અયોધ્યાના બાબરી મસ્જિદ રામ મંદિર વિવાદના સુપ્રીમ કોર્ટના ચુકાદાને હવે થોડા જ દિવસો બાકી છે. એવા સમયે હિન્દૂ પક્ષ તરફથી VHPએ રામ મંદિર માટે કોતરાઈ રહેલા પથ્થરોનું ઉત્પાદન હાલ પુરતું અટકાવી દીધું છે. બંને પક્ષોના મતે તેઓ કોઈની પણ તરફેણમાં ચુકાદો આવે પરંતુ શાંતિ અને ભાઈચારાની ભાવના જાળવી રાખવા માંગે છે.
ચુકાદાની રાહમાં વિશ્વ હિન્દૂ પરિષદે વર્ષ 1990 બાદ પહેલી વખત પથ્થરોની કોતરણી બંધ કરી છે.
સુપ્રીમ કોર્ટ 17 નવેમ્બર પહેલા રામ મંદિરનો ચુકાદો સંભળાવશે.
VHPએ તેના કાર્યકરોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી.
સુપ્રીમ કોર્ટ વડે અયોધ્યાનો ઐતિહાસિક ચુકાદો આવવાની હવે ગણતરીના દિવસોની વાર છે. VHP વર્ષોથી રામ મંદિરના બાંધકામ માટે પથ્થરોની કોતરણી કરી રહ્યું હતું. આ ચુકાદા માટે VHPએ 1990 પછી પ્રથમ વખત તેનું પથ્થર કોતરવાનું કામ અટકાવ્યું છે. આ પથ્થરોનું નિર્માણ મુલાયમ સિંહ યાદવની સરકારમાં 1990થી શરુ કરાયું હતું. VHPના પ્રવક્તા શરદ શર્માએ જણાવ્યું છે કે કોતરણીના તમામ કારીગરોને તેમના ઘરે પાછા જતા રહ્યા છે.
સુપ્રીમ કોર્ટ 17 નવેમ્બર પહેલા અયોધ્યાના રામ મંદિરનો ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે. નોંધનીય છે કે 17 નવેમ્બરે ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની નિવૃત થઇ રહ્યા છે. આ ચુકાદો તેમના વડપણ હેઠળની 5 જજોની બેન્ચ વડે સંભળાવવામાં આવશે.
શરદ શર્માએ એમ પણ જણાવ્યું હતું કે અયોધ્યા ચુકાદાને ધ્યાનમાં રાખીને VHPએ તેમના તમામ કાર્યક્રમો હાલ પૂરતા રદ કરી દીધા છે.
VHPના કહેવા મુજબ આશરે 1.25 લાખ ક્યુબિક ફૂટ જેટલા પથ્થરોની કોતરણી થઇ ચુકી છે જે પહેલા મંદિરના પહેલા માળ માટે પૂરતી છે. બીજા માળની 1.75 લાખ ક્યુબિક ફૂટ પથ્થરોની કોતરણી હજી બાકી છે.
VHPના વાઇસ પ્રેસિડેન્ટ ચંપત રાયે એમ પણ જણાવ્યું હતું કે આ ચુકાદો સત્ય અને અસત્યનો છે. આથી તેની ઉપર ઉજવણી કરવી કે ક્રોધ પ્રગટ કરવો અયોગ્ય છે આથી સમાજના હિન્દૂ મુસ્લિમ કે કોઈ પણ વર્ગને આ ચુકાદા માટે હેરાનગતિ સહન ન કરવી પડે એ માટે કાર્યકરોને સૂચના આપવામાં આવી છે.
VHPના શરદ શર્માએ જણાવ્યું હતું કે આ ચુકાદો હિન્દૂ કે મુસ્લિમ જેની પણ તરફેણમાં આવે બંને પક્ષો વચ્ચે શાંતિ અને ભાઈચારો જળવાઈ રહેવો જોઈએ. બંને પક્ષોએ અહીં ઝેર ન ઓકવુ જોઈએ.
અયોધ્યા અને દેશના અલગ અલગ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ચાંપતી વ્યવસ્થા રખાઈ છે. સ્થાનિક સરકારોએ કોઈ પણ પ્રકારના વિજય સરઘસ કે શોકસભા પર પ્રતિબંધ મુકેલ છે. અયોધ્યામાં કલમ 144 લાદવામાં આવી છે.
ફૈઝાબાદ જિલ્લામાં 4 સિક્યોરિટી ઝોન બનાવી દેવાયા છે. અહીં સેન્ટ્રલ પેરા મિલિટરી ફોર્સ અને સ્થાનિક પોલીસ ખડકી દેવાઈ છે. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અનુજ જ્હાએ સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ ધર્મ કે દેવી દેવતાઓની મજાક ઉડાવવા ઉપર મનાઈ ફરમાવી દીધી છે.
નોંધનીય છે કે અયોધ્યા કેસ વર્ષોથી દેશમાં એક ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ કેસ રહ્યો છે. 16મી સદીમાં બનાવેલ બાબરી મસ્જિદને 6 ડિસેમ્બર, 1992માં કારસેવકોએ તોડી નાખી હતી. ત્યારબાદ દેશના અલગ અલગ રાજ્યોમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. ગુજરાતમાં થયેલ ગોધરાકાંડ માટે આ જ વિવાદ જવાબદાર હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચુકાદા પૂર્વે અને પછી આ વિષય ઉપર કોઈ પણ પ્રકારના બિનજરૂરી નિવેદનો ન આપવાની સૂચના આપી છે. ધર્મગુરુઓએ હિન્દૂ અને મુસ્લિમ બંને પક્ષોને ચુકાદા બાદ ભવ્ય ઉત્સવ અથવા હિંસા ન કરવાની સૂચના આપી છે.