બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:39 PM, 13 May 2026
કચ્છના કંડલા પોર્ટ પર બુધવારની બપોર લોહીલુહાણ સાબિત થઈ છે. પોર્ટની જેટી નંબર 13 પર લાંગરેલા એક વિશાળ માલવાહક જહાજમાં ઝેરી ગેસની અસરને કારણે ત્રણ શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટના ત્યારે બની જ્યારે જહાજમાં રહેલા લાકડાના જથ્થાને જંતુરહિત કરવાની પ્રક્રિયા એટલે કે 'ફ્યુમિગેશન' ચાલી રહ્યું હતું. આ કરુણ દુર્ઘટનાને પગલે સમગ્ર કંડલા પોર્ટ ઓથોરિટી અને સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
ADVERTISEMENT
મળતી માહિતી અનુસાર, 'પાન ઓપ્ટિમમ' નામનું કાર્ગો જહાજ ઓસ્ટ્રેલિયાના પોર્ટલેન્ડથી દેવદારના લાકડાનો મોટો જથ્થો લઈને કંડલા આવ્યું હતું. આ લાકડાનો ઉપયોગ ફર્નિચર અને ફ્લોરિંગ બનાવવા માટે થાય છે. વિદેશથી આવતા લાકડામાં જીવાત કે હાનિકારક બેક્ટેરિયા ન હોય તે માટે તેને ઝેરી ગેસ દ્વારા જંતુમુક્ત કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન એક શ્રમિક ઝેરી ગેસની લપેટમાં આવી ઢળી પડ્યો હતો. તેને બચાવવા ગયેલા અન્ય બે સાથી શ્રમિકો પણ ગેસની ઝપેટમાં આવી ગયા હતા અને જોતજોતામાં ત્રણેય બેભાન થઈ ગયા હતા. જોકે, પોર્ટના અન્ય કર્મચારીઓએ તાત્કાલિક ત્રણેયને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ કમનસીબે તબીબી સારવાર મળે તે પહેલા જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલા ત્રણેય શ્રમિકો મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ પણ વાંચોઃ કવાયત / PM મોદીની અપીલ બાદ ગુજરાતમાં ઇંધણ બચત અભિયાન તેજ, CMથી લઈને રાજ્યપાલ સુધી સૌએ કરી પહેલ
ADVERTISEMENT
ફ્યુમિગેશન એ એક અત્યંત સંવેદનશીલ પ્રક્રિયા છે. વિદેશી લાકડાની સાથે ઝેરી જીવજંતુઓ, ઉધઈ કે ફંગસ ભારતમાં ન પ્રવેશે તે માટે એરટાઈટ કન્ટેઈનરમાં ઝેરી ગેસ છોડવામાં આવે છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ કસ્ટમ ક્લિયરન્સ મળે છે. પરંતુ આ કેસમાં સુરક્ષાના ધોરણોમાં ક્યાં ચૂક રહી ગઈ તે અંગે કંડલા પોર્ટ ઓથોરિટી અને પોલીસ તપાસ કરી રહી છે. હાલમાં શ્રમિકોના મૃત્યુથી પોર્ટ વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.