મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલની VTV સાથે ખાસ વાત, કહ્યું PM મોદી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અને પોષણ સુધા યોજના કરશે લોન્ચ
PM મોદી શનિવારે વડોદરામાં
મંત્રી મનીષાબેન વકીલનું નિવેદન
"PM બે યોજના કરશે લોન્ચ"
વડોદરામાં ગુજરાત ગૌરવ સંમેલનને PM મોદી સંબોધન કરશે.વડોદરા શહેર ભાજપ દ્વારા સંમેલનનું આયોજન કરાયું છે.વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે નિવેદન આપ્યું.. સમગ્ર શહેરમાં સર્કલ પર કટ આઉટ લગાવાયા છે આ ઉપરાતં તમામ કાર્યકરોને સભા મંડપમાં ટોપી આપવામાં આવશે.વડોદરાના નાગરિકોને સૌથી અગ્રીમ હરોળમાં સ્થાન અપાશે. 10,000 ટુ-વ્હીલર્સ માટે પાર્કિગં વ્યવસ્થા કરાઇ.સાંસદ દ્વારા 15 હજાર દિકરીઓને સુકન્યા સમૃદ્વિ યોજનાનો લાભ અપાશે. 2 લાખ કરતા વધુ લોકો જોડાય તેવું આયોજન કરાયું છે.
PM બે યોજના કરશે લોન્ચ
આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યભરમાં ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ (MMY)નો શુભારંભ કરશે. મહિલાની સગર્ભાવસ્થાથી માંડીને 1000 દિવસ સુધી માતા અને બાળકોને પોષણયુક્ત આહાર પૂરો પાડવા અને તેમના પોષણની સ્થિતિમાં સુધાર લાવવાના ઉદ્દેશથી ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના જાહેર કરવામાં આવી છે. આ સાથે જ, રાજ્યના તમામ આદિજાતિ તાલુકાઓમાં ‘પોષણ સુધા યોજના’ લોન્ચ કરવામાં આવશે અને આ યોજનાના લાભ હેઠળ આદિજાતિ વિસ્તારની મહિલાઓને આવરી લેવામાં આવશે.
શું છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ?
માતાનું નબળું પોષણ સ્તર ગર્ભમાં રહેલા બાળકના વિકાસને અવરોધે છે, જે આગળ જતા બાળકના નબળા આરોગ્યમાં પરિણમે છે. સગર્ભા માતાઓમાં કુપોષણ અને પાંડુરોગ બાળકના વૃદ્ધિ અને વિકાસ પર ગંભીર અસર કરે છે. મહિલા ગર્ભ ધારણ કરે તે 270 દિવસ અને બાળકના જન્મથી 2 વર્ષ સુધીના 730 દિવસ, એટલે કે કુલ 1000 દિવસના સમયગાળાને ‘ફર્સ્ટ વિન્ડો ઓફ ઓપોર્ચ્યુનિટી’ કહેવામાં આવે છે, જે સમય દરમિયાન માતા અને બાળકનું પોષણ સ્તર સુદૃઢ બનાવવું જરૂરી છે. આ બાબતના મહત્વને સમજીને ભારત સરકારના ‘પોષણ અભિયાન’ અંતર્ગત માતા અને બાળકના આ 1000 દિવસ ઉપર ફોકસ કરવાનું જણાવવામાં આવ્યું છે. આ તબક્કા દરમિયાન માતાના આહારમાં અન્ન અને પ્રોટીન, ફેટ તેમજ અન્ય સૂક્ષ્મ પોષકતત્વો ઉપલબ્ધ થાય તે ખૂબ અગત્યનું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આ 1000 દિવસ દરમિયાન સગર્ભા અને પ્રસૂતા માતાઓને પોષણયુક્ત આહાર પૂરો પાડવાના ઉદ્દેશથી ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ મંજૂર કરવામાં આવી.
માતા અને બાળકના પોષણની સ્થિતિમાં સુધારો થશે
વર્ષ 2022-23માં તમામ પ્રથમ સગર્ભા અને પ્રથમ પ્રસૂતા માતા તથા આરોગ્ય વિભાગના સોફ્ટવેરમાં સગર્ભા તરીકે અથવા જન્મથી બે વર્ષના બાળકની માતા તરીકે નોંધાયેલ લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે. આ યોજના અંતર્ગત દરેક લાભાર્થીને દર મહિને આંગણવાડી કેન્દ્ર પરથી રાશન તરીકે 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લિટર સીંગતેલ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષના બજેટમાં રૂ.811 કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે અને આગામી પાંચ વર્ષ માટે રૂ.4000 કરોડથી વધુ રકમની જોગવાઈ કરવામાં આવશે. આ યોજનાથી માતા અને બાળકના પોષણની સ્થિતિમાં સુધારો થશે. અપૂરતા મહિને જન્મ અથવા ઓછા વજનવાળા બાળકોના જન્મની સંખ્યામાં ઘટાડો થશે અને સંપૂર્ણ સ્વસ્થ બાળકોનો જન્મ થશે. આ સાથે જ માતા મૃત્યુદર અને બાળમૃત્યુદરમાં પણ ઘટાડો થશે.
પોષણ સુધા યોજનાનું લોન્ચિંગ કરશે
વડાપ્રધાન આ કાર્યક્રમમાં "પોષણ સુધા યોજના"નુ વિસ્તરણ કરશે. આ યોજના વિશેની માહિતી જોઈએ તો..સ્ત્રીના જીવનમાં સગર્ભા અને ધાત્રી અવસ્થા ખૂબ મહત્વપૂર્ણ છે. આ અવસ્થા દરમિયાન માતાના ગર્ભમાં રહેલા શિશુને અને બાળકને સ્તનપાન કરાવવા માટે વધુ પ્રમાણમાં પોષણની જરૂરિયાત રહે છે. માતાની આ જરૂરિયાતને પહોંચી વળવા રાજય સરકારે પ્રાયોગિક ધોરણે વર્ષ2017-18 માં "પોષણ સુધા યોજના" શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત આંગણવાડી ઉપર નોંધાયેલ સગર્ભા અને ધાત્રી માતાઓને એક વખતનું સંપૂર્ણ ભોજન આપવામાં આવે છે. આ સાથે આર્યન, કેલ્શિયમની ગોળી તથા આરોગ્ય પોષણ શિક્ષણ આપવામાં આવે છે. પ્રાયોગિક ધોરણે હાલ રાજ્યના આદિજાતી વિસ્તારમાં દાહોદ, વલસાડ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદા એમ પાંચ જિલ્લાના 10 ICDS ઘટકમાં સ્પોટ ફીડિંગ કાર્યક્રમ ચાલુ છે. આ યોજનાના સારા પરિણામો મળતા વર્ષ-૨૦૨૨-૨૩થી તેનો વ્યાપ વધારીને તમામ બાકી રહેલા આદિજાતિ વિસ્તાર જિલ્લાઓના આદિજાતિ ઘટકોમાં અમલીકરણ કરવામાં આવશે.
સવા લાખ લાભાર્થીઓને મળશે લાભ
આ યોજના માટે વર્ષ-2022-23 માં રૂ.118 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત અંદાજીત સવા લાખ લાભાર્થીઓને દર મહિને આવરી લેવામાં આવશે. યોજનાના અસરકારક મોનીટરીંગ અને રિવ્યૂ માટે મોબાઈલ એપ્લીકેશન પણ બનાવવામાં આવી છે. આ યોજનાના અમલીકરણ થકી ઓછું વજન સાથે જન્મ લેનાર શિશુઓના દરમાં ઘટાડો થશે. તે ઉપરાંત માતા અને નવજાતના પોષણ સ્તરમાં સુધારો થશે તેમજ માતા અને બાળ મૃત્યુ દરમાં ઘટાડો થશે.