બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / લાઈફસ્ટાઈલ / અમદાવાદના સમાચાર / Shaheed Chakli Memorial in Police Firing is situated in Ahmedabad
Last Updated: 10:20 AM, 20 March 2024
World Sparrow Day: 40થી વધુ રાષ્ટ્રોમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે પરંતુ આજે તમને એ જાણવું પણ જરૂરી છે કે ચકલી સાથે અમદાવાદની ગાથા જોડાયેલી છે. એક ચકલી જે પોલીસ ફાયરિંગમાં શહીદ થઈ હતી તેનું સ્મારક અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારની ઢાળની પોળમાં બનેલું છે.ત્યારે અમદાવાદીઓએ બનાવેલું આ ચકલીનું સ્મારક જીવદયાની લાગણી દર્શાવે છે. આ ચકલીનું સ્મારક પુરાવો છે કે એક અબોલ જીવના જીવનની પણ કેટલી કિંમત હોય છે. અત્યારે તો બસ ચકલીઓને એટલી સાચવીએ કે ભવિષ્યની પેઢીને કદાચ આવા સ્મારકો જોઈને જ સંતોષ ન માનવો પડે.
ADVERTISEMENT
તમને સવાલ એ થશે કે એક નાનકડી ચકલી કઈ રીતે શહીદ થઈ. પક્ષીઓ તો નાનકડા અવાજથી પણ ઉડી જતા હોય છે, તો ચકલીને ગોળી કેવી રીતે વાગી ? ચાલો જાણી લઈએ આખી વાત. આ ઘટના 1974ના વર્ષની છે જ્યારે અમદાવાદમાં નવનિર્માણનું આંદોલન ચાલી રહ્યું હતું. મોટી ઉમરના દરેક વડીલને નવનિર્માણનું આંદોલન યાદ છે. વિદ્યાર્થીઓથી શરૂ થયેલું આ આંદોલન આખા રાજ્યમાં ફેલાયું હતું, આ આંદોલન એટલું વિકરાળ બન્યુ કે રાજ્યમાં ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આંદોલનને કાબુમાં લેવા માટે પોલીસ દમન પણ થયું. વિરોધ હિંસક બન્યો, ક્યાંક ક્યાંક પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે અથડામણ પણ થઇ હતી. કેટલીક જગ્યાએ પોલીસે પરિસ્થિતિ કાબુમાં લેવા ગોળીબાર કરવો પડ્યો હતો. સૌથી વધુ અસર આંદોલનની અમદાવાદમાં જોવા મળી હતી એક સમયે તો પરિસ્થિતિ એટલી વણસી ગઇ હતી કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઇ હતી જેને કારણે લશ્કરને બોલાવવું પડ્યુ હતું.
ADVERTISEMENT
પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે અમદાવાદમાં 2 માર્ચ 1974ના રોજ આવી જ ઉગ્ર અથડામણ થઈ હતી. આંદોલનકારીઓને કાબુમાં લેવા પોલીસે ફાયરિંગ કર્યું અને કહેવાય છે કે પોલીસ ફાયરિંગમાં દાણા ચણતી એક નિર્દોષ ચકલી હણાઈ ગઈ હતી. આજે પણ જો તમે ઢાળની પોળમાં જશો તો ત્યાં સફેદ આરસના પત્થર કોતરીને આ ચકલીનું સ્મારક બનેલું દેખાશે. જેના પર લખેલું છે, '1974ના રોટી રમખાણમાં (નવ નિર્માણ આંદોલન) 2 માર્ચ 1974ના રોજ સાંજે 5:25 વાગે એક અબોલ ચકલીનું પોલીસના બેફામ ગોળીબારમાં દુઃખદ અવસાન થયું હતું.' તે સમયે આ ઘટનાના સાક્ષી બનેલા કેટલાક સ્થાનિકો આજે પણ પોળમાં મોજૂદ છે. જેઓ યાદ કરતા કહે છે કે ચકલીના મોત પછી બે દિવસ ચબૂતરો ખાલી પડ્યો રહ્યો હતો. આખરે જયેન્દ્ર પંડિત નામના સ્થાનિકે સાથે રહીને આ સ્મારક બંધાવ્યું છે. ઉલ્લેખનીય છે કે એક તરફ ચકલીઓની સંખ્યા ઘટી રહી છે, કદાચ ચકલી નામશેષ જ થઈ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
દર વર્ષે 20 માર્ચે સમગ્ર વિશ્વમાં વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં ચકલીના સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે. એક સમય એવો હતો કે જ્યારે વહેલી સવારે થતી ત્યારે ચકલીઓના મધુર કિલકિલાટ સાંભળવા મળતો હતો. ગોળાકાર માથા અને ઘેરા બદામી પટ્ટાવાળી પાંખોવાળું પક્ષી દરેકનું પ્રિય છે. પરંતુ અત્યારે ક્રોનકીટના વધતા જતા જંગલ વચ્ચે અનેક કારણોસર આ પક્ષી પણ લુપ્ત થવાના આરે છે. ચકલીની વસતીમાં થતા ઘટાડાને નિયંત્રિત કરવા માટેના પગલાંની વિચારણા કરવા માટે ખાસ આ દિવસ ઉજવે છે. ચકલી માનવજાત માટે પણ લાભદાયી પક્ષી છે. તે ખોરાક અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બીજ, અનાજ અને લાર્વા ખાવાથી આ પક્ષી અસરકારક જંતુ નિયંત્રણ એજન્ટ સાબિત થાય છે. તે ખોરાકની શોધ કરતી વખતે છોડના ફૂલો પર પણ બેસે છે જેનાથી પરાગ ધાન્યમાં પરોક્ષ રીતે મદદ કરે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.