બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં 6 નવી અર્બન કો-ઓપરેટિવ બેન્કને મંજૂરી મળી શકે, RBIએ આપી છૂટ, જાણો બેંક માટે કોણ કરી શકે અરજી
Last Updated: 04:41 PM, 20 August 2026
માધવપુરા મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેન્ક કૌભાંડ બાદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ નવી અર્બન કો-ઓપરેટિવ બેન્કો (યુસીબી)ને લાઇસન્સ આપવાનું બંધ કર્યું હતું. હવે ૨૨ વર્ષ બાદ આરબીઆઈ દ્વારા નવા લાઇસન્સ માટેના નિયમોમાં છૂટછાટ આપવાની દરખાસ્ત કરવામાં આવી છે, જેના પગલે ગુજરાતમાં આ ક્ષેત્રમાં નવા પ્રવેશકારો માટે માર્ગ ખુલી શકે છે.
ADVERTISEMENT
માધવપુરા બેન્ક કૌભાંડ બાદ ૨૦૦૪માં લાદવામાં આવેલા આ પ્રતિબંધના કારણે સહકારી બેન્કિંગ ક્ષેત્રમાં નવા યુસીબીને લાઇસન્સ મળ્યું નથી. આ કૌભાંડમાં થાપણદારોની રૂ. ૧,૦૦૦ કરોડથી વધુની બચત ડૂબી હતી. આરબીઆઈ હવે નવા લાઇસન્સના નિયમો હળવા કરવાની દરખાસ્ત કરી રહ્યું હોવાથી ગુજરાતમાં ચારથી છ સહકારી ક્રેડિટ સોસાયટીઓ યુસીબી શરૂ કરવા માટે અરજી કરે તેવી શક્યતા છે.
યુનિયન કો-ઓપરેશન મંત્રાલયની પહેલથી શક્ય બન્યું
ADVERTISEMENT
ફેડરેશન ઓફ અર્બન કો-ઓપરેટિવ બેન્ક્સ એન્ડ ક્રેડિટ સોસાયટીઝના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતીન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે યુનિયન કો-ઓપરેશન મંત્રાલય દ્વારા લેવામાં આવેલી સકારાત્મક પહેલને કારણે આ શક્ય બન્યું છે. તેમના જણાવ્યા મુજબ, માધવપુરા બેન્ક કૌભાંડ બાદ છેલ્લા બે દાયકામાં સમગ્ર દેશમાં એક પણ યુસીબીને નવું લાઇસન્સ મળ્યું નથી. ગુજરાતમાં હાલમાં ૨૦૪ અર્બન કો-ઓપરેટિવ બેન્કો કાર્યરત છે અને તેમની ઓછામાં ઓછી ૧,૨૦૦ શાખાઓ છે. સમગ્ર દેશમાં ૧,૪૩૭ યુસીબીની ૧૧,૦૦૦થી વધુ શાખાઓ કાર્યરત છે.
નવી યુસીબી માટે આરબીઆઈના સૂચિત નિયમો
ADVERTISEMENT
આરબીઆઈના ડ્રાફ્ટ માળખા મુજબ, બેન્કિંગ લાઇસન્સ માટે અરજી કરતી સહકારી ક્રેડિટ સોસાયટી ઓછામાં ઓછાં ૧૦ વર્ષથી કાર્યરત હોવી જોઈએ. તેની પાસે ઓછામાં ઓછી રૂ. ૧૦,૦૦૦ કરોડની થાપણો અને રૂ. ૩૦૦ કરોડની નેટવર્થ હોવી જરૂરી રહેશે. ઉપરાંત, તેનું રજિસ્ટ્રેશન મલ્ટી-સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીઝ એક્ટ, ૨૦૦૨ હેઠળ થયેલું હોવું જોઈએ.
અરજદાર સંસ્થાએ અગાઉનાં પાંચ વર્ષ દરમિયાન સતત સુધારો દર્શાવતી સકારાત્મક નાણાકીય કામગીરી પણ સાબિત કરવી પડશે. જે વર્ષમાં લાઇસન્સ માટે અરજી કરવામાં આવે તેના ૩૧ માર્ચે બેન્કનો કેપિટલ ટુ રિસ્ક-વેઇટેડ એસેટ્સ રેશિયો (CRAR) ઓછામાં ઓછો ૧૨ ટકા હોવો જરૂરી રહેશે.
ADVERTISEMENT
આરબીઆઈના ડ્રાફ્ટ નિયમોમાં માલિકીનું કેન્દ્રીકરણ રોકવા માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. કોઈ એક સભ્ય શેર મૂડીના 5%થી વધુ હિસ્સો ધરાવી શકશે નહીં. બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યોનો અગાઉનો રેકોર્ડ પણ સારો હોવો જરૂરી રહેશે.
આ પણ વાંચોઃ રિવરફ્રન્ટથી એરપોર્ટ પહોંચવું બનશે સરળ, 3 વર્ષથી અટકેલા ટનલ પ્રોજેક્ટને મળી મંજૂરી
ADVERTISEMENT
સહકારી બેન્કિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે સૂચિત નિયમો સમગ્ર કો-ઓપરેટિવ બેન્કિંગ ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે. તેમના મતે, મજબૂત સહકારી સંસ્થાઓને યુસીબી તરીકે વિકસવાની તક મળશે, જ્યારે કડક લાઇસન્સિંગ માપદંડને કારણે થાપણદારોના નાણાંની સુરક્ષા પણ જળવાઈ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.