ગુજરાત ચુંટણીમાં AAP પાર્ટી બમણી તાકાતથી લડત આપી રહી છે. ત્યારે આપ કયા પક્ષનું ગણિત બગાડશે? તે પરિણામ બાદ જ સ્પષ્ટ થશે.
AAP ની એન્ટ્રીથી ગુજરાત ચુંટણીમાં બમણો રોમાંચ છવાયો
કયા પક્ષનું ગણિત બગાડશે AAP
સંગઠન માળખું નબળું એ AAPની મોટી નબળાઈ
આમ આદમી પાર્ટીની એન્ટ્રીને લઇને આ વખતે ગુજરાત ચુંટણીમાં બમણો રોમાંચ છવાયો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જમિની પ્રચારને લઇને આપ ગુજરાતમાં ત્રીજા વિકલ્પ તરીકે ઊભરી આવી છે. તેવામાં આમ આદમી પાર્ટીના આવાથી કયા પક્ષને ફાયદો અને કયા પક્ષને નુકસાન થશે. તેમજ દિલ્હી મોડલને લઇને અરવિંદ કેજરીવાલ ગુજરાતમા કેટલુ કાઠું કાઢી શકે તે જોવું રહ્યું !
શિક્ષણ, આરોગ્ય, અને મફત વિજળીના દાવા કર્યા
દિલ્હી મોડલને લઇને આમ આદમી પાર્ટીએ પંજાબ અને દિલ્હીમા પ્રચંડ સમર્થનથી સરકાર બનાવી લીધી છે. ત્યારે હવે ગુજરાતમા પણ આમ આદમી પાર્ટી દ્વારા મધ્યમવર્ગને લોભાવતા મુદા શિક્ષણ, આરોગ્ય, અને મફત વિજળીને લઇને ગેરંટી, મંદી-મોંઘવારીના વિરોધને લઇને સરકારને ઘેરવાના પ્રયાસો કરવામા આવી રહ્યા છે. આ ઉપરાંત મહિલાઓને દર મહીને 1000 રૂપીયા આપવા સહીતની જાહેરાતને લઇ આમ આદમીની લોકપ્રીયતા વધી રહી છે. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીની સૌથી મોટી તાકાત જો કોઈ હોય તો તે છે અરવિંદ કેજરીવાલનો ચહેરો જે સૌથી મોટી તાકાત છે.
ચુંટણીમા આપ માટે અરવિંદ કેજરીવાલનો ચહેરો તાકાતવાર
ભાજપમા નરેન્દ્ર મોદીનો ચહેરો તાકાતવાર છે તેમ આમ આદમી પાર્ટીમા અરવિંદ કેજરીવાલનો ચહેરો તાકાતવાર છે. આ પક્ષમાં પણ ઉમેદવાર કરતા અરવિંદ કેજરીવાલ મહત્વના સાબિત થઇ રહ્યા છે. જેને લઇને જ આમ આદમી પાર્ટી ભાજપ સામે ટક્કર આપી રહી છે. વધુમા ગુજરાત માટે આપ નવો પક્ષ હોવાથી તે મુદાની રાજનીતિ કરતા હોવાના વિકલ્પ તરીકે ઊભરી આવી છે.
ગુજરાતમાં AAP પાર્ટી કયા પક્ષનું ગણિત બગાડશે
રાજકિય પંડિતો માની રહ્યા છે કે, ગુજરાત ચુંટણીમાં આપની એન્ટ્રીથી નક્કી ત્રીપાંખીયો જંગ ખેલાશે. જેને લઇને આમ આદમી પાર્ટી શહેરોમા ભાજપ અને ગ્રામીણ વિસ્તારમાં કોંગ્રેસના મતમાં મોટા પાયે ગાબડા પાડી રહી છે.
સંગઠન માળખું નબળું હોવુએ આમ આદમી પાર્ટીની સૌથી મોટી નબળાઈ
સ્થાનિક લેવલે આમ આદમી પાર્ટીનું સંગઠન માળખું નબળું હોવુએ આમ આદમી પાર્ટીની સૌથી મોટી નબળાઈ છે. ગુજરાત મોટું રાજ્ય હોવા ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર મોટો ધરાવતું હોવાથી સ્થાનીક લેવલ સુધી પહોંચવું તમામ પક્ષની મોટી કસોટી રહી છે. રાજકિય વિશ્લેષકોના માનવા પ્રમાણે આમ આદમી પાર્ટીની શહેરો વિસ્તારમા મજબૂત પકડ ધરાવે છે જ્યારે ગામડાઑમાં વર્ચસ્વ જામ્યું નથી. બીજી બાજુ આપની પોતાની કોઈ ખાસ વોટ બેન્ક પણ નથી. તો સામે બાજુ આપ પાસે ગુજરાતમાં ખોવા માટે પણ કશું નથી. આવી સ્થિતિમાં ગુજરાત મોડેલ સામે આપ દિલ્હી મોડેલને આગળ ધરીને આપ કોંગ્રેસ કરતાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિપક્ષમાં પણ બેસી શકે તો એ આમ આદમી પાર્ટીની મોટી જીત માનવામાં આવશે.
મોદી ફેક્ટરનો મોટો ખતરો
ગુજરાતનો ગઢ જીતવા માટે આમ આદમી પાર્ટીને મોટો ખતરો મોદી ફેક્ટરનો છે. જેને પગલે જ બે દાયકાથી અન્ય પાર્ટી સત્તામાં આવી નથી. ખાસ કરીને રાજ્યમાં પાર્ટીને બદલે ચહેરાને આગળ ધરીને ચુંટણી લડાઈ રહી છે. આવી સ્થિતિમાં, જો મોદી અને કેજરીવાલની લડાઈમાં ભાજપ જીતશે તો આમ આદમી પાર્ટીને ઘણું નુકસાન થશે. વધુમા આમ આદમી પાર્ટીના દિલ્લી મોડેલની સ્વીકૃતિ પણ સવાલો ઊભા થઇ શકે છે.