કોરોનાને લઇ શિવમંદિરો બંધ રહેતા મંદિરોમાં હાલ પૂજા થઈ શકતી નથી. ત્યારે પોતાના પિતાનો સવાલાખ બિલીપત્ર ચડાવવાનો સંકલ્પ ચાલુ રાખવા પુત્રોએ પોતાના ઘરે જ સવા લાખ શિવલિંગ બનાવી પૂજા શરૂ કરી છે.
સ્વર્ગસ્થ પિતાનો સંકલ્પ શીરોમાન્ય
ઘરે જ બનાવ્યા સવા લાખ શિવલિંગ
પિતાની શિવપૂજાનો ક્રમ પુત્રોએ ચાલુ રાખ્યો
હિન્દુ ધર્મમાં શ્રાવણ માસ દરમિયાન મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. પરંતુ આ વખતે કોરોના વાયરસના કહેરને લઇને મંદિરોમાં પણ પૂજાવિધિ બંધ રાખવામાં આવી છે. ત્યારે સાગ્રોસણા ગામે એક પરિવાર દ્વારા દરરોજ 4 હજારથી વધુ શિવલિંગ બનાવી પરિવારજનો સાંજ સુધી પૂજા કરી સાંજે વિસર્જન કરે છે. શ્રાવણ મહિના દરમિયાન સવા લાખ શિવલિંગનો સંકલ્પ પૂરો કરે છે. પાલનપુર તાલુકાના સાગ્રોસણા ગામે માતા-પિતાએ 23 વર્ષ પહેલા શ્રાવણ મહિનામાં શિવલિંગને સવાલાખ બિલીપત્ર ચડાવવાનું શરૂ કર્યું હતું.
જોકે થોડાક વર્ષો બાદ પિતાનું અવસાન થતાં માતા એકલા પડી ગયા હતા. હવે કઈ રીતે વતનમાં જઈ ભગવાન જાળેશ્ચરની પૂજા કરવી તે મુંજવણમાં હતા. ત્યારે માતાએ તેમના પુત્રોને તેમના પિતાજીએ લીધેલા સંકલ્પની વાત કરી ત્યારે પુત્રોએ માતાની આ વાત સાંભળી મહાદેવની શ્રાવણ માસમાં પૂજા કરવાની તૈયારી કરી લીધી. ત્યારબાદ મુંબઈ રહેતા પુત્રો વતનમાં આવી શ્રાવણ મહિના દરમિયાન શિવજીને સવાલાખ બિલીપત્ર ચડાવતા હતા. પરંતુ કોરોનાને લઇ આ વખતે શ્રાવણ મહિનામાં શિવમંદિરો બંધ રહેતા પુત્રોએ પોતાના પિતાના સંકલ્પને પૂરો કરવા ઘરે જ સવા લાખ શિવલિંગ બનાવી શિવજીની પૂજા શરૂ કરી છે.
પિતાની શિવપૂજાનો ક્રમ પુત્રોએ ચાલુ રાખ્યો
પાલનપુર તાલુકાના સાગ્રોસણા ગામના કેશરભાઈ ચૌધરીએ 23 વર્ષ પહેલાં શ્રાવણ મહિનામાં શિવજીની આરાધના શરૂ કરી હતી. જે અંતર્ગત શ્રાવણ મહિના દરમિયાન શિવલીંગને સવાલાખ બિલીપત્ર ચડાવતા હતા. કેશરભાઇનું 14 વર્ષ પહેલાં અવસાન થતાં મુંબઇ કન્સ્ટ્રકશનના ધંધા સાથે સંકળાયેલા પુત્રો વિજયભાઈ અને ભાવેશભાઈએ પણ પિતાનો શિવપૂજાનો ક્રમ ચાલુ રાખ્યો હતો. બંને પુત્રો દર વર્ષે શ્રાવણ માસમાં મુંબઈથી વતન પરત આવી શિવપુજા કરતાં હતા. પરંતુ આ વર્ષે કોરોનાને કારણે મંદિર બંધ હોવાને લઇ શિવજીનો સવાલાખ બિલીપત્ર ચડાવવાનો પિતાનો સંકલ્પ અધુરો ન રહી જાય તે માટે પરિવારના તમામ સભ્યો સવા લાખ શિવલિંગ બનાવવાનો શરૂ કર્યું હતું.
વિજયભાઈ કેશરભાઈ પટેલે જણાવ્યું હતું કે પિતાના સંકલ્પને ચાલુ રાખવા માટે મુંબઈથી આવ્યા બાદ મંદિરો બંધ હોવાને લઇ પરિવારના સાતથી આઠ સભ્યો વહેલી સવારથી જ શિવલિંગ બનાવવાનું શરૂ કરીએ છીએ. બપોર સુધીમાં 3થી 4 હજાર જેટલા શિવલિંગ બનાવીએ છીએ. સાંજ સુધી પૂજા કરીએ છીએ અને સાંજની આરતી બાદ બાલારામ નદીમાં વિસર્જન કરીએ છીએ.
શિવના અલગ-અલગ સ્વરૂપમાં શિવપૂજા કરવામાં આવે છેઃ શાસ્ત્રી
ઘર આગળ પંડાલમાં શિવપૂજા કરાવતા વિકાસભાઈ શાસ્ત્રી યજમાનોની શિવ ભક્તિ જોઇને અભિભૂત થઈ જવાય છે. મંદિરો બંધ હોય તો શું થયું પિતાનો સંકલ્પ ચાલુ રહેવું જોઈએ તેને લઇ યજમાનના ઘરે જ સવા લાખ શિવલિંગનો સંકલ્પ હાથ ધરી રોજના ત્રણથી ચાર હજાર શિવલિંગની પૂજા કરી સાંજે વિસર્જન કરાય છે. શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે શિવના અલગ-અલગ સ્વરૂપમાં શિવપૂજા કરવામાં આવે છે. જેમ કે રવિવારે સૂર્યયંત્રના રૂપમાં, સોમવારે નાગપાસના સ્વરૂપે, મંગળવારે ત્રિકોણયંત્રના સ્વરૂપે, બુધવારે કશ્યપ સ્વરૂપે, ગુરુવારે પદ્માકાર સ્વરૂપે, શુક્રવારે પંચકોણ સ્વરૂપે અને શનિવારે ધનુષ સ્વરૂપે શિવ પૂજા કરવામાં આવે છે.