ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફોરેસ્ટ વિભાગના વોચમેનને જાહેરમાં ઝાટકી નાખતા કહી દીધું કે હું માત્ર વોટ મેળવવા નહીં સમાજ જીવનમાં કામો કરવા માટે છું
ફરી ગિન્નાયા સાંસદ મનસુખ વસાવા
ફોરેસ્ટ વિભાગના વોચમેનોને પરખાવ્યું
પ્રજાની સુખાકારી માટે લડુ છું- વસાવા
ગુજરાતમાં એવા કેટલાક જ ગણ્યા -ગાંઠ્યા સાંસદ છે જે એક ઘા ને બે કટકાની નીતિ રાખે છે. જનતા માટે કામ કરવા અને લોક કલ્યાણની ભાવના હદય રાખી કોઈ પણ વિરોધીઓને રોકડું પરખાવી દેનારા સાંસદ એટલે મનસુખ વસાવા. વસાવાજન પ્રતિનિધિ હોવાના નાતે પોતાના પક્ષના ધારાસભ્ય કે સાંસદ સુદ્દ્ધાને જાહેરમાં જનહિત ની વાત કહેતા અચકાતા નથી. પછી કોઈ અધિકારી પણ કેમ ના હોય ? હવે આજ ઉપક્રમમાં સાંસદ વસાવાએ ફોરેસ્ટના વોચમેનોને જાહેરમાં આડેહાથે લીધા હતા.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફોરેસ્ટ વિભાગના વોચમેનને જાહેરમાં ઝાટકી નાખતા કહી દીધું કે હું માત્ર વોટ મેળવવા નહીં સમાજ જીવનમાં કામો કરવા માટે છું. કેટલાક વોચમેન કહે છે કે, આગામી ચૂંટણીમાં મનસુખભાઇને પાડી દઈશું, તેમને એટલું જ કહેવાનું છે કે, હું રાજનીતિમાં 1995થી છું, તમે પાડી દેજો. હું પ્રજા માટે લડુ છું પ્રજાની સુખાકારી માટે લડુ છું. અને 1995થી જીતતો આવ્યો છું. રાજ્ય સરકારમાં અને ભારત સરકારમાં પણ મંત્રી રહ્યો છું. મે ક્યારેય મંત્રી બનવાની ખેવના રાખી જ નથી. હું સંસદસભ્ય તરીકે માનવજાતિના કલ્યાણ માટે કાર્ય કરું છું. મને પાડવા વાળા જતાં રહ્યા છે.
થોડા સમય પહેલા જ સાંસદ વસાવાએ રેતી માફિયાઓ વિરુદ્માંધ ઝૂંબેશ ઉઠાવી હતી. રાજ્યમાં થઇ રહેલી રેતી ચોરી મામલે સાંસદ મનસુખ વસાવાએ અવાજ ઉઠાવતા તેઓની મુશ્કેલીમાં વધારો થયો છે. વીટીવી સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં મનસુખ વસાવાએ રેતી માફિયા તરફથી ધમકી મળતી હોવાનો દાવો કર્યો હતો. મહત્વનુ છે કે નારેશ્વરમાં માર્ગ અકસ્માતમાં 3નો મોત થતા સાંસદ મનસુખ વસાવાએ મામલતદારનો ઉધડો લીધો હતો.ઓવરલોડ ટ્રક રેતી ચોરીમાં મામલતદારનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ મહેસૂલ કર્મચારીઓ સંસદના ગેરવર્તન સામે વિરોધે ચઢ્યા છે.
આવા રેતી માફિયાઓ સામે હું ઝુકીશ નહીં-વસાવા
વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરતા સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યુ કે રેતી માફિયાઓ મારા પર દબાણ કરી રહ્યા છે. મહેસૂલના કર્મચારીઓના આંદોલન પાછળ પણ રેતી માફિયાઓનો હાથ છે. તેમજ ખાણ-ખનીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓની પણ સંડોવણી હોવાનો વસાવાએ આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત એમ પણ જણાવ્યુ કે આંદોલન ચલાવવા માટે 1 કરોડ રુપિયાનું ફંડ ભેગુ કર્યું. પરંતુ આવા રેતી માફિયાઓ સામે હું ઝૂકીશ નહી.
મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
મામલતદારના આક્ષેપો બાદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખીને મામલતદારના આંદોલન પર સવાલો કર્યા હતા. રેતી માફિયાના ઇશારે મામલતદાર આંદોલન કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમજ મનસુખ વસાવાએ પોતાના પર માફી માગવા દબાણ કરાતું હોવાનો આરોપ લગાવ્યો હતો. મનસુખ વસાવાએ નર્મદા નદીમાં ગેરકાયદે રેતી ખનન ચાલતુ હોવાની પણ રજૂઆત કરી હતી.