વડોદરાના મધ્યમાં સ્ટેશન વિસ્તારના અગ્રવાલ નાસ્તા હાઉસએ તા. 20 અને તા. 21 માર્ચના રોજ બે દિવસ કશ્મીર ફાઈલ્સ ફિલ્મ જોઈને ટિકિટ બતાવનાર વ્યક્તિને નાસ્તો આપવાનું આયોજન
'ઘ કશ્મીર ફાઈલ્સ' જુઓ, જલેબી ઝાપટો
વડોદરાના દુકાનદારનો ફિલ્મ પ્રત્યે પ્રેમાગ્રહ
એક ટ્રસ્ટના સહયોગથી કરાયું આયોજન
દેશના નકશામાં ભારતનું મસ્તિષ્ક ગણાતા કશ્મીરમાં 80-90 નાં દાયકામાં કશ્મીરી પંડિતો પર જે બર્બરતા આચરવામાં આવી હતી, તેના કથાનક પરથી બનેલી ફિલ્મ 'ધ કશ્મીર ફાઈલ્સ'ને દેશના તમામ વિસ્તારોમાંથી બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ખુદ ફિલ્મએ કમાણીનાં આંકડાઓનો વિક્રમ સર્જ્યો છે. કહી શકો કે, આ ફિલ્મથી દેશદાઝની ભાવનાને આંદોલિત કરવાના પ્રયાસ પણ જે રીતે થયા છે તેથી કમાણીનાં માપદંડ પણ બદલાયા છે. આ મામલે રાજનીતિ પણ ખુબ ચાલી છે પરિણામે ફિલ્મના પ્રમોશનને 'જંગલની આગ' જેવી લોકપ્રિયતા મળી છે. જો કે, રાજનીતિક વિવાદને એક બાજુ મુકીએ તો ફિલ્મ -કથાનકના તથ્ય-કથ્ય પર પણ વિવાદ ચાલી રહ્યો છે. જે હોય તે, ફીલ્મ જોનાર દર્શક વર્ગને, લજીજ વ્યંજન ઝાપટવા મળે તેનાથી બીજો રૂડો અવસર શો હોય શકે ? આવું જ કઈક વડોદરામાં થયું છે.
વડોદરાના મધ્યમાં સ્ટેશન વિસ્તારના અગ્રવાલ નાસ્તા હાઉસએ તા. 20 અને તા. 21 માર્ચના રોજ બે દિવસ કશ્મીર ફાઈલ્સ ફિલ્મ જોઈને ટિકિટ બતાવનાર વ્યક્તિને નાસ્તો આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. મિશન રામસેતુ ટ્રસ્ટના પ્રમુખ દિપભાઈ અગ્રવાલે જણાવ્યું હતું કે, કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો ઉપર 90ના દાયકામાં ગુજારવામાં આવેલા અત્યાચાર અંગે લોકો માહિતગાર થાય તેવા હેતુથી આ બનાવવામાં આવેલી ફિલ્મ છે, ત્યારે વધુમાં વધુ લોકો આ ફિલ્મ નિહાળે તે માટે મિશન રામસેતુ ટ્રસ્ટ તેમજ અગ્રવાલ નાસ્તા હાઉસ દ્વારા તા. 20 અને 21 માર્ચ એમ બે દિવસ ફિલ્મ જોઈ ટિકિટ લઈને આવનારને નાસ્તો આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.