ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2020માં લેવામાં આવનારી બોર્ડની પરીક્ષાને ધ્યાને સુરત ડીઈઓ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. સુરત DEO એ જિલ્લાના દોઢ લાખ વિદ્યાર્થીઓના વાલીઓને પત્ર લખીને પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ માટે હળવો માહોલ તૈયાર કરવાનું નક્કી કર્યુ છે. આ માટે ડીઈઓ દ્વારા જિલ્લાની તમામ શાળાના આચાર્યોને સૂચના આપી દેવામાં આવી છે. તો શું લખ્યું છે આ પત્રમાં અને કેમ જરૂર પડી આ પગલાની જોઈએ આ અહેવાલમાં
સુરતના DEO નો અનોખો પ્રયોગ
પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ આપઘાત ન કરે તે માટે લખ્યો પત્ર
2016માં 556 વિદ્યાર્થીઓએ ગુજરાતમાં કર્યા આપઘાત
રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શાળાઓમાં ત્રણ મહિના બાદ બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ જશે. જો કે સ્પર્ધાના આ યુગમાં પરીક્ષાઓ પાસ કરવાનું વિદ્યાર્થીઓ પર એટલું દબાણ વધી જાય છે કે, અનેક વિદ્યાર્થીઓ નાસીપાસ થઈને આત્મહત્યા તરફ દોરવાઈ જાય છે.
દોઢ લાખ વિદ્યાર્થીઓને પાઠવાયો પત્ર
આવી અનિચ્છનીય સ્થિનું આ વર્ષે પોતાના જિલ્લામાં નિર્માણ ન થાય, તે માટે સુરત જિલ્લા ડીડીઓએ પોતાના હસ્તકની શાળાઓના આચાર્યોને એક સૂચના આપી છે અને આ સૂચના છે જિલ્લાના દોઢ લાખ વિદ્યાર્થીના વાલીઓને પત્ર લખીને પરીક્ષાનો ખોટો હાઉ ઊભો નહી કરવાની. આ માટે માધ્યમિક બોર્ડના ચેરમેનની સૂચના મુજબ સુરત ડીડીઓ કચેરી દ્વારા એક પત્ર તૈયાર કરાવામાં આવ્યો છે. જે પત્ર દોઢ લાખ વિદ્યાર્થીઓના વાલીઓને પાઠવવામાં આવશે.
2016માં 556 વિદ્યાર્થીઓએ ગુજરાતમાં કર્યા આપઘાત
આપને જણાવી દઈએ કે, હાલમાં જ NCRB એટલે કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા થતાં આપઘાતના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 2016માં વિદ્યાર્થીઓ કરેલા આપઘાતના આંકાડનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું છે કે, ગુજરાતમાં વર્ષ 2016માં 556 વિદ્યાર્થીઓ આપઘાત કરી ચૂક્યા છે જેમાંથી 301 વિદ્યાર્થીઓ હતા અને 255 વિદ્યાર્થિનીઓ હતી.
વિદ્યાર્થીઓના આપઘાતમાં મહારાષ્ટ્ર સૌથી મોખરે
વિદ્યાર્થીઓના આપઘાતમાં મહારાષ્ટ્ર સૌથી મોખરે છે. જ્યારે ગુજરાત પણ છઠ્ઠા નંબર પર છે. NCRBનાં રિપોર્ટ મુજબ પરીક્ષામાં નિષ્ફળતા,પારિવારિક પ્રશ્નો વિદ્યાર્થીઓને આપઘાત તરફ દોરી જનારા મુખ્ય કારણો છે. આથી આ પ્રકારની ઘટનાને ટાળવા અને વિદ્યાર્થીઓ મુક્ત માહોલમા પરીક્ષા આપી શકે અને એ માટે વાલીઓમા ફણ જાગૃતિ કેળવાય તેવો પ્રયાસ સુરત ડીઈઓ દ્વારા હાથ ધરાયો છે. સુરત ડીઈએ કચેરી દ્વારા માત્ર વિદ્યાર્થીઓના વાલીઓને પત્ર લખીને જ નહીં પરંતુ પોલીસ હેલ્પલાઈન દ્વારા પણ માર્ગદર્શન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ પ્રકારની પહેલથી વાલીઓ અને વિદ્યાર્થીઓનો શાળાકીય પરીક્ષા પ્રત્યેનો દ્રષ્ટીકોણ બદલાશે અને વિદ્યાર્થીઓ પોતાનું બેસ્ટ આપી શકશે. કેમ કે, ભાર વગરના ભણતરનો ઉદેશ્ય સિદ્ધ કરવા માટે સૌ પ્રથમ તો બાળકોને વાલીઓની અપેક્ષાના ભારણમાંથી મુક્ત કરવા પડશે.