નખાયો, શું કામ થઇ આ હત્યા?, આ હત્યાકાંડમાં શું હતી દિઘેની ભૂમિકા?

Published By: Vikram Mehta

Last Updated: 07:51 PM, 18 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એકનાથ શિંદેએ જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે તેમણે બાલ ઠાકરે ઉપરાંત એક ખાસ વ્યકિતને ખાસ યાદ કર્યા હતા. એ વ્યક્તિ એકનાથ શિંદેના રાજકીય ગુરુ હતા. એ હતા આનંદ દિઘે ‘ધર્મવીર’. અપાર લોકપ્રિયતાને કારણે આનંદ દિઘે થાણે જિલ્લાના ‘બાલ ઠાકરે’ કહેવાતા હતા. થાણે જિલ્લામાં એમનો પડ્યો બોલ ઝીલાતો પણ એકવાર જ્યારે એક શિવસૈનિકે એમની પીઠ પાછળ ખંજર ભોંક્યુ ત્યારે એને ગદ્દારીની શું સજા મળી? મહારાષ્ટ્રના રાજકારણમાં આ ગદ્દારીની સજા અતિચર્ચિત છે!

કોણ હતા આનંદ દિઘે?
આનંદ દિઘેનો જન્મ તારીખ 27 જાન્યુઆરી, 1952ના રોજ થયો. એમનું ઘર થાણેના ટેમ્ભી નાકા વિસ્તારમાં હતું. આનંદ દિઘે બાલાસાહેબ ઠાકરેથી પ્રભાવિત થઇને શિવસેનામાં જોડાયા હતા. બાલાસાહેબને ગુરુ સમાન માનતા આનંદ દિઘે શિવસેનાના કામમાં એટલા ડૂબી ગયા કે લગ્ન પણ નહોતા કર્યા. થાણે જેવા મોટા જિલ્લામાં શિવસેનાને આનંદ દિઘેના રૂપમાં એક પૂર્ણ સમયનો કાર્યકર મળ્યો હતો. દિઘેની રાતદિવસની મહેનત જોઈને બાલ ઠાકરેએ થાણે જિલ્લા અધ્યક્ષની જવાબદારી તેમના ખભા પર નાખી હતી.

થાણેના બેતાજ બાદશાહ, દરબાર ભરાતો, લોકોની ભીડ ઉમટી પડતી
આનંદ દિઘે લાચાર અને નિરાધારના બેલી કહેવાતા હતા. થાણે શહેરના મધ્યભાગમાં આવેલા ટેમ્ભી નાકા ખાતે દિઘેના આનંદ આશ્રમમાં કોર્ટ ભરાતી જેમાં ફેંસલા ઓન ધ સ્પોટનો રિવાજ હતો. આ કારણે આનંદ દિઘે પાસે લોકોની ભીડ ઉમટી પડતી હતી. કોઇ પણ નાગરિક એની સમસ્યા લઇને આવતો એને દિઘે ધ્યાનથી સાંભળતા, પ્રશ્નોમાં રહેલું સત્ય ચકાસતા અને તેનું નિરાકરણ લાવતા.

ગરીબોને કનડતી સરકારી બાબુશાહી સામે આનંદ દિઘે જરૂર પડ્યે લાલ આંખ પણ કરતા. જો કોઇ અધિકારી દ્વારા સામાન્ય માણસનું કામ ન થાય એટલે પછી આનંદ દિઘે પોતાનો 'પરચો' બતાવતા. આનંદ દિઘેના તાપથી સૌ કોઇ ફફડતા. થાણેના સ્થાનિકોમાં એમની લોકપ્રિયતા આસમાનને આંબે એવી હતી અને દિઘે થાણેના બેતાજ બાદશાહ બની ગયા હતા. કાયદેસરની રોબિનહૂડ ઇમેજ હતી એમની!

WhatsApp Image 2024-11-18 at 3.03.22 PM (1)

થાણે જિલ્લાના બાલ ઠાકરે કહેવાતા આનંદ દિઘેને ધર્મવીર તરીકે ઓળખવામાં આવે છે

કટ્ટર હિન્દુત્વના હિમાયતી, ધાર્મિક ઉત્સવોના ભવ્ય આયોજનો કર્યા
આનંદ દિઘે થાણેના ટેમ્ભીનાકા ખાતે ભવ્ય નવરાત્રી ઉત્સવનું આયોજન કરતા. જેમાં નવ દિવસ સુધી લાખો ભક્તો દર્શનાર્થે આવતા. આનંદ દિઘે એક કટ્ટર હિન્દુ હતા. એમણે દાવો કર્યો કે કલ્યાણ પાસે આવેલ હાજીમલાંગ કિલ્લો મુસ્લિમોનો નહીં પણ હિન્દુઓનો છે. આનંદ દિઘેએ એ કિલ્લાનું નામ બદલીને મલંગગઢ રાખી દીધું અને ઉત્સવનું આયોજન કર્યું. આ ઉત્સવને પણ પ્રચંડ પ્રતિસાદ મળ્યો. આવી જ રીતે દહી હાંડી ઉત્સવને રાજ્યમાં સૌ પ્રથમ થાણેના ટેમ્ભીનાકા ખાતે આનંદ દિઘે દ્વારા ભવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

શિવસેના વતી, તેમણે થાણે જિલ્લા સ્તરે ભવ્ય ગણેશ દર્શન સ્પર્ધા શરૂ કરી. આ સ્પર્ધાનો ઇનામ વિતરણ સમારંભ પણ એટલો જ ભવ્ય હતો. તે સ્પર્ધાને પણ જોરદાર પ્રતિસાદ મળ્યો. છત્રપતિ શિવાજી મહારાજ પર આધારિત બાબાસાહેબ પુરંદરેનું નાટક 'જાણતા રાજા' જેવા નાટકો પણ આનંદ દિઘેએ યોજીને સ્થાનિક હિન્દુ પ્રજાની ચેતનાને  ઢંઢોળવાના પ્રયાસો કર્યા. આ તમામ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની સાથે તેમણે ગરીબ વિદ્યાર્થીઓને મફત પાઠ્યપુસ્તકોનું વિતરણ, સમગ્ર વર્ષ દરમિયાન રમતગમતના સાધનોનું મફત વિતરણ જેવા સામાજિક કાર્યક્રમો પણ અમલમાં મુક્યા હતા.

WhatsApp Image 2024-11-18 at 3.03.20 PM

ભ્રષ્ટ ન્યાયાધીશને પાઠ ભણાવવા દિઘેએ શું કર્યું?
થાણે કોર્ટમાં કેટલાક ન્યાયાધીશોના ભ્રષ્ટાચારથી લોકો તંગ આવી ગયેલા. ઘણા વકીલો પણ ન્યાયધીશોથી અંદરખાને નારાજ હતા. મામલો ગયો આનંદ દિઘે પાસે. દિઘેએ કોર્ટની બહાર એક મોટુ બોર્ડ લગાડી દીધું. જેના પર લખ્યું હતું: અહીં ન્યાય ખરીદાય છે. અને આ વાક્યની નીચે કેટલા પૈસા ખૂન કરીને ભાગી જવાના, કેટલા પૈસા લૂંટ કરીને ભાગી જવાના, કેટલા પૈસા દુષ્કર્મ કરીને ભાગી જવાના...એ બધું લખેલું હતું! એ દિવસે ભ્રષ્ટ ન્યાયધીશોની આબરૂના જાહેરમાં ધજાગરા ઉડી ગયા. ભ્રષ્ટાચારમાં ગરકાવ ન્યાયાધીશોને પાઠ ભણાવવાની દિઘેની આ સ્ટાઇલ લોકોને ખૂબ પસંદ પડી.

થાણેમાં જ્યારે ખાંડની અછત સર્જાઇ
થાણે જિલ્લામાં માતોશ્રી-સેના ભવનથી જાહેર કરાયેલા શિવસેનાના આંદોલનોને લાગુ કરવામાં દિઘેની મોખરાની ભૂમિકા રહેતી હતી. આનંદ દિઘે તે સમયે થાણે જિલ્લાના શિવસેના જિલ્લા પ્રમુખ હતા. એકવાર, જ્યારે થાણેમાં ખાંડની ભારે અછત હતી, ત્યારે દિઘેએ એક શિવસૈનિકને કારખાનામાં જઈને ખાંડ લાવવાની જવાબદારી સોંપી. અત્યંત જોખમી પરિસ્થિતિમાં એ શિવસૈનિક ખાંડ ભરેલો ટ્રક થાણે લઇ આવ્યા. એ શિવસૈનિક પછી તો આનંદ દિઘેના અત્યંત વિશ્વાસુ બન્યા અને રાજકીય ક્ષેત્રે એવું કાઠું કાઢ્યું કે એ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ બન્યા. અફકોર્સ, એ શિવસૈનિક એટલે એકનાથ શિંદે!

Untitled

આનંદ દિઘે પરથી મરાઠીમાં 'ધર્મવીર' નામની ફિલ્મ પણ બની છે

જ્યારે ભાજપે દિઘેની તાકાત સામે ઝુકવુ પડ્યું!
આનંદ દિઘેની જિલ્લાના સંગઠન પર મજબૂત પકડ હતી. કેટલાક તેમને ધર્મવીર કહેતા તો કેટલાક કહેતા ધર્માત્મા. એવું નહોતું કે આનંદ દિઘેના વિરોધીઓ ન હતા પણ આનંદ દિઘે સામે કોઇની ચું કે ચા કરવાની હિંમત નહોતી.

થાણે શહેર અને જિલ્લાના રાજકારણ પર પકડ સ્થાપ્યા પછી, આનંદ દિઘેએ શિવસેના વતી થાણે લોકસભા મતવિસ્તારમાં દાવો કર્યો હતો, જે ભાજપનો પરંપરાગત ગઢ હતો. સ્વભાવિક છે કે ભાજપે વાંધો ઉઠાવ્યો. ભાજપે મક્કમ વલણ અપનાવ્યું કે રામભાઉ મ્હાલગી અને રામ કાપસે જેવા દિગ્ગજોનો આ મતવિસ્તાર શિવસેના માંગી રહી છે જે અમે ક્યારેય સ્વીકારીશું નહીં પરંતુ અંતે ભાજપને દિઘેની તાકાત સામે ઝુકવું પડ્યું.

થાણે લોકસભા મતવિસ્તાર શિવસેના પાસે ગયો. એ પછી, દિઘેએ બીજું સાહસિક પગલું ભર્યું. પ્રકાશ પરાંજપે કે જેઓ એ સમયે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં માત્ર કોર્પોરેટર હતા, એમને સીધા થાણે લોકસભા માટે નામાંકિત કર્યા. ભાજપ નારાજ હતો. જો આવી સ્થિતિમાં હાર થઈ હોત તો દિઘે બેકફૂટ પર આવી ગયા હોત. પરંતુ દિઘેની તમામ ગણતરીઓ સાચી પડી અને પ્રકાશ પરાંજપે જંગી બહુમતી સાથે થાણેથી શિવસેનાના સાંસદ તરીકે ચૂંટાયા. આનંદ દિઘેને કેટલાક થાણેના બાલ ઠાકરે કહેવા માંડ્યા. આનંદ દિઘેના નામ સાથે શ્રીધર ખોપકર હત્યા કેસ પણ જોડાયેલો છે.

વધુ વાંચો:કોમ્યુનિસ્ટ નેતાની હત્યા, બાલ ઠાકરે પર આરોપ, પણ પહેલીવાર શિવસેનાના ધારાસભ્ય ચૂંટાયા, જાણો લોહિયાળ ઘટનાક્રમ

શ્રીધર ખોપકર હત્યા કેસ શું હતો?
તારીખ 20 માર્ચ, 1989ના રોજ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર અને ડેપ્યુટી મેયરના પદ માટે ચૂંટણી યોજાઈ હતી. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિવસેના અને કોંગ્રેસ બે પક્ષો અગ્રણી હતા. કોંગ્રેસે આગરી સેના સાથે હાથ મિલાવ્યા હતા ત્યારે શિવસેનાની જવાબદારી થાણે જિલ્લા પ્રમુખ આનંદ દિઘે અને થાણેના ભૂતપૂર્વ મેયર સતીશ પ્રધાનને સોંપવામાં આવી હતી. જ્યારે લીલાધર ડાકેને મુંબઈથી ખાસ પરામર્શ માટે મોકલવામાં આવ્યા હતા.

શિવસેનાને પાક્કા પાયે વિશ્વાસ હતો કે તેની પાસે બહુમતી હોવાથી વિજયનો તાજ એના શિરે મુકાશે. જોકે શિવસેનાની ગણતરી સાવ ઉંધી પડી. શિવસેનાના પ્રકાશ પરાંજપે માત્ર એક મતથી મેયરની ચૂંટણી હારી ગયા અને કોંગ્રેસના મનોહર સાલ્વી ફરીથી મેયર બન્યા. બીજી તરફ, ડેપ્યુટી મેયર પદની ચૂંટણીમાં પણ શિવસેનાના બે મત વિભાજિત થયા અને શિવસેનાને ત્યાં પણ વિજયને બદલે હાર મળી.

'શિવસેનાના ઇતિહાસમાં આવી અધમતા જોઇ નથી'
શિવસેના માટે આ ધાર્યા કરતા સાવ વિપરીત પરિણામ હતું. શિવસેનાના જ કોઇએ વિપક્ષ તરફી મત આપીને ગદ્દારી કરી હતી. થાણેમાં તંગ માહોલ સર્જાયો. થાણેમાં રોષે ભરાયેલા શિવસેનાના તમામ કોર્પોરેટરોએ પ્રમુખ બાલાસાહેબ ઠાકરેને રાજીનામા ધરી દીધા. આ અણધારી હારથી ઠાકરે પણ નારાજ હતા. ઠાકરેએ કહ્યું,‘શિવસેનાના ઈતિહાસમાં આવી અધમતા ક્યારેય જોઈ નથી. જેમણે આ ગુનો કર્યો છે. ભગવાન એમને માફ નહીં કરે’

ગદ્દારને માફી નહીં!
આ હારથી શિવસેના અને ખાસ તો આનંદ દિઘેને નીચાજોણુ થયું હતું. વિપક્ષો અને વિરોધીઓ આનંદ દિઘેની પાછલા બારણે ખિલ્લી ઉડાવતા થઇ ગયા હતા. આ હારથી સમસમી ગયેલા આનંદ દિઘે પર ગદ્દારને એના કર્મની સજા આપવાનું ભૂત સવાર હતું. શિવસેના સુપ્રિમો બાલ ઠાકરે પણ કોઇ પણ ભોગે ગદ્દારને માફી નહીં આપવાના મૂડમાં હતા. આખરે એ ગદ્દારને પાઠ ભણાવવાનો દિવસ નક્કી થયો!

તારીખ 21 એપ્રિલ, 1989
શિવસેનાના કોર્પોરેટર શ્રીધર ખોપકર કે જેઓ કોઇ કામ માટે મુંબઇના ઘાટકોપર ગયા હતા તેઓ સાંજે થાણે પાછા ફર્યા. શ્રીધર ખોપકર થાણેના લુઇસ વાડી વિસ્તારમાં રહેતા હતા. જેવા ખોપકર લુઇસ વાડી આવ્યા એટલે એક દરજીની દુકાન પાસે એમના પર તલવારથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં શ્રીધર ખોપકરનું મોત થયું.

શ્રીધર ખોપકર પર અગાઉ પણ હુમલો થયો હતો. મેયરની ચૂંટણી પૂરી થયા બાદ શ્રીધર ખોપકરને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. શિવસૈનિકોની નજરે શ્રીધર ખોપકર ગદ્દાર હતા. થાણે શિવસેના મેયરની ચૂંટણીમાં એમના પર વિપક્ષને મત આપવાનો આરોપ મુકતી હતી.

આનંદ દિઘે સામે ટાડા હેઠળ ગુનો દાખલ, 52 શિવસૈનિકોની ધરપકડ
શ્રીધર ખોપકરની હત્યાની શંકાની સોઇ સ્વભાવિક રીતે જ દિઘે તરફ હતી. કારણ કે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી બાદ અખબારમાં તેમણે 'ગદ્દારોને માફી નહીં મળે’ નિવેદનો કર્યા હતા. હત્યાની ઘટના બાદ આનંદ દિઘે વિરુદ્ધ 'ટાડા'ની કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો. આ કેસમાં પોલીસે આનંદ દિઘે સહિત 52 શિવસૈનિકોની ધરપકડ કરી.

આનંદ દિઘેની ધરપકડના વિરોધમાં 'થાણે બંધ'નું આયોજન કરવામાં આવ્યું. થાણેમાં મહિલાઓ અને બાળકોએ બેનરો લઇને વિશાળ રેલી યોજી. થાણે બંધને  અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. બાદમાં કોર્ટે દિઘેને જામીન આપીને છોડી મુક્યા. આનંદ દિઘેના મૃત્યુ સુધી આ કેસ કોર્ટમાં ચાલતો રહ્યો. આ કેસથી દિઘે થાણેમાં વધુ પ્રભાવશાળી બનીને ઉભર્યા.

WhatsApp Image 2024-11-18 at 3.03.20 PM (1)

ગુરુ-શિષ્ય: આનંદ દિઘે અને એકનાથ શિંદે

આનંદ દિઘેને બાલ ઠાકરેએ ઠપકો આપ્યો
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના તત્કાલીન કમિશનર ચંદ્રશેખરે થાણેના રસ્તાઓ પહોળા કરવાની ઝુંબેશ ઉપાડી હતી. રસ્તા પહોળા કરવાની કામગીરીમાં વચ્ચે આવતા ગરીબોના મકાનો અને દુકાનો તોડી પાડવી જરૂરી હતી. આનંદ દિઘેએ આ પગલાનો વિરોધ કર્યો તો કમિશનર ચંદ્રશેખરે માતોશ્રીમાં રાવ નાખી. બાલાસાહેબે આનંદ દિઘેને ઠપકો આપીને ચંદ્રશેખરને એમનું કામ કરવા દેવાની સલાહ આપી. આ ઘટનાથી આનંદ દિઘે અને બાલ ઠાકરે વચ્ચે ખટરાગ સર્જાયો હોવાની વાતો પણ સામે આવી હતી.

WhatsApp Image 2024-11-18 at 3.03.22 PM

આનંદ દિઘે અને બાલ ઠાકરે

ગણેશોત્સવ દરમિયાન અકસ્માત નડ્યો
વર્ષ  2001માં ગણેશોત્સવ દરમિયાન આનંદ દિઘેને એક કાર અકસ્માત નડ્યો. માથામાં ગંભીર ઇજા થવાથી દિઘેને સિંઘાનીયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા. સિંઘાનિયા હોસ્પિટલમાં દિઘેને જોવા લોકો ઉમટી પડ્યા. દિઘેનો પલંગ એવી રીતે મૂકવામાં આવ્યો હતો કે લોકો તેમને કાચના દરવાજામાંથી જોઈ શકે. દિઘેના ચાહકો અને સમર્થકો પોતાના પ્રિય સાહેબ ઝડપથી સાજા થઇ જાય એ માટે પ્રાર્થના કરી રહ્યા હતા.

શિવસેના સહિત તમામ પક્ષોના નેતાઓ પણ દિઘેની તબિયત અંગે પૂછવા હોસ્પિટલમાં આવી રહ્યા હતા. જેમાં એક રાજ ઠાકરે પણ હતા. તેમની અને દિઘે વચ્ચે ખૂબ સારી મિત્રતા હતી. રાજ ઠાકરે દિઘેના ખબરઅંતર પુછ્યા બાદ હોસ્પિટલમાંથી બહાર નીકળીને થોડે દૂર ગયા હશે અને દિઘેની તબિયત અચાનક બગડી ગઈ.

શિવસૈનિકોએ હોસ્પિટલ સળગાવી નાખી!
ડોક્ટરના કહેવા પ્રમાણે થોડીવારમાં જ તેમને બે હાર્ટ એટેક આવ્યા અને દિઘેનું મૃત્યુ થયું. ક્યાંકથી એવી વાત ઉડી કે દિઘેનું મૃત્યુ ડૉકટરની બેદરકારીથી થયું છે. આ સમાચાર મળતાં જ દિઘેના સમર્થકો અને હજારો શિવસૈનિકો હોસ્પિટલમાં ઘૂસી ગયા. ગુસ્સે ભરાયેલા અંદાજે 1500 જેટલા શિવસૈનિકોએ હોસ્પિટલમાં તોડફોડ શરૂ કરી અને આગચંપી કરી, કોઈક રીતે વહીવટીતંત્ર હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બહાર કાઢવામાં સફળ થયું પણ શિવસૈનિકોના ગુસ્સાનો ભોગ બનેલી હોસ્પિટલ ભડભડ સળગી ઉઠી.

WhatsApp Image 2024-11-18 at 3.03.21 PM (2)

આનંદ દિઘે આજે પણ થાણેમાં એક આદરણીય નામ છે!

આનંદ દિઘેના મોત પાછળ બાલ ઠાકરે જવાબદાર હતા?
આનંદ દિઘેએ અનંતની વાટ પકડી. થાણે શોકમાં ગરકાવ થઇ ગયું. આનંદ દિઘેના મૃત્યુ અંગે આજે પણ સવાલો ઉઠે છે. નારાયણ રાણેના દીકરા નિલેશ રાણેએ તો આનંદ દિઘેના મોત પાછળ બાલ ઠાકરે જવાબદાર હોવાનો ખુલ્લેઆમ આરોપ મુકયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bal Thackeray Anand Dighe Maharashtra Election 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ