દેશમાં અને ગુજરાતમાં હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે, અને તેના લીધે ગુજરાત સહિત સમગ્ર દેશમાં વરસાદનો માહોલ છે. જો કે હાલમાં છેલ્લા અમુક દિવસોથી ગુજરાતમાં નોનસ્ટૉપ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે પણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજાએ ધરતીને ભીંજવી હતી.
ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં આજે પણ વરસ્યો વરસાદ
છેલ્લા અમુક દિવસોથી સતત ચાલુ રહી છે મેઘ સવારી
ભિન્ન ભિન્ન જિલ્લાઓને ઘમરોલી રહ્યા છે મેઘરાજા
ગુજરાતમાં અવિરત મેઘરાજા વરસી રહ્યા છે, તેમના વ્હાલથી ક્યાંક ક્યાંક ધરતી ખુશહાલ થઇ છે, જેના લીધે પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું છે તો ક્યાંક ક્યાંક પાણીનું જળબંબાકાર થતાં ડેમ પણ ઓવરફ્લો થયા હતા જેના લીધે ડેમના દરવાજાઓ ખોલી નાખવા પડ્યા હતા.
શું હાલ છે દાહોદમાં?
દાહોદ જિલ્લામાં સતત વરસતા વરસાદના લીધે જિલ્લાની નદીઓમાં નવા નીર આવ્યા છે. આ સમયે લોકો દ્વારા નદીઓમાં ન્હાવા ન જાય જેથી કરીને કોઈ જાનહાનિ ન થાય તે માટે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવાંઅ આવી છે.
શું છે સૌરાષ્ટ્રના હાલ?
સૌરાષ્ટ્રમાં સુદામાપૂરી કહેવાતા પોરબંદર જિલ્લામાં પણ બવે દિવસ બાદ આજે ફરીથી મેઘરાજાએ બેટિંગ કરી હતી. નોંધનીય છે કે હાલમાં પોરબંદર જિલ્લાના ઘેડ પંથકમાં ખૂબ વરસાદને લીધે ખેડૂતોને ખેતી કરવામાં ઘણી તકલીફ પડી રહી છે. ભાદર, ઓઝત અને મધુવંતી નદીમાં પૂર આવતા ઘણા ખેતરોનો પાક નષ્ટ થયો હતો. ઘેડ પંથકનું કડછ ગામ બેટમાં ફેરવાયું હતું.
તો અમરેલી જિલ્લામાં વરસેલા ભારે વરસાદના પગલે ધાતરવડી નદીમાં પૂર આવ્યું છે. ભારે વરસાદના પગલે સતત 15 દિવસથી પાણીની આવક થઈ રહી છે. જેના પગલે કોઝ-વે પણ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. પાણીના ભરાવાના કારણે લોકોએ લોકોને 20 કિલોમીટર ફરીને પસાર થવું પડે છે
રાજકોટમાં વરસી રહી છે આકાશી આફત
સતત વરસી રહેલ વરસાદના પગલે ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે, અને ભારે વરસાદના કારણે ખેડૂતો બેટમાં ફેરવાઇ જતાં પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો હોવાની વ્યથા ખેડૂતો રજૂ કરી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં વરસાદ આકાશી આફત બનીને ખેડૂતોના પાકને નષ્ટ કરી રહ્યો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા,.જેતપુર અને ધોરાજી, ભાયાવદર સહિતના ખેડૂતોના પાકને ભારે વરસાદના કારણે મોટું નુકસાન થયું છે.પૂરના પાણી ઓસર્યા બાદ ચેકડેમ તૂટતાં કુઢેચ ગામમાં ખેતરો ડૂબી ગયા હતાં
જો કે સૌરાષ્ટ્રના ગીર પંથકમાં છેલ્લા ઘણા સમયથી સતત વરસાદ વરસી રહ્યો છે જેના લીધે ગીરની વન જાણે કે સજીવન થઈ ઉઠ્યું છે, તેનું સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું હતું, પરંતુ ગીરમાં ભારે વરસાદના લીધે સિંહોએ પણ ભોજડે ગામમાં લટાર મારી હતી. ઘણા નદી નાળા પણ છલકાઈ ગયા છે. તો સામે પક્ષે ભાવનગરમાં શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં તેના 50 દરવાજા ખોલી નંખાયાં હતા .
કચ્છમાં પણ ખબક્યો વરસાદ..
નપાણિયા રેગિસ્તાનના મુલક કહેવાતા કચ્છમાં પણ આ વર્ષે મેઘરાજાએ બેટિંગ કરી હતી. જેના લીધે કચ્છમાં ધોધ પડી રહ્યો હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ વિસ્તાર કચ્છના કોરી પખેરોમાં આવેલો છે.
દક્ષિણ ગુજરાતનો મહત્વપૂર્ણ ઉકાઈ ડેમના દરવાજા બંધ કરાયા
ઉકાઈ ડેમના બધા દરવાજા બંધ કરાયા હતા. ગત મોડી સાંજથી ડેમના દરવાજા બંધ કરાયા હતા. હાલમાં ડેમની સપાટી 334.03 ફૂટ છે જ્યારે ડેમમાં પાણીની આવક 75695 ક્યુસેક છે જ્યારે જાવક 17924 ક્યુસેક છે. હાલનુ રૂલ લેવલ 335 ફૂટ છે જ્યારે ભયજનક લેવલ 345 ફૂટ છે.આમ પાણીની આવક ઘટતા ડેમના દરવાજા બંધ કરાયા હતા. હાલ છોડાતું 18000 ક્યુસેક પાણી પણ હાઇડ્રો પાવર પ્લાન્ટ માટે છોડવામાં આવી રહ્યું છે.
વરસાદના લીધે રોડ રસ્તાને થયું છે મોટું નુકસાન
રાજ્યમાં ભારે વરસાદે રસ્તાઓની હાલત ખરાબ કરી નાખી છે. ભારે વરસાદથી રાજ્યમાં 288 રોડ બંધ કરવામાં આવ્યા છે. પાણીના કારણે 2 નેશનલ હાઇવે પણ બંધ કરાયા છે. વરસાદથી રાજ્યના 46 રસ્તાઓ બંધ છે, તો ધોધમાર વરસાદના લીધે પંચાયતના 240 રોડ બંધ કરાયા છે, અમદાવાદ જિલ્લામાં પંચાયતના 9 રોડ, અરવલ્લી જિલ્લામાં 11 રોડ, સાબરકાંઠા જિલ્લામાં 7 રોડ અને કચ્છ જિલ્લામાં પંચાયતના 30 રોડ બંધ છે. જ્યારે નર્મદા જિલ્લામાં 14 રોડ, રાજકોટ જિલ્લામાં 11 રોડ, સુરેન્દ્રનગર જિલ્લામાં 34 રોડ અને જૂનાગઢ જિલ્લામાં પંચાયતના 19 રોડ બંધ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં હજુ પણ આટલાં દિવસ ભારે
રાજ્યમાં અત્ર, તત્ર અને સર્વત્ર વિના વિરામે વરસાદ વરસી રહ્યો છે. જો કે હજુ પણ તેનું ધમણ ફુલાય તેવા કોઈ આસાર હવામાન વિભાગે આપ્યા નથી. હવામાન વિભાગની આગામી આગાહી અનુસાર હજુ 3 દિવસ સુધી ર્જ્યમાં ભારે વરસાદ પડી શકે છે.