Ramvan: વર્ષ 2019માં આ રામવનના નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું અને 2022 સુધીમાં પૂર્ણ કરવા નક્કી કરવામાં આવ્યું હતું. રામવનમાં 1.50 કરોડથી વધુના ખર્ચે 22 સ્કલ્પ્ચર ઉભા કરવામાં આવ્યા છે.
રાજકોટમાં રામાયણની થીમ પર રામવનનું નિર્માણ.
55-60 પ્રજાતિનાં વૃક્ષોનું વૃક્ષારોપણ.
ભગવાન રામના જીવન ચરિત્ર સાથે સંકળાયેલ પ્રસંગોની ઝાંખી.
રાજકોટમાં ગુજરાતના પ્રથમ અર્બન ફોરેસ્ટમાં 'રામવન' બનાવવામાં આવ્યું છે. 47 એકરમાં ફેલાયેલ આ રામવનમાં ભગવાન રામના 14 વર્ષના વનવાસ ઉપરાંત તેમના જીવન પ્રસંગોની અલગ અલગ ઝાંખી દર્શાવવામાં આવી છે. આ રામવનમાં પ્રભુ રામના જીવન પ્રસંગ આધારિત અલગ અલગ 22 સ્કલ્પ્ચર રજૂ કરવામાં આવ્યા છે. આ સ્કલ્પ્ચરમાં ભગવાન રામની મૂર્તિ, જટાયુ દ્વાર, ભગવાન રામના ધનુષ આકારનો મુખ્ય પ્રવેશ દ્વાર, પર્વત લઇ આવેલ હનુમાનજીના સ્કલ્પ્ચર આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. યાત્રિકો સેલ્ફી લઈ શકે તે મુજબ સેલ્ફી પોઇન્ટ પણ મુકવામાં આવ્યા છે.
વર્ષ 2019માં આ રામવનના નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું અને 2022 સુધીમાં પૂર્ણ કરવા નક્કી કરવામાં આવ્યું હતું. રામવનમાં કુલ 25 ભાગ પ્રદર્શિત કરવામાં આવ્યા છે, 55-60 પ્રજાતિના 60 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. રામવનમાં 1.50 કરોડથી વધુના ખર્ચે 22 સ્કલ્પ્ચર ઉભા કરવામાં આવ્યા છે.
રામવનનો પ્રવેશ દ્વાર ભગવાન રામના ધનુષ આકારનો તૈયાર કરવામાં આવ્યો છે. તેની આગળ જતા ભગવાન રામની વિશાળ મૂર્તિના દર્શન કરવા મળશે. ત્યારબાદ જટાયુ ચોકમાં જટાયુ દ્વાર આકર્ષણનું કેન્દ્ર છે, જેના પર જટાયુ બેઠેલુ જોવા મળે છે. બાળકોને રમવા માટે હિંચકા, લપસણી અને નાનું મેદાન બનાવવામાં આવ્યું છે. યોગ મુદ્રાના તથા ભગવાન રામનો રાજ્યાભિષેક સમયનું સ્કલ્પ્ચર મુકવામાં આવ્યું છે. તેની આગળ એક નાનું તળાવ બાદમાં, મોટું તળાવ, પ્રભુ રામ અને શબરીનું મિલન જોવા મળે છે, જેની બાજુમાં એક થિયેટર બનાવવામાં આવ્યું છે.
હનુમાનજી પર્વત ઉંચકીને લાવતા હોય તેવું હનુમાનજી મહારાજનું સ્કલ્પ્ચર તથા સીતાહરણનું સ્કલ્પ્ચર પણ આકર્ષણનું કેન્દ્ર છે. તળાવની ઉપર રામસેતુ પણ બનાવવામાં આવ્યો છે, જેનાથી આગળ જતા ભગવાન રામ-લક્ષ્મણ અને સીતા માતાના વનવાસ સમયની ઝાંખી કરાવતું સ્કલ્પ્ચર જોવા મળે છે.
રામવન સુવિધા
રામવનની અંદર ઇલેક્ટ્રિક કારની સુવિધા પણ મુકવામાં આવશે. ત્રણ ફૂડકોર્ટ, બાળકો માટે હિંચકા, લપસણી, વોકિંગ ટ્રેક, કોન્ફરન્સ રૂમ, મીટિંગ રૂમ, એમ્ફી થિયેટર, સુરક્ષા માટે 3 માળની ઉંચાઈ ધરાવતા 2 ટાવર, CCTV કેમેરા અને ટ્રેકની આજુબાજુમાં બેસવા માટે સોફા ટાઈપ બેંચીસ પણ મુકવામાં આવી છે. રામવનમાં રામધૂન સહિતના ભજનો ચાલુ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
રામવનમાં ભગવાન રામના જીવન ચરિત્ર સાથે સાંકળીને નામ આપવામાં આવ્યા છે. જેમાં શ્રી રામ પથ, વાલ્મિકી પથ, કેવટ પથ, તુલસી પથ, અંગદ પથ, નીલ પથ, નલ પથ, લક્ષ્મણ પથ, શત્રુઘ્ન પથ, જાનકી પથ, ભરત પથ, હનુમંત પથ, રાક્ષસ પથ, વિભીષણ પથ, સુગ્રીવ પથ, જામવાન પથ અને શબરી પથ નામ આપવામાં આવ્યા છે.