ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં તમામ પક્ષો સક્રિય થઇ ગયા છે. દરેક પક્ષો આગામી ચૂંટણીમાં જીત હાંસલ કરવા એડીચોટી સુધીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે ભાજપે ચૂંટણીમાં જીત હાંસલ કરવા વધુ એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. કેન્દ્રીય અને પ્રદેશ ભાજપના નેતાઓ કાર્યકરો સાથે દિવાળી ઉજવશે.
ભાજપના નેતાઓ કાર્યકરો સાથે કરશે દિવાળીની ઉજવણી
કેન્દ્રીય અને પ્રદેશ નેતૃત્વ કાર્યકરો સાથે કરશે બેઠકો
અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ કાર્યકરોને મળશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહી છે. આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ ખેલાવાનો છે. એવામાં હંમેશા ચૂંટણી મોડમાં રહેતી ભારતીય જનતા પાર્ટી પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. ભારતીય જનતા પાર્ટી મિશન 182 હાંસલ કરવા મથામણ કરી રહી છે.
ઝોન વાઇઝ કાર્યકરો સાથે કરશે બેઠક
એવામાં આગામી દિવાળીનો તહેવાર કેન્દ્રીય અને પ્રદેશ ભાજપના નેતાઓ કાર્યકરો સાથે મનાવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ કાર્યકરોને મળશે. તેઓ ઝોન વાઈઝ કાર્યકરોની સાથે બેઠક કરશે. ઉત્તર ગુજરાતની બેઠક પાલનપુરમાં યોજાશે. જ્યારે સૌરાષ્ટ્રની બેઠક સોમનાથ, મધ્ય ગુજરાતની બેઠક વડોદરા અને દક્ષિણ ગુજરાતની બેઠક સુરતમાં યોજાશે.
નિરીક્ષકોને રાજ્યની દરેક વિધાનસભામાં મોકલશે ભાજપ
વિધાનસભાની ચૂંટણી જીતવા ભાજપે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. જે અંતર્ગત આગામી 27-28 અને 29મીએ નિરીક્ષકોને રાજ્યની દરેક વિધાનસભામાં મોકલશે. ભાજપ પોતાના નિરીક્ષકોને આગામી 3 દિવસ દિવસ સુધી દરેક વિધાનસભામાં મોકલશે. આગામી તારીખ 27-28 અને 29મીએ ભાજપના દરેક નિરીક્ષકો વિધાનસભાના પ્રવાસે જશે.
27-28-29મીએ નિરીક્ષકો જશે દરેક વિધાનસભામાં
આ નિરીક્ષકો તાલુકા-જિલ્લા-નગરપાલિકાના હોદ્દેદારો સાથે બેઠક કરશે. ચૂંટણીમાં જે લોકો ઉમેદવારી માટે તત્પરતા દાખવી રહ્યાં છે તેવા નામો મેળવશે. જે લોકો ઉમેદવારી માટે ઈચ્છુક છે તેઓની આ નિરીક્ષકો વાત સાંભળશે. જે નામ વિધાનસભા વાઈઝ આવશે તેને પાર્લામેન્ટ્રી બોર્ડમાં મોકલાશે.