PMC બેંક ગોટાળો હાલ દેશમાં બહુ ચર્ચિત છે. અલગ અલગ બેંકોનું બંધ થઇ જવું, લોકોની મહેનતના રૂપિયામાંથી આડેધડ લોન આપી દેવી, બાદમાં કૌંભાડ છુપાવાની કોશિશો કરવી અને અંતે નાદારી જાહેર કરી દેવી એ દેશની પ્રજાને હવે કોઠે પડતું જાય છે. તો એ સમજવું ખુબ જરૂરી છે કે કેમ ઉદ્યોગો અને બેન્કિંગ ક્ષેત્રએ છેટા રહીને કામ કરવું જોઈએ અને બંને એક બીજામાં દખલગીરી કરે તો એ કેટલી મોટી તારાજી સર્જી શકે છે.
૧૯૯૦માં જયારે ખાનગી બેંકોની શરૂઆત થઈ ત્યારે કેટલાક અર્થશાસ્ત્રીઓએ વિચાર્યું કે મોટા ઉદ્યોગપતિઓ ખાનગી બેંકો ખોલવા માટે યોગ્ય ઉમેદારો છે. પરંતુ ઉદ્યોગપતિઓને ધંધા માટે રૂપિયાની જરૂર પડે છે. જેને રૂપિયાની જરૂર પડતી હોય તેમણે નાણાં ધીરતી સંસ્થા શરુ ન કરવી જોઈએ. આ સામસામા હિતોનો ટકરાવ ઉભો કરે છે. આ ટકરાવમાં બેંકની સ્વાયત્તા અને તેના ભવિષ્ય સામે જોખમ ઉભું થાય છે. હમણાં પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો ઓપરેટીવ બેંક વળેલો રકાસ આની સાબિતી છે.
આ બેંકે લોનના નિયમોની ઐસી તૈસી કરીને વધાવન પરિવારની કંપની HDIL(Housing Development and infrastructure Ltd)ને ૬૫૦૦ કરોડ એટલે કે કુલ લોન્સના આશરે ૭૦% જેટલી રકમ એક જ કંપનીને પધરાવી દીધી. HDIL કંપનીએ દેવાળું ફૂકયું તે સાથે જ બેંક પણ ઉઠી ગઈ.
PMC બેંક વધાવન પરિવાર દ્વારા જ સંચાલિત થઇ હતી. વર્ષ ૨૦૦૦-૨૦૦૧માં એક આવા જ કેસમાં સ્ટોક બ્રોકર કેતન પારેખે માધવપુરા મર્કેન્ટાઇલ બેંકનો કબજો લીધો અને તેના નાણાં વડે તેણે મોટા પ્રમાણમાં શેરબજારમાં ખરીદારીને વેગ આપ્યો. ખરીદી વધવાથી શેર બજારમાં ભડકો થયો પણ જયારે આ ફુગ્ગો ફૂટ્યો ત્યારે બેંક સહીત શેર બજારમાં કડાકા સાથે અનેક લોકોએ તેમની સંપત્તિ ગુમાવી.
આ સમસ્યા શહેરી સહકારી બેંકોમાં વધુ જોવા મળી છે જે ગેર રીતિ આચરાતી હોય એ જલ્દી પકડાતી નથી. જો કે મોટી પબ્લિક સેક્ટરની બેંકો પણ આની ચપેટ આવી છે. આનું સૌથી મોટું ઉદાહરણ નીરવ મોદી અને પંજાબ નેશનલ બેંકનું છે.
આવા તમામ ગોટાળાઓ માટે RBIને જવાબદાર ઠેરવવામાં આવે છે. જો કે આવી લોન મંજુર કરાવવા માટે આવતી સંસ્થાઓ બેંકો ઉપર મોટા પ્રમાણમાં રાજકીય દબાણ ઉભું કરે છે. આ કેટલીક સંસ્થાઓ રાજકીય કારણો સર લોન છે જયારે કેટલીક સંસ્થાઓમાં ફક્ત ઠગાઈ કરવા લોન લે છે.
RBI આ માટે ચોક્કસ જવાબદાર ગણી શકાય પરંતુ RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનના જણાવ્યા અનુસાર RBIની બીજી બેંકો ઉપર ચોકીદારી કરવાની એક મર્યાદા આવી જાય છે અને બેંકોના બોર્ડના સભ્યોમાં RBIના અધિકારીઓને સ્થાન આપી દેવાથી લોન આપવાની પદ્ધતિ સુધરી જ જશે તેવી કોઈ ખાતરી આપી શકાતી નથી. RBIના પગલા ચોક્કસ મદદરૂપ થાય છે પણ બેંકોની લોન આપવાની પદ્ધતિને પાયાથી સુધારવાની જરૂર છે.
મોટી ખાનગી બેંકો હજુ સારી હાલતમાં છે પણ તેમના માથે પણ સતત જોખમ તોળાય છે. હમણાં જ YES બેંકની બગડેલી પરિસ્થિતિએ તેના શેરના ભાવ ૯૦% ઘટાડી દીધા. પોતાના પતિની વિડીયોકોન કંપની સાથેની લિંક અને શંકાસ્પદ લોન મંજુરી માટે ICICI બેંકના ચંદા કોચરે રાજીનામું આપી દેવું પડ્યું.
સમગ્ર બેન્કિંગ ક્ષેત્ર મુખ્યત્વે બે કારણો સર લોનની મંજુરી બાબતે ડચકા ખાય છે.
બેંકના અધિકારીઓ આવેલી બીઝનેસ પ્રપોઝલનું ભવિષ્ય ભાખવામાં નિષ્ફળ જાય છે અને ખોટા ઉદ્યોગને લોન આપી દે છે..
લોન મંજુરીની પ્રક્રિયાએ મોટા પ્રમાણમાં રાજકીય રંગ પકડ્યો છે જે કોઈ મનગમતા વ્યક્તિ અથવા સંસ્થાને લોન આપવા માટે દબાણ ઉભું કરે છે.
PMCના પૂર્વ ચેરમેન વર્યામ સિંઘ પાસે વિવાદાસ્પદ કંપની HDILના ૧.૯% શેર હસ્તગત હતા. તે ૨૦૧૫ થી ૨૦૧૭ સુધી HDIL ના નોન એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર હતા. આ જ સમયગાળામાં બેંકે HDILની મસમોટી લોન મંજુર કરી હતી. આ સમગ્ર ગોટાળો છુપાવા માટે ઓછામાં ઓછા ૨૧૦૪૯ નકલી એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. આ એક સુવ્યવસ્થિત ઠગાઈ છે.
જો કે ભારતમાં આ બિલકુલ નવી ઘટના નથી. ભારતમાં કેટલાય વ્યક્તિઓ અને સંસ્થાઓએ પોતાના અંગત ઉપયોગ માટે બેંકોને અથવા અન્ય નાણા ધીરતી સંસ્થાઓને નીચોવી છે અને જયારે કંપની ડૂબે અને બેંક ફડચામાં જાય ત્યારે બેંકમાં નાણાં મુકેલા નાના મોટા થાપણદારો રસ્તા ઉપર આવી જાય છે. આ પ્રકારના ઠગોને કડક જેલની સજા ન થાય અને તેમને ઉદાહરણ બેસાડવામાં ન આવે ત્યાં સુધી આ ગેરરીતી અટકશે નહિ.
દુનિયામાં જાપાન, જર્મની જેવા દેશોમાં ઉદ્યોગો અને બેંકો વચ્ચે ઘેરા આંતરસંબંધો હોય છે. પરંતુ ત્યાં ભ્રષ્ટાચાર રહિત અને પારદર્શક તંત્ર અને શાસન હોવાને કારણે ઉદ્યોગો અને બેંકો એકબીજાના પુરક રહીને કામ કરી શકે છે. ભારતની પરિસ્થિતિ જુદી છે.
ભારતમાં ૧૯૯૦માં એસ્સાર, Zee, Jaypee, Ranbaxy, જેટ એર વેઝ, વિડિયોકોન વગેરે કંપનીઓનો ડંકો વાગતો હતો. ૨૦૦૮માં ફોર્બ્સની યાદીમાં અનીલ અંબાણી વિશ્વના છઠ્ઠા સૌથી ધનવાન વ્યક્તિ તરીકે સન્માનિત થયા હતા. અત્યારે અનીલ અંબાણીની Reliance ADA Group સહિતની તમામ ઉલ્લેખ કરેલ કંપનીઓએ ખરાબ પછડાટ ખાધી છે. આ સમયે આપણે એ તમામ નિષ્ણાતોનો આભાર માનવો જોઈએ જેમણે જે તે સમયે આ કંપનીઓને પોતાની બેંક ખોલવાની બાબતનો વિરોધ કર્યો હતો. જો કંપનીઓની બેંકો હોત તો તે બેંકો પણ સાથે સાથે ડૂબી ગઈ હોત અને ઘણા થાપણદારો અને રોકાણકારો પોતાના નાણાં ગુમાવત.