કેન્દ્ર સરકારે ખેડૂતોને આધુનિક ટેક્નોલોજીનો વધુને વધુ લાભ મળે તેવા પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે. તેના ભાગ રૂપે ખેડૂતોને મોબાઈલ પર હવામાનની જાણકારી સ્થાનિક ભાષામાં આપવા ખાસ પાઇલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.
તે માટે દેશના 3 જિલ્લા પસંદ કરાયા છે તેમાં ગુજરાતના એક માત્ર રાજકોટ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે છે. વરસાદ, વાવાઝોડું કે પાકને અનુકૂળ હવામાન છે કે નહીં તેવી અનેક મહત્વની માહિતી ખેડૂત કોઈપણ સ્થળે હોય તેને મોબાઈલ પર મળી શકશે.
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયાના જણાવ્યા મુજબ કેન્દ્રએ ખુડૂતોને મોબાઈલ પર હવામાનની જાણકારી આપવા પાઇલોટ પ્રોજેકટ માટે દેશના 3 જિલ્લા પસંદ કર્યા છે. તેમાં ગુજરાતમાંથી રાજકોટ ઉપરાંત મધ્યપ્રદેશમાંથી ભોપાલ અને મહારાષ્ટ્રમાંથી નાંદેડનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં કેન્દ્રના અધિકારીઓ સાથે બેઠક બાદ આ પ્રોજેક્ટ નો પ્રાથમિક અમલ શરુ થઇ ગયો છે. રાજકોટ જિલ્લાના આશરે 2 લાખ ખેડૂતો ને લાભ મળશે. આ પ્રોજેક્ટ માટે જિલ્લામાં ખાસ ટીમની મદદથી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.